મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 જૂન 2018 (14:58 IST)

સરકાર અસ્થિર કરવાની સાચી તપાસ થશે તો પ્રધાનના લોકો જ પકડાશે: હાર્દિક પટેલ

રાજ્યની રૂપાણી સરકાર અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સામે સોશિયલ મીડિયા તેમ જ પાસના નેતા હાર્દિક પટેલ દ્વારા રાજીનામા અને આંતરિક કલહને લગતી ટીપ્પણીઓ વાઈરલ કરવાના મામલે ભીંસમાં મૂકાયેલા ભાજપ સરકાર આ આખા મામલે સરકારને અસ્થિર કરવાનાનો ગુના સબબ સાયબર ક્રાઇમને તપાસ સોંપ્યાની બે દિવસને અંતે હાર્દિક પટેલે એવો ટોણો માર્યો હતો કે, જો તટસ્થ તપાસ થશે પ્રધાનના જ લોકો પકડાશે. સરકારમાં તાકાત હોય તો આ મામલે સાચી તપાસ કરી બતાવે. હાર્દિક પટેલે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, સાયબર ક્રાઇમની તપાસમાં સરકારે જે કરવું હોય તે કરી શકે છે. જો મને બોલાવશે તો હું તપાસ માટે સામેથી જઈશ. સરકાર મારી ધરપકડ કરશે તો હું જામીન પણ લઈશ નહીં. જો સરકારે ખરેખર તપાસ કરવી હોય તો છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં અને છેલ્લા ચાર વર્ષથી કેન્દ્રમાં જુઠ્ઠાણાઓ ફેલાવનારી ભાજપ સરકાર સામે કરવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા 14 જૂનના રોજ રાજકોટમાં હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે, સીએમ રૂપાણીનું રાજીનામું લઈ લેવાયું છે, આગામી 10 દિવસમાં નવા સીએમ તરીકે પાટીદાર કે ક્ષત્રિય સમાજમાંથી બનશે. 13 જૂનના રોજ કેબિનેટની બેઠક મળી હતી, જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે અને આગામી સમયમાં તેમનું રાજીનામું મંજૂર કરવામાં આવશે. આગામી સીએમ તરીકેનો ચહેરો ક્ષત્રિય અથવા પાટીદાર હશે. જેમાં હાર્દિકે પ્રદિપસિંહ જાડેજા અને ભીખુભાઇ દલસાણીયાના નામ સીએમના દાવેદાર માટે લીધા હતા. હાર્દિક પટેલના આ દાવા સામે ખૂદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ રદીયો આપવાની સાથો સાથ પ્રતિક્રિયા આપી હતી. જ્યારે ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત સરકારને બદનામ કરવાથી માંડીને અસ્થિર કરવા માટેનું એક ષડ્યંત્ર ચાલી રહ્યું હોવાનું માનીને આ અંગેની તપાસ સાયબર ક્રાઈમને સોંપવામાં આવી છે.