બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 માર્ચ 2020 (13:25 IST)

દાહોદમાં રસી અને દવા પીવડાવ્યા બાદ એક મહિનામાંજ બે જોડિયા બાળકોનાં મોત

દાહોદ તાલુકાના કટવારા ગામમાં રસી અને દવા પીવડાવ્યા બાદ તબિયત લથડતા એક મહિનાના જોડિયા બાળકોના મોત નીપજ્યા છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. દાહોદ તાલુકાના કટવારા ગામમાં રહેતા રાકેશભાઇ કટારાની પત્નીએ 40 દિવસ પહેલા જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જેમના નામ મયંક અને અર્પિત રાખવામાં આવ્યા હતા. બંને બાળકોને ગત 4 માર્ચના રોજ રસી અને દવા પીવડાવવામાં આવી હતી. ત્યારબાદ બંને બાળકોની તબિયત લથડી હતી. જેથી બંને બાળકોને દાહોદની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે જઇ લવામાં આવ્યા હતા. જ્યાં એક બાળક મયંકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પરિવારે તેના મૃતદેહને દાટી દીધો હતો. બીજા બાળક અર્પિતને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બાળકનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ બાળકના મોતનું સાચુ કારણ જાણી શકાશે. દાહોદ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતક બાળોકોના પિતા રાકેશભાઇ કટારા અમદાવાદમાં છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.