શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. રાજકોટ ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 10 એપ્રિલ 2020 (14:07 IST)

રાજકોટના જંગલેશ્વરમાં વધુ પાંચ પોઝીટીવ કેસ : તમામને લોકલ ચેપ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાનમા જ કોરોના પોઝીટીવના વધુ પાંચ કેસ મળી આવતા જિલ્લા વહીવટી તંત્રનો શ્ર્વાસ ઉંચો ચડી ગયો છે. જંગલેશ્વરમાં કોરોના પોઝીટીવના સતત વધતા જતા કેસોમાં તમામ કોરોના પોઝીટીવને લોકલ ચેપ લાગ્યો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર જંગલેશ્વર વિસ્તાર ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. કોરોના અસરગ્રસ્ત જંગલેશ્વર વિસ્તારની છ શેરીઓને સીલ કરી દેવામાં આવી છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત 18 માર્ચે રાજકોટ શહેરનો અને ગુજરાત રાજ્યનો પ્રથમ કોરોના પોઝીટીવનો કેસ બહાર આવ્યો હતો ત્યારબાદ રાજકોટ શહેરમાં એક સપ્તાહ દરમિયાન કોરોના પોઝીટીવના વધુ 7 કેસો બહાર આવ્યા હતા. આ દરમિયાન વચ્ચેના સાત દિવસ સુધી કોરોના પોઝીટીવના એકપણ કેસ નોંધાયા નહોતા. સતત તપાસ દરમિયાન બે દિવસ પૂર્વે જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝીટીવનો એક કેસ સામે આવ્યો હતો. તેના સંપર્કમાં આવેલા અન્ય વ્યક્તિના સેમ્પલો લઇ પરિક્ષણ કરવામાં આવતા ગઇકાલે મોડીરાત્રે આ વ્યક્તિના પરિવારના જ અન્ય પાંચ વ્યક્તિને કોરોના પોઝીટીવ આવતા જિલ્લા વહીવટી તંત્ર ચોંકી ઉઠયું છે. રાજકોટ મહાનગરપાલિકાએ જંગલેશ્વર વિસ્તારની શેરી ન. 26 અને 27 સહિત છ શેરીઓને સીલ કરી દીધી છે. આ તમામ શેરીઓમાં અવરજવર ન કરવા માટે લોકોને હોમ ક્વોરન્ટાઈન કરી દેવામાંઆવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત જારી કરવામાં આવ્યો છે.