ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 નવેમ્બર 2021 (13:10 IST)

જલારામબાપાની 222મી જન્મજયંતીએ 222 કેક બનાવી, ઘરે-ઘરે રંગોળી પુરાઈ,દર્શનાર્થે ભાવિકોની લાઇન

સૌરાષ્ટ્રના સંત શિરોમણિ જલારામબાપાની આજે 222મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. ઘરે ઘરે રંગોળીઓ અને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. બાપાની જન્મજયંતીને લઇને ઘરે ઘરે આસોપાલવનાં તોરણ બાંધવામાં આવ્યાં છે તેમજ 222 કેક બનાવવામાં આવી છે. ભાવિકોએ દર્શન માટે મોડી રાતથી લાંબી લાઇન લગાવી દીધી છે. કોરોનાના લોકડાઉન બાદ આજે પ્રથમ વખત જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે. ત્યારે જલારામબાપાના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, દેશ-વિદેશમાંથી બાપાના ભક્તો વીરપુરમાં ઊમટી પડ્યા છે. સવારથી જ બાપાનાં દર્શન કરવા માટે ભાવિકોની કતારો લાગી છે અને તેમની જન્મજયંતીને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વીરપુરમાં ઘરે ઘરે રંગોળી દોરવામાં આવતાં દિવાળી જેવો માહોલ ઊભો થયો છે. પૂજ્ય જલારામબાપામાં અપાર શ્રદ્ધાને લઈને ભક્તો પણ લોકોનાં દુઃખ દૂર કરો એવી પ્રાર્થના કરી રહ્યા છે. દેશ-વિદેશમાં ડંકો વગાડનાર પૂજ્ય સંત શિરોમણિ જલારામબાપાની 222મી જન્મજયંતીને લઈને વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય એમ વીરપુરવાસીઓએ ઘેર ઘેર પોતાના આંગણે અવનવી રંગોળીઓ દોરી છે, જેમાં જલારામબાપાના પરચાની આબેહૂબ રંગોળી પણ કરવામાં આવી છે, દિવાળીમાં તો બધા રંગોળી કરતા જ હોય છે, પરંતુ વીરપુરમાં તો જાણે આજે જ દિવાળી હોય તેમ યાત્રાધામને સોળે શણગાર કરવામાં આવ્યો છે. ફૂલ અને આસોપાલવનાં તોરણ બાંધી સમગ્ર ગામને સુશોભિત કરવામાં આવ્યું છે. દિવાળી હોય તેમ ફટાકડા ફોડીને પૂજ્ય બાપાના જન્મદિનનાં વધામણાં કરવામાં આવી રહ્યાં છે. વીરપુર જય જલિયાણના નાદ સાથે જલારામમય બન્યું છે. વીરપુરમાં લોકોએ ઘરે ઘરે રંગોળીઓ અને અલગ અલગ ચોકમાં અવનવા ફ્લોટ તૈયાર કર્યા છે. જલારામબાપાની શોભાયાત્રા પણ નીકળશે તેમજ 222 કિલોની કેક બનાવવામાં આવી છે. દેશ-વિદેશમાંથી બાપાનાં ભક્તો દર્શન કરવા આવ્યા છે. મોડી રાતથી ભક્તોની જલારામબાપાનાં દર્શન કરવા માટે લાંબી લાઈન લાગી છે. મંદિર દ્વારા આજે અહીં આવેલા જલારામબાપાના ભક્તો માટે ખાસ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. બાપાની જન્મજયંતિને લઈને સમસ્ત વિરપુર ગ્રામજનો દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી છે. જલારામ બાપાની શોભાયાત્રાનું વિરપુરના ઐતિહાસિક એવા મીનળવાવ ચોકમાંથી પ્રસ્થાન કરાયું હતું. પૂજ્ય બાપાની 222મી જન્મજયંતિ હોવાથી શોભાયાત્રામાં પણ 222 કેક પૂજ્ય બાપાને ધરવામાં આવી છે. શોભાયાત્રામાં જલાબાપાને કેક ધરીને ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવી હતી. આ કેક પૂજ્ય જલારામબાપાની જગ્યામાં જે ધર્મની ધ્વજા ફરકે છે તે પૂજ્ય બાપાની ધ્વજાના ત્રણ રંગ છે, લાલ, પીળો અને સફેદ તે જ ત્રણ રંગની એક એક કિલોની 222 કેક વિરપુરના સેવાભાવી યુવાનો દ્વારા બનાવવામાં આવી હતી. બાપાની જન્મજયંતીને લઇને વિરપુરવાસીઓમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામની દીકરીઓએ શોભાયાત્રામાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. તેમજ ચોકે ચોકે શોભાયાત્રાનું સ્વાગત કરી બાપાના દર્શન લોકો કરી રહ્યા છે.