શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 ઑક્ટોબર 2018 (13:03 IST)

આદિવાસી વિસ્તારોમાં બંધનું એલાન, કેવડિયા કોલોનીમાં 4000 પોલીસકર્મીઓ તૈનાત

મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લામાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છ. એક તરફ આદિવાસીઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે વિરોધ છે, ત્યારે તેમના લીધે કાર્યક્રમમાં કોઈ વિઘ્ન ઉભું ન થાય તે માટે પોલીસ પૂરી તકેદારી રાખી રહી છે. આજે હજારો આદિવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે તેમને થયેલી મુશ્કેલીઓ સામે બંધ પાળવાના છે. ત્યારે પોલીસે આદિવાસી વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. 
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આદિવાસીઓને માત્ર વિરોધ કરતા જ નથી અટકાવવાના, પરંતુ આજના દિવસે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ ન આવે તે પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. રાજપીપળા તરફ જતા વાહનોનું પણ પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે લોકો વિઘ્ન ઉભું કરી શકે તેના પર પોલીસની નજર છે. બોર્ડર એરિયા પર આવેલા પોલીસ સ્ટેશનોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 
પોલીસે બંદોબસ્ત માટે એક એડિશનલ ડીજી, એક આઈજી, પાંચ એસપી, 30 ડીવાયએસપી, 67 પોલીસ ઈન્સ્પેક્ટર, 317 પીએસઆઈ, 28 માઉન્ટેડ પોલીસ ઉપરાંત છ બોંબ ડિસ્પોઝલ સ્કવોડને પણ તૈનાત કરાઈ છે.સમગ્ર વિસ્તારની સુરક્ષા માટે પોલીસે 20 ડ્રોનને પણ કામે લીધા છે. ઉલ્લેખનીય છે કે, આજે આદિવાસી વિસ્તારોમાં બંધનું એલાન છે. એટલું જ નહીં, આદિવાસીઓએ એવું પણ એલાન કર્યું છે કે આજે તેઓ ચૂલો પણ નહીં સળગાવે.