રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 જુલાઈ 2020 (12:45 IST)

હવામાન વિભાગની આગાહી: 3 દિવસ અમદાવાદમાં 5 ઈંચ સુધી વરસાદની આગાહી

બંગાળની ખાડી અને ઓડિશામાં સક્રીય થયેલું અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે, જે ૧૬ જુલાઇ સુધી ગુજરાત પહોંચીને લો-પ્રેશરમાં પરિવર્તિત થવાની સાથે મોન્સુન ટ્રફ જમીન તરફ આવશે. જેથી આગામી ૧૬ થી ૧૮ જુલાઇ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતાં મેઘમહેર જોવા મળશે. ખાસ કરીને અમદાવાદમાં દોઢથી પાંચ ઇંચ જયારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૮ થી ૧૦ ઇંચ વરસાદ પડી શકે છે.
 
હવામાન વિભાગ દ્વારા આગામી ૧૬ થી ૧૮  જુલાઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ, જૂનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ નવસારી, વલસાડ, દિવ, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર માધ્યમથી ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. 
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર ટી જે વ્યાસ દ્રારા તમામ ઓનલાઈન અધિકારીઓને આવકારી વેધર વોચની મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી. 
 
આ ઉપરાંત દાદરા નગર હવેલી, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપીમાં ભારે વરસાદની આગાહી થઇ શકે છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ થઇ શકે છે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો મધ્ય ગુજરાત અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
રાહત કમિશનર હર્ષદ પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, રાજ્યમાં તા.૧૪/૭/૨૦૨૦ સુધીમાં ૨૬૯.૮૭ મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મીમીની સરખામણીએ ૩૨.૪૮% છે. રાજ્યના તમામ તાલુકામાં વરસાદ ૧ મીમી થી લઈ ૧૩૩૭ મીમી સુધી નોંધાયો છે. 
 
IMD દ્વારા પી.પી.ટી રજુ કરી આગામી અઠવાડીયામાં તા.૧૭ થી ૨૩ જુલાઇ દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારના પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓમાં તથા કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં તથા ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં સામાન્યતઃ હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
 
કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે,  ચાલુ વર્ષે અંદાજીત ૫૭.૩૭ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૧૩/૭/૨૦૨૦ સુધીમાં થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૪૮.૭૯ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૬૭.૫૮% વાવેતર થયુ છે.વન વિભાગ દ્વારા આ બેઠકમાં માહિતી આપતા જણાવાયુ હતુ કે, રાજ્યના તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલ રુમ કાર્યરત કરવાનું આયોજન આયોજન છે જે અંતર્ગત ૨૪ સ્થળોએ કંટ્રોલ રુમ કાર્યરત છે. 
 
આ ઉપરાંત સિંચાઈ વિભાગ, આર & બી વિભાગ, ઊર્જા સહિતના વિવિધ વિભાગ, એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર.એફ દ્વારા પૂર્વ તૈયારી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત તમામને આગામી વરસાદની સીઝનમાં સંભવિત આફતને પહોંચી વળવા સાવચેત રહેવા રાહત કમિશનર દ્વારા સુચના આપવામાં આવી હતી.