બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 એપ્રિલ 2021 (21:37 IST)

લોકડાઉન લાગુ કરવાની વિચારણા નથી. જનતા- વ્યાપારી સંગઠનો સ્વયંભૂ બંધ પાળે છે તે આવકારદાયક

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદથી 20 નવા ધન્વંતરી આરોગ્ય રથના લોકાર્પણ વેળાએ જણાવ્યું છે કે, રાજ્યમાં ધનવંતરી આરોગ્ય રથ થકી કોરોના દર્દીઓનું અર્લી ડિટેકશન કરી તેઓને સમયસર યોગ્ય સારવાર આપી રાજ્યમાં મૃત્યુ દર ઘટાડવાનો સરકારનો હેતુ છે. કોરોનાના દર્દીઓને સંક્રમણની થતાં જ સારવાર શરૂ કરી શકાય તે માટે રાજ્ય સરકારે લીધેલા પગલાઓ પૈકી આજે પ્રસ્થાન કરાયેલા ધન્વંતરી આરોગ્ય રથ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરીને દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં ઉમેરો કરશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, એક ધન્વંતરી રથ પાંચ આરોગ્ય કર્મીઓ, જી.પી.એસ. સિસ્ટમ, લેપટોપ અને ઇન્ટરનેટ કનેકટીવિટી  ધરાવે છે જેના પગલે આરોગ્ય રથ આરોગ્ય વિભાગને સેન્ટ્રલાઈઝ ડેટા ઉપલબ્ધ કરાવે છે. 
 
આરોગ્ય રથના પ્રસ્થાન બાદ મુખ્યમંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાત સહિત દેશભરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તેવા સમયે રાજ્ય સરકાર આરોગ્ય સુવિધાઓને વધારવા અને સુદ્રઢ કરવા માટે કટિબદ્ધ છે. જે અંતર્ગત સરકારે છેલ્લા આઠ દિવસમાં રાજ્યમાં 15000 બેડ, 3100 ઇન્ટેન્સિવ કેર યુનિટ, 6700 ઓક્સિજન સાથેના બેડ અને 965 વેન્ટિલેટર ઉમેર્યા છે. 
 
મુખ્યમંત્રીએ કહ્યું કે, ચાર મહાનગરોમાં સંક્રમણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે ત્યારે લોકો અનાવશ્યક કારણોથી ઘરની બહાર ન નીકળે અને નિયમોનું પાલન કરે તે જરૂરી છે. સરકારે માસ્ક પહેરવાના નિયમોની કડક અમલવારી માટેના નિર્દેશ આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશના વિભિન્ન રાજ્યોના મુખ્યમંત્રી સાથેની ગત બેઠકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગુજરાત રાજ્યમાં અન્ય રાજ્યોની સાપેક્ષે રેમ્ડેસિવર ઇન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
 
તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારે કોરોનાકાળમાં કોવિડ દર્દી અને મૃત્યુના આંકડા ક્યારેય પણ છુપાવ્યા નથી. સરકાર યથાસ્થિતિ આંકડા સૌ સમક્ષ મૂકવામાં માને છે. કોરોનાને કારણે થતા મૃત્યુની ગણતરીમાં આઇ.સી.એમ.આર.ની માર્ગદર્શિકાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, કોમોર્બિડ દર્દીના મૃત્યુનું પ્રાઈમરી અને સેકન્ડરી કારણ ધ્યાને લઇ માર્ગદર્શિકા મુજબ મૃત્યુનું મુખ્ય કારણ નિર્ધારિત કરવામાં આવે છે. સરકાર દ્વારા કોરોના સંક્રમણની જે વિગતો રજીસ્ટર થાય છે તે જ વિગતો જનતા અને મીડિયા સમક્ષ મૂકવામાં આવે છે.
 
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભારપૂર્વક પુનરોચ્ચાર કર્યો કે , રાજ્ય સરકારનો લોકડાઉન લાગુ કરવાનો કોઈ જ વિચાર નથી અને આપણે લોકડાઉનની દિશામાં જઈ પણ રહ્યા નથી. રાજ્યના કેટલાક ગામડા-નગરોમાં લોકો અને વ્યાપારી સંગઠનો સ્થાનિક પરિસ્થિતિને આધારે સ્વયંભૂ બંધ પાળે છે તે આવકારદાયક છે.
 
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, પર મિલિયન વેક્સિનેશનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. હાલમાં જ ગુજરાતને બીજા પંદર લાખ ડોઝ મળ્યા છે અને આગામી રાષ્ટ્રવ્યાપી રસીકરણ કાર્યક્રમ માટે બીજા ડોઝ પણ મળશે.
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે, 20 નવા ધન્વંતરી આરોગ્ય રથ અમદાવાદના બોપલ, બાવળા, ચાંદખેડા, ગાંધીનગર શહેર, સુરતના કડોદરા અને કિમ, વડોદરાના ફતેગંજ અને શહેર,ગોંડલ, રાજકોટ, દાહોદ, પોરબંદર, અમરેલી, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, બોટાદ, સુરેન્દ્રનગર અને વલસાડ જિલ્લામાં સેવા આપશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ૩૪ ધન્વંતરી આરોગ્ય રથ થકી કોરોના કાળમાં 2,94,525 વ્યક્તિને આરોગ્ય રથનો લાભ પ્રાપ્ત થયો છે. નવા 20 આરોગ્ય રથ ઉમેરાતા રાજ્યમાં આરોગ્ય રથની સંખ્યા ૫૪ થઈ છે.