RCB માટે ખત્મ થયો ટ્રોફીનો વનવાસ, PBKS ને હરાવીને જીત્યો પહેલો IPL ખિતાબ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આખરે 18 વર્ષ લાંબા IPL ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો. ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનમાં, રજત પાટીદારના નેતૃત્વ હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સનો સામનો કર્યો, જેમાં તેઓએ 6 રનથી મેચ જીતી અને ટાઇટલ જીતવામાં સફળતા મેળવી. આ મેચમાં, RCB એ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા, ત્યારબાદ પંજાબ કિંગ્સ 20 ઓવરમાં માત્ર 184 રનનો સ્કોર જ બનાવી શક્યું અને પહેલી વાર ટ્રોફી જીતવાનું તેમનું સ્વપ્ન પૂર્ણ થઈ શક્યું નહીં.
કુણાલ પંડ્યાની ચાર ઓવર્સ પંજાબ કિંગ્સ પર પડી ભારે
જ્યારે પંજાબ કિંગ્સની ટીમ ફાઇનલ મેચમાં 191 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરી ત્યારે તેમની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 43 રનની ભાગીદારી કરી, ત્યારબાદ તેમને 43 રનના સ્કોર પર પ્રિયાંશ આર્યના રૂપમાં પહેલો ફટકો પડ્યો, જે 24 રન બનાવીને આઉટ થયો. તે જ સમયે, પ્રભસિમરન સિંહ અને જોશ ઇંગ્લિશની જોડીએ ઇનિંગ સંભાળી અને સ્કોર 72 રન સુધી પહોંચાડ્યો. પ્રભસિમરનને કૃણાલ પંડ્યાએ પેવેલિયન મોકલ્યો, જેની સાથે RCB ટીમે મેચમાં વાપસી કરી અને અહીંથી તેમણે પંજાબ કિંગ્સને કોઈપણ રીતે મેચમાં પાછા આવવાની તક આપી નહીં. શ્રેયસ ઐયર, જેની પાસેથી આ મેચમાં મોટી ઇનિંગ રમવાની અપેક્ષા હતી, તે આ મેચમાં ફક્ત એક રન બનાવીને આઉટ થયો.
કોહલીની સમજદારી ભરી બેટીંગે આરસીબીને 190 ના સ્કોર સુધી પહોચાડવામાં ભજવી મહત્વની ભૂમિકા
જો આપણે ફાઇનલ મેચમાં RCB ટીમના બેટિંગ પ્રદર્શનની વાત કરીએ, તો વિરાટ કોહલીની 43 રનની સમજદાર ઇનિંગ્સે આ મેચમાં તેમની ટીમને 190 રનના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી. કોહલી ઉપરાંત, રજત પાટીદારે 26, લિયામ લિવિંગસ્ટોને 25 અને જીતેશ શર્માએ 24 રન બનાવ્યા.