સંબંધિત સમાચાર
- Vadodara Bizarre Accident - એક્સીડેંટ્ પછી બ્રિજના સ્ટ્રીટ લાઈટના થાંભાલા સાથે લટક્યો યુવક, ચમત્કારરૂપે બચ્યો જીવ - વીડિયો
- ગુજરાત TAT પ્રીલિમ પરીક્ષાનું પરિણામ જાહેર, રી-ચેકિંગ 18 જૂનથી શરૂ
- ગુજરાતમાં 21 જૂનથી વિધિવત ચોમાસાની શક્યતા: હવામાન વિભાગની આગાહી
- Gir : સાસણ ગીરમાં સફારીની મુદત લંબાવાઈ, 22 જૂન સુધી વનરાજ જોવાની સોનેરી તક
- ચોમાસાને પગલે વન વિભાગનો મોટો નિર્ણય: આજ સાંજથી સાસણ ગીર અને ગિરનાર જંગલના દ્વાર પ્રવાસીઓ માટે 4 મહિના માટે બંધ
વડોદરા-હાલોલ રોડ પર કાળમુખો અકસ્માત: ઊભેલી ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી જતાં 6 ના મોત, NDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન
Vadodara Accident
વડોદરા-હાલોલ રોડ પર એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. બાંસવાડાથી સુરત તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ રસ્તા પર ઊભેલી એક ટ્રક પાછળ ભારે ધડાકા સાથે ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે લક્ઝરી બસના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો અને બસમાં સવાર અનેક મુસાફરો લોહીલુહાણ હાલતમાં અંદર જ ફસાઈ ગયા હતા.
ઘટનાસ્થળે ચીસાચીસ અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
આ દુર્ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરી અને ચીસાચીસનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ ભયાનક અકસ્માતમાં અંદાજે 6 મુસાફરોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 31 જેટલા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબોની ટીમ તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
NDRFની ટીમે બસના પતરાં કાપીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું
અકસ્માતની ગંભીરતાને જોતાં બચાવ કામગીરી માટે NDRF જરોદના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બસનો આગળનો ભાગ સંપૂર્ણ દબાઈ ગયો હોવાથી NDRFની ટીમે કટર વડે બસના પતરાં અને ભાગોને કાપીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. બચાવ કામગીરી દરમિયાન બસની અંદર ફસાયેલા મૃતદેહોને પણ અત્યંત સાવચેતીપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા. આ કામગીરીમાં સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર પણ મદદમાં જોડાયું હતું.
ટ્રાફિક જામની સ્થિતિ અને અકસ્માત અંગે તપાસ શરૂ
આ અકસ્માતને કારણે હાલોલ રોડ પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને સ્થાનિક લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. પોલીસ અને તંત્ર દ્વારા વાહનવ્યવહારને પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરાયા છે. પ્રાથમિક તપાસમાં ઊભેલી ટ્રક પાછળ બસ ઘૂસી જવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે, જોકે અધિકારીઓ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.
