1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 માર્ચ 2020 (18:34 IST)

મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં કોંગ્રેસના 35 ધારાસભ્યોએ રાજીનામું આપવાની ધમકી આપી

એક તરફ મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારના માથે ગમે ત્યારે ધરાસાયી થવાનું જોખમ છે ત્યારે હવે ગુજરાત કોંગ્રેસમાં મોકાણ શરૂ થઈ છે. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણી યોજાવવાની છે. ત્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરફથી સુચવવામાં આવેલા બે નામો પૈકી એક પણ નામ હાઈકમાન્ડે માન્ય રાખ્યુ નહોતુ અને બે
નવા જ મુરતિયા મેદાને ઉતાર્યા હતાં.


જેથી ગુજરાત કોંગ્રેસમાં ભડકો થયો છે. ગુજરાતના 35 ધારાસભ્યોએ રાજીનામા ધરી દેવાની ધમકી આપી દીધી છે. ગુજરાતના કોંગ્રેસના ધારાસ્ભ્યોએ પ્રમુખ અમિત ચાવડા સમક્ષ રોષ ઠાલવ્યો છે અને સ્થાનિક ઉમેદવારને મહત્વ આપવા માંગણી કરી છે. જેથી અમિત ચાવડાએ આ નામો હાલ તુરંત અટકાવી દીધા છે અને હાઈકમાન્ડ સાથે વાતચીતનો દોર શરૂ કરી દીધો છે.

ગુજરાતમાં કુલ ચાલ રાજ્યસભા બેઠકો માટે આગામી 26 માર્ચે ચૂંટણી યોજાવવાની છે. જે માટે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ નેતાગીરી તરફથી બે માન મોકલવામાં આવ્યા હતાં. જેમાં ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડીયાના નામ શામેલ હતાં. પરંતુ કોંગ્રેસ હાઈકમાંડ તરફથી આ બંને નામો ફગાવી દેવામાં આવ્યા હતાં. કોંગ્રેસ હાઈકમાન્ડે શક્તિસિંહ ગોહિલ અને રાજીવ શુક્લાના નામ નક્કી કર્યા હતાં. આમ ગુજરાત કોંગ્રેસ તરફથી મોકલવામાં આવેલા બંને ઉમેદવારોના નામોનો છેદ ઉડાડી દેવાતા ધારાસભ્યો ભડક્યા છે.

આ ધારાસભ્યોની માંગણી છે કે, ઉમેદવાર ગુજરાતના સ્થાનિક હોવા જોઈએ. રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યો દ્વારા મતદાન થતુ હોવાથી આ ઉમેદવારો ધારાસભ્યોની પસંદગીના હોવા જોઈએ તેવી માંગ કોંગ્રેસમાંથી ઉઠી છે. આ ધારાસભ્યો ગુજરાતના દિગ્ગજ નેતા ભરત સિંહ સોલંકી અને અર્જુન મોઢવાડીયા પર ભાર આપી રહ્યાં છે. જો આમ નહીં કરવામાં આવે તો 35 ધારાસ્ભ્યોએ સાગમટે રાજીનામા આપવાની ધમકી આપી દીધી છે. આ ધમકીના પગલે ગુજરાત હાઈકમાંડ હરકતમાં આવ્યું છે. તો ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ સક્રીય બની ગયા છે. તેમને શક્તિસિંહ અને રાજીવ શુક્લા એમ બંનેના નામ હાલ અટકાવી દીધા છે.