બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 7 મે 2018 (12:55 IST)

રાજકોટમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગતા 40 હજાર બોરીઓ બ‌ળીને ખાખ

રવિવારે મોડી રાતે રાજકોટના શાપર વેરાવળમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જો કે ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. શાપર વેરાવળમાં નેશનલ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં નાફેર્ડ દ્વારા ખરીદી કરાયેલા મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા. અને આગ ઉપર કાબૂ મેળવવા રાજકોટ, ગોંડલ અને જેતપુરથી આઠ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સાથે જ ત્રણ જેસીબીની પણ મદદ લેવામાં આવી હતી. આ આગમાં અત્યાર સુધીમાં ૪૩ હજારથી વધુ મગફળીની બોરીઓ બળીને ખાખ થઈ ગઈ છે. જ્યારે ૨૫થી ૩૦ હજાર બોરીઓ બચાવી લેવામાં આવી છે.

છેલ્લા ૧૨ કલાકથી આ આગ યથાવત્ હતી. મહત્વનું છે કે છેલ્લા છ મહિનામાં આ ત્રીજી આગની ઘટના બની છે. જેને લઈને રૂપાણી સરકાર પર પણ અનેક સવાલો ઉભા થઈ રહી છે.  હાલ આગ ઉપર કાબુ મેળવવા રાજકોટ, ગોંડલ અને જેતપુરથી આઠ ફાયર ફાઈટર દોડાવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.ઘટના અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે આગ બુઝાઈ ગઈ છે. આગમાં ૩૦ હજાર બોરી બચાવી લીધી છે તેની તપાસ કલેકટર અને ડીએસપી દ્વારા કરવામાં આવી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે તેની ગંભીર નોંધ લઇને ચોક્કસ પગલાં લેવામાં આવશે. રાજકોટ જિલ્લામાં આ બીજી વખત આગ લાગી છે.

 
અહી કુલ આઠ ગોડાઉન છે અને એક ગોડાઉનમાંથી બીજા ગોડાઉનમાં જઈ શકાય એવી રીતના લગોલગ આવેલા છે. એ પૈકીના ચાર ગોડાઉનમાં આગ પ્રસરી ગઈ હતી. આ ગોડાઉનમાં કુલ ૪૦ હજાર ગુણીઓનો સંગ્રહ છે.
 
શાપર વેરાવળના મગફળી ગોડાઉનમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જેની કુલ કિમત ૭ કરોડથી વધુ આંકવામાં આવી રહી છે.  આ ગોડાઉન ગુજરાત વેર હાઉસે ભાડા પટાથી રાખ્યુ છે. જો કે આ જથ્થામાંથી કેટલી મગફળી સળગી કે બચી એનો અંદાઝ કાલે અથવા પરમદિવસે આવશે.