શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 ઑક્ટોબર 2018 (13:15 IST)

ચાંપતો બંદોબસ્ત હોવા છતાં પરપ્રાંતિઓ પર હૂમલા કોના આશિર્વાદથી થઈ રહ્યાં છેઃ કોંગ્રેસ પ્રમુખ ચાવડા

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા બે દિવસીય કાર્યકર તાલીમ શિબિરનો આજથી પ્રારંભ થયો છે. આ પ્રસંગે કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં પરપ્રાંતીયો પર થઇ રહેલા હુમલાઓ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પોલીસ અને એસઆરપી હોવા છતાં પણ પરપ્રાંતીયો પર હુમલા થઇ રહ્યા છે. ત્યારે આ હુમલાઓ પાછળ સરકારનો ક્યાંકને ક્યાંક છુપો આશીર્વાદ હોવાનું ચોક્કસ લાગી રહ્યું છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની પ્રાથમિક જવાબદારી રાજ્ય સરકારની છે. રાજ્ય સરકાર પાસે પુરતા પ્રમાણમાં પ્રશાસન અને પોલીસ હોવા છતાં પણ આવા હુમલાઓ થઇ રહ્યા છે. જેની કોંગ્રેસ નિંદા કરે છે. કોઇ એક વ્યક્તિએ બળાત્કાર કર્યો તેના કારણે તેમના આખો સમાજ અને પ્રાંતને દોષિત ઠેરવવો અને એની પર હુમલા કરવા કોઇ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. ગુજરાતની આ સંસ્કૃતિ નથી, પરંતુ ગુજરાતમાં પોલીસ અને એસઆરપી હોવા છતાં પણ પરપ્રાંતીયો પર હુમલા થઇ રહ્યા છે. ત્યારે આ હુમલાઓ પાછળ સરકારનો ક્યાંકને ક્યાંક છુપો આશીર્વાદ હોવાનું ચોક્કસ લાગી રહ્યું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના 5 રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહી છે. આ ચૂંટણીઓમાં ભાજપને તેમની સીધી હાર દેખાઇ રહી છે. એટલે લોકોને ગેરમાર્ગે દોરવા માટે ગુજરાતમાં પોલીસના છુપા આશિર્વાદથી આ હુમલા થઇ રહ્યા હોવાનું બધા માની રહ્યા છે.