શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 13 જુલાઈ 2019 (13:26 IST)

ભ્રષ્ટાચારી તો ભગવાનને પણ નથી છોડતા, પાવાગઢમાં ચઢતી ચાંદીની ઘટ 10 ટકાથી વધીને 40 ટકા પહોંચતા કૌભાંડની આશંકા

ગુજરાતની શક્તિપીઠ પાવાગઢના મહાકાળી મંદિરમાં ચઢતી ચાંદીની ઘટ 10 ટકાથી વધીને 40 ટકા સુધી પહોંચી છે. મંદિરના જ ટ્રસ્ટીઓ પૈકી એક ટ્રસ્ટીએ સમગ્ર કેસની તપાસ કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે. હાઇકોર્ટે ચેરિટી કમિશનરને યોગ્ય પગલા લેવા આદેશ કર્યો છે. આ અંગે 2 સપ્તાહમાં રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે.

પાવાગઢના મહાકાળી મંદિરના ટ્રસ્ટીઓ સામે મંદિરના અન્ય ટ્રસ્ટી કૈલાસ ઠાકોર તરફથી એડવોકેટ કૃનાલ શાહે કરેલી અરજીમાં એવી રજૂઆત કરી છે કે મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવાતી ચાંદીને ઓગાળવા માટે લઇ જવાય ત્યારે અને ઓગાળીને પાછી આવે ત્યારે તેમાં 40 ટકા ઘટ પડી રહી છે. પાંચ વર્ષ અગાઉ આ ઘટ 10 ટકા આવતી હતી તે વધી ગઇ છે. વચ્ચેની ઘટ અંગે ટ્રસ્ટીઓ દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. 580 કિગ્રા ચાંદી ગાળવા માટે મોકલી હતી, તે ગાળીને પાછી આવી ત્યારે માત્ર 170 કિગ્રા પાછી આવી હતી. દર વર્ષે આશરે 3થી 4 કરોડ રૂપિયાની ચાંદીની ઘટ કોણ લઇ જાય છે-તે અંગે તપાસ કરવા દાદ માગવામાં આવી છે. આ અંગે જસ્ટિસ એ.વાય કોગ્જેએ જોઇન્ટ ચેરિટી કમિશનરએ આપેલા તપાસ અહેવાલને ચેરિટી કમિશનરે 2 સપ્તાહમાં ચકાસીને યોગ્ય નિર્ણય લેવા આદેશ કર્યો છે.