બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 ડિસેમ્બર 2019 (11:14 IST)

અમદાવાદ ખાતે કાંકરિયાકાર્નિવલ-૨૦૧૯નો પ્રારંભ, લોન્ચ કરી માય બાઇક

અમદાવાદ શહેર ૬૦૦ વર્ષ જૂનુ પૂરાતન શહેર છે. આ શહેરને તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિવરફ્રન્ટ જેવા પ્રકલ્પો દ્વારા વિશ્વ કક્ષાએ ઉજળું કર્યું હતું. આજે પણ અમદાવાદના વિકાસની યાત્રા વણથંભી ચાલી રહી છે.  'કાંકરિયા કાર્નિવલ -2019'ના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, સતત 11 વર્ષથી કાંકરિયા કાર્નિવલના સફળ આયોજન અને અમદાવાદના નગરજનોની સુખાકારી માટે હરહંમેશ કટિબદ્ધ રહેતા મ.ન.પા.ના અધિકારીઓ/કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. 
વધુમાં કહ્યું કે, આજે વડોદરા ખાતે ૧૭૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું છે અને આજે 1050 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત/ લોકાર્પણ થયું છે ત્યારે સુશાસન દિવસ ગુજરાત માટે યાદગાર બન્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂતકાળમાં રાજકોટ શહેર મેયર તરીકે તેઓના દિવસોને યાદ કરતાં જણાવ્યું કે, કોંગ્રેસની સરકારમાં શહેરમાં વિકાસ કાર્યો પ્રત્યે દુર્લક્ષ્યતા સેવાતી હતી પરંતુ વર્તમાન સરકાર શહેરી વિકાસ કાર્યોની યાત્રા આગળ ધપાવી રહી છે. 
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાતના શહેરો દુનિયાના સૌથી ઝડપી વિકસતા શહેરોમાં સામેલ છે જે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સુશાસનની નવી દિશાની પ્રતીતિ કરાવે છે. 'રેન -બસેરા' અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉલ્લેખ કરી વર્તમાન સરકાર ગરીબો -વંચિતોના જીવનધોરણ સુધારવા સતત ચિંતિત છે તેની ભૂમિકા આપી હતી. 
'જ્યાં માનવી -ત્યાં સુવિધા'ની નેમ સાથે વર્તમાન સરકાર જનસુખાકારીમાં ઉત્તરોત્તર વધારો કરવા કટિબદ્ધ છે. ગુજરાતના શહેરો ડેવલોપમેન્ટ ઈન્ડેક્સની સાથે હેપીનેસ ઇન્ડેક્સમાં પણ આગળ રહે તે માટે સરકાર પ્રયાસરત છે. તેઓએ ગુજરાત વિકાસની નવી ઊંચાઇઓ પ્રાપ્ત કરી રહ્યું છે ત્યારે અટલજીની કવિતા-પંક્તિ 'કદમ મિલાકર ચલના હોગા' ને ધ્યેયમંત્ર બનાવી વિકાસની ગતિને વધુ વેગવાન બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. 
મુખ્યમંત્રીએ બી.આર.ટી.એસ. જનમાર્ગના મુસાફરોની સુવિધામાં વધારો કરતી 38 પ્રદૂષણ રહિત અને ફાસ્ટ ચાર્જિંગની ક્ષમતા ધરાવતી ઇલેક્ટ્રિક બસ તથા ઈલેક્ટ્રીક બાઈક 'માય બાઇકનું' લોકાર્પણ  કર્યું હતું. આ ઉપરાંત રુ.1050 કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ પ્રકલ્પોનુ ઇ-ખાતમુહૂર્ત કર્યુ હતું. કાંકરિયા કાર્નિવલ 2019 ના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રીએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો હતો.
અમદાવાદ શહેર બિજલબેન પટેલે કહ્યું કે, અમદાવાદ શહેર છેલ્લાં ૬૦૦ વર્ષથી વણથંભ્યુ રહ્યું છે. અમદાવાદ હેરિટેજ સિટીની ઓળખ કાયમ રાખીને સ્માર્ટ સિટી  તરફ ઝડપભેર આગળ વધી રહ્યું છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા શહેરની આ વિકાસયાત્રાને આગળ ધપાવવા પ્રતિબદ્ધ છે. મેયરે રૂ.1050 કરોડના ખર્ચે નિર્માણ પામનાર શહેરના વિવિધ પ્રકલ્પો જેવા કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થનાર આવાસ, પૂર્વ અમદાવાદમાં ૧૨૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર ડ્રેનેજ લાઈન 'રેન બસેરા' અને અમદાવાદ ઈ- બાઈક વગેરેની વિગત આપી હતી.
 
મહાનગરપાલિકા કમિશનર વિજય નહેરાએ કહ્યું હતું કે, લાખો અમદાવાદીઓ કાંકરિયા કાર્નિવલની આતુરતાથી રાહત જોતા હોય છે. કાંકરિયા કાર્નિવલ ઉમંગ અને ઉત્સવનો પર્યાય બની ચૂક્યો છે. સાથે જ અમદાવાદની મહાનગરપાલિકા ટીમ શહેરના વિકાસ અને સુખાકારી માટે હંમેશા પ્રતિબદ્ધ છે અને રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.