1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 નવેમ્બર 2021 (11:19 IST)

વડોદરા જિલ્લામાં તા.૧૮થી ત્રણ દિવસ વિકાસ રથ ફરશે, ગામેગામ યોજનાની માહિતી પહોંચાડશે

રાજ્ય સરકાર દ્વારા અમલીકૃત્ત યોજનાઓની માહિતી ગામેગામ પહોંચાડવા માટે વડોદરા જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિકાસ રથ ફેરવવાનું આયોજન થયું છે. આ રથ આગામી તા.૧૮થી ત્રણ દિવસ સુધી વડોદરા જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો દીઠ ફરશે અને વિકાસ જાગૃત્તિ ફેલાવશે. 
 
કલેક્ટર આર. બી. બારડની અધ્યક્ષતામાં ઉક્ત વિકાસ રથના પરિભ્રમણ આયોજન અંગે મળેલી બેઠકમાં એવી વિગતો રજૂ થઇ હતી કે, જિલ્લા પંચાયતની બેઠકો ઉપર સવાર અને સાંજે એમ બે સત્રમાં ચાર-ચાર કલાકના કાર્યક્રમો યોજાશે. કુલ ત્રણ રથ એક દિવસમાં બે બેઠકો ઉપર ફરશે. જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠકો છે. 
 
વિકાસ રથની સાથે સવારમાં પ્રભાત ફેરી કાઢવામાં આવશે. એ બાદ સવારમાં જ એક કલાક ગામના જાહેર સ્થળોની સફાઇ કરવામાં આવશે. રથનું આગમન થયા બાદ ગામના સરપંચ, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવશે. 
 
એ બાદ નિયત સ્થળે નાના કાર્યક્રમમાં સ્વચ્છ ભારત ગ્રામીણ મિશન કૌશલ્ય વિકાસ અંતર્ગત માહિતી પૂરી પાડી દસ્તાવેજી ચલચિત્રના નિદર્શન થશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને સહાયના હપ્તાની ચૂકવણી, નવા આવાસોના ખાતમુહૂર્ત અને બની થયેલા આવાસોના લોકાર્પણ થશે. 
 
આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને અટકાવવાની સમજણ આપવાની સાથે કોરોના વાયરસ સામેની રસી આપવાના કેમ્પ પણ યોજાશે. સગર્ભા, ધાત્રીમહિલાઓને આરોગ્ય અને પોષણલક્ષી માહિતી આપવામાં આવશે. પાણી પુરવઠા અને વાસ્મો દ્વારા યોજનાકીય કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. કૃષિ તથા પશુપાલન વિભાગની યોજનાના લાભો અને સહાયનું વિતરણ કરાશે. 
 
ગામ દીઠ સંકલન કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવશે. સાથે, રથ ઇન્ચાર્જ પણ રહેશે. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સંજય પંડ્યા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.