1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 2 સપ્ટેમ્બર 2020 (13:15 IST)

અમદાવાદના રોડ રિસરફેસ નહીં થાય તો કોંગ્રેસ ભાજપના કાઉન્સિલરના ઘરે ધરણાં કરશે

વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓમાં ખાડા પડી ગયા છે. એક તરફ જ્યાં કોર્પોરેશનના સત્તાધીશોએ ખાડામાં થિંગડા મારવાની કામગીરી શરૂ કરી છે, ત્યારે બીજી તરફ શહેરીજનોની સમસ્યાને સમજીને મોડે-મોડે જાગેલી કોંગ્રેસે આજે રોડ-રસ્તા મામલે શ્વેતપત્ર બહાર પાડ્યું છે અને મેયરને આવેદનપત્ર આપ્યું છે. વિપક્ષના નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, જો રોડ રિસરફેસ નહીં થાય તો કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા લોકો સાથે ભાજપના દરેક કાઉન્સિલરના ઘરે જઇ જવાબ માગશે, ધરણાં કરશે અને કોઇ બનાવ બનશે તો ભાજપના સત્તાધીશો જવાબદાર રહેશે.વિપક્ષે આજે રોડ રસ્તા મામલે શ્વેતપત્ર બહાર પાડી જ્યાં જ્યાં રોડ તૂટ્યા છે ત્યાં વિજિલન્સ તપાસની માગ કરી અને કોન્ટ્રાક્ટરોને પેનલ્ટી કરવાની માગ સાથે મેયર બીજલ પટેલને ઉસ્માનપુરા કોર્પોરેશનની ઓફિસે આવેદનપત્ર આપ્યું હતું. વિપક્ષના નેતા દિનેશ શર્મા, શહેર પ્રમુખ શશીકાંત પટેલ, સુરેન્દ્ર બક્ષી અને ધારાસભ્ય ગ્યાસુદિન શેખ માત્ર પાંચ લોકોએ જઈ આવેદનપત્ર આપ્યું હતું. વિપક્ષનો ડર કહો કે ભાજપના સત્તાધીશોનો પાવર, માત્ર પાંચ જ લોકો આવવાના હોવા છતાં ડરતા મેયર બીજલ પટેલે અને સત્તાધીશોને સાચવવા મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.વિપક્ષના નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે ઠેર ઠેર રોડ ધોવાઈ ગયા છે. તેને તાત્કાલિક રીપેર કરવામાં આવે અને રિસરફેસ કરવામાં આવે. છેલ્લા ત્રણ વર્ષમાં જ્યાં જ્યાં રોડ તૂટ્યા છે ત્યાં તમામ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેમજ કયા કોન્ટ્રાકટરે ક્યારે રોડ બનાવ્યો, ગેરેન્ટી પિરિયડ કેટલો તેનું શ્વેતપત્ર બહાર પાડવામાં આવે. વિજિલન્સ તપાસ કરી અને તમામની સામે પગલાં ભરવામાં આવે. મેટ્રો રૂટ પર પણ જે રોડ તૂટ્યા છે ત્યાં શરતોને આધીન કામ કરવામાં આવે છે, જો એવી રીતે મેટ્રો પણ કામ ન કરે તો તેની સામે પણ પગલાં લેવા જોઈએ.