હોળી-ધૂળેટી પર મુસાફરોને મોટી ભેટ: GSRTC દોડાવશે 1300 વધારાની એસટી બસો, જાણી લો રૂટ અને બુકિંગ વ્યવસ્થા
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા આગામી હોળી અને ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વતન જનારા અને યાત્રાધામોની મુલાકાત લેતા શ્રદ્ધાળુઓ માટે નિગમ દ્વારા 1300 વધારાની બસો ફાળવવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ, એસટી નિગમ આગામી 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2026 સુધી સમગ્ર ગુજરાતના વિવિધ રૂટ પર 1300 જેટલી વધારાની બસો (એક્સ્ટ્રા બસ) દોડાવશે. આ વહીવટી નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારોની રજાઓમાં પોતાના વતન જતા શ્રમિકો, નોકરિયાતો અને ખાસ કરીને ડાકોર તેમજ દ્વારકા જતા લાખો દર્શનાર્થીઓને પરિવહનમાં કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે સુનિશ્ચિત કરવાનો છે. આ 1300 એક્સ્ટ્રા બસો નિર્ધારિત સમયગાળા દરમિયાન 7500 થી પણ વધુ ટ્રીપો મારશે.
કયા રૂટ પર વિશેષ સુવિધા મળશે?
તહેવારો દરમિયાન રત્નકલાકારો અને શ્રમિકો પોતાના વતન જઈ શકે તે માટે ખાસ કરીને નીચેના રૂટ પર ભાર મૂકવામાં આવ્યો છે
-અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજથી ઉપડતી બસો.
-મુખ્ય ડેસ્ટિનેશન: ગોધરા, દાહોદ, ઝાલોદ અને છોટાઉદેપુર તરફ જતાં મુસાફરો માટે વધારાની વ્યવસ્થા.
-શ્રદ્ધાળુઓ માટે 'દ્વારકા-ડાકોર' સ્પેશિયલ - હોળીના પવિત્ર પર્વે ડાકોર અને દ્વારકાના દર્શનાર્થે જતા ભક્તો માટે નિગમે ખાસ આયોજન કર્યું છે:
ડિજિટલ બુકિંગ અને હેલ્પલાઇન
મુસાફરોને લાંબી લાઈનોમાં ઊભા રહેવું ન પડે તે માટે ઓનલાઈન સુવિધા પર ભાર મૂકવામાં આવ્યો છે:
વેબસાઈટ: www.gsrtc.in
મોબાઈલ એપ:
GSRTC Official App
24x7 હેલ્પલાઇન: 1800 233 666666
રૂબરૂ ટિકિટ- રાજ્યના તમામ એસટી ડેપો પર ઉપલબ્ધ