1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 માર્ચ 2020 (13:03 IST)

90 ટકા વળેલા ત્રણ બાળકની સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી

જન્મથી જ એક તરફના મણકાનો વિકાસ ન થતા કમરમાંથી વળીને ચાલતા ત્રણ બાળક પર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી છે. આ સર્જરી બાદ બાળકો હવે સીધા ચાલી શકે છે. સિવિલ હોસ્પિટલમાં રાજ્યભરમાંથી આવી બીમારી સાથે આવતા બાળકોની નિઃશૂલ્ક સર્જરી કરવામાં આવે છે. તબીબોએ જણાવ્યું છે કે, બાળકોને આ પ્રકારની બીમારી અંગે વાલીઓને ધ્યાન આવે તરત જ તબીબનો સંપર્ક કરવો જોઇએ. જેટલી જલદી આ બીમારીનું નિદાન થાય તેટલું જલદી ઓપરેશન કરાવી તેમાંથી છૂટકારો મેળવી શકાય છે. નોંધનીય છે કે, આ ત્રણેય બાળકના જુદા જુદા ઓપરેશન પહેલાં થયા હતા અને ત્યારબાદ જટીલ કહી શકાય તેવી(મણકા)ની સર્જરી કરવામાં આવી હતી. લાખોએ એક વ્યક્તિમાં આવી બીમારી જોવા મળે છે. જન્મથી જ એક તરફનો મણકો વિકસીત ન થયો હોય અને બીજી બાજુનો મણકો વિકસીત થયો હોય તેવા બાળકોને નમીને ચાલુ પડે છે. આ બીમારીના કારણે કોઇ દુઃખાવાની તકલીફ નથી થતી પરંતુ બાળક સીધુ ચાલી શકતું નથી. તેથી તેને બીજી ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી જ બીમારીની તકલીફ સાથે પાટણનો અભી જંસારી, સુરેન્દ્રનગરની રિંકુ સોલંકી અને રાજકોટની હર્ષિદા ખાંડવી સિવિલમાં દાખલ થયા હતા. જેમાં હર્ષિદાનું અગાઉ ચાર વખત કરોડરજ્જુ તથા મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય બે દર્દીના પણ જુદા જુદા ઓપરેશન કરવામાં આવ્યા હતા.  સિવિલ હોસ્પિટલના ઓર્થેપેડિક વિભાગના વડા ડો. જે.વી. મોદી અને તેમની ટીમે ખાસ પ્રકારના સાધનોનો ઉપયોગ કરી તેની સર્જરી કરી હતી. જેથી હવે તે સીધી ચાલતી થઇ ગઇ છે અને આગામી જ દિવસોમાં તેને રજા પણ આપી દેવામાં આવશે. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. જી.એચ. રાઠોડે જણાવ્યું હતું કે, કરોડમાં સ્ક્રૂ મૂકી તેને સીધુ કરવામાં આવી છે. ઓપરેશન બાદ બાળકો સીધુ ચાલી શકે છે અને પછી તેના મણકાનો વિકાસ પણ સીધો થાય છે જેથી ભવિષ્યમાં કોઇ આવી હાલાકી પડતી નથી. આ બીમારી જન્મજાત હોય છે જેથી જેટલું ઝડપી તેનું નિદાન થાય તેટલું સારું. કેમ કે, 18 વર્ષ સુધી આવા દર્દીઓનું ઓપરેશન કરવામાં ન આવે તો પછી તેમાં સારો સુધારો લાવી શકાતો નથી. માતા-પિતાને બાળકમાં આવી ખામી દેખાય તો તાત્કાલીક ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.