ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 12 ડિસેમ્બર 2020 (12:29 IST)

હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તૈયાર થશે વધુ એક આકર્ષક મ્યૂઝિયમ, રજૂ કરાશે દેશી રજવાડાના ગૌરવવંતા ઇતિહાસની ગાથા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી બાદ પ૬ર દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરી એક અને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યુ તેની ગૌરવવંતી સ્મૃતિ અને ઇતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઇ રહે તે માટે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આ ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતું ભવ્ય મ્યૂઝિયમ નિર્માણ કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે. 

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના પનોતાપુત્ર સરદાર વલ્લભભાઇ પટેલે ભારતની આઝાદી પછી અખંડ રાષ્ટ્રના સંકલ્પ સાથે નાના-મોટા પ૬ર રાજા-રજવાડાઓ સાથે વિવિધ સ્તરે પરામર્શ-ચર્ચાઓ-બેઠકો કરીને ભારતમાં તેના વિલીનીકરણની સફળતા મેળવી તેની ફલશ્રુતિએ આજે ભારત સમગ્ર વિશ્વમાં એક અને અખંડ રાષ્ટ્ર તરીકે ખ્યાતિ પામ્યુ છે.
 
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કેવડીયામાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા અને અન્ય પ્રવાસન આકર્ષણ માણવા-નિહાળવા આવતા વિશ્વભરના પ્રવાસીઓ સમક્ષ ભારત વર્ષના દેશી રજવાડાઓની ભવ્યતા તેમજ દેશની અખંડિતતા એકતા માટે તેમણે આપેલા ત્યાગની ભાવના સાથે સરદાર સાહેબના પ્રબળ પુરૂષાર્થની પરિણામકારી ગાથા આ ભવ્ય મ્યૂઝિયમ ઊજાગર કરશે.
 
મુખ્યમંત્રીએ પ્રેરક સૂચન કર્યુ કે, આઝાદી બાદ ભારત રાષ્ટ્રમાં વિલીનીકરણ અંગે રજવાડાઓએ સરદાર સાહેબની ઉપસ્થિતીમાં હસ્તાક્ષર કરેલા કરારના દસ્તાવેજો, તે સમયની તસ્વીરો, રાજવીઓના શસ્ત્ર સરંજામ, ભેટ-સોગાદોની ઝાંખી આ બધી ઐતિહાસિક વિગતો પ્રત્યેક રાજ્યના અલાયદા વિભાગો આ મ્યૂઝિયમમાં બનાવીને પ્રસ્તૃત કરવામાં આવે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરિય બેઠકમાં વિજય રૂપાણીએ આ સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે. 
 
દેશના પ૬ર જેટલા રજવાડાઓનો ભવ્ય વારસો, ઝર-ઝવેરાત, કલાકારીગીરીની ચીજવસ્તુઓ તથા તેમના રાજ્યની અમૂલ્ય ચીજવસ્તુઓ, મિલ્કતો-કિલ્લા-મહેલો સહિતના ભવ્ય વારસાની ઝાંખી પણ આ મ્યૂઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે. અત્યાધુનિક ૩-ડી મેપીંગ પ્રોજેકશન, હોલોગ્રાફી, ઓગમેન્ટેડ રિયાલીટી તેમજ ઓડિયો-વિડીયો કંટ્રોલ લાઇટ સીસ્ટમના આકર્ષણો પણ આ મ્યૂઝિયમ નિર્માણમાં જોડવામાં આવશે.
 
ભારતના અલગ-અલગ રાજ્યોના નાના-મોટા રાજવી પરિવારો-રોયલ ફેમીલીઝનો આ હેતુસર સંપર્ક કરીને તેમના સંબંધિત રાજ્યોની સમૃદ્ધ વિરાસતને પણ આ મ્યૂઝિયમમાં શો કેસ કરવામાં આવે. આ મ્યૂઝિયમના નિર્માણ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોગ્ય સ્થળે જમીન ફાળવવાનો પણ સૈદ્ધાંતિક સ્વીકાર આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.
 
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, દેશની એકતા અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર સ્ટેચ્યુ ઓફ યુનિટી સરોવર ડેમ સમીપે કેવડીયામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી નિર્માણ થઇ છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાતે આવનારા દેશ-વિદેશના પ્રવાસીઓ ભારતના ભવ્ય ઇતિહાસને જાણે તે હેતુસર યુનિટીવોલ, એક ભારત શ્રેષ્ઠ ભારત ભવન સહિતના રાષ્ટ્રભાવ ઊજાગર કરતા અનેક આકર્ષણો હાલ ત્યાં છે જ. 
 
હવે, સમગ્ર પ૬ર દેશી રજવાડાઓના ભારતમાં વિલીનીકરણની ભવ્ય ગાથા અને વિરાસત તેમજ સ્વરાજ્યના મહાત્મા ગાંધી સરદાર સાહેબના સપનાને સુરાજ્યમાં સાકાર કરવાની યાત્રામાં આ ઐતિહાસિક મ્યૂઝિયમ અભ્યાસુઓ, સંશોધકો તેમજ પર્યટકો માટે એક નવું નજરાણું બનશે.