ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: મંગળવાર, 13 ઑક્ટોબર 2020 (06:55 IST)

Parama Ekadashi Katha: આ એકાદશી કરવાથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે

અધિક જેઠ વદ અગિયારસને પરમા એકાદશી કહે છે. આ એકાદશી દર 3  વર્ષે આવે છે.  આજે પરમા એકાદશી છે.  આ એકાદશી પરમ પવિત્ર અને પાપ દૂર કરનારી છે. સ્ત્રી તથા પુરુષોને મોક્ષ આપનાર છે તથા દુઃખ અને દારિદ્રનો નાશ કરનારી છે. જે લોકોના જીવનમાં ભાગ્યોદય ન થતો હોય તો આ એકાદશીનું વ્રત કરવાથી ભાગ્યોદય થાય છે અને પોતે કરેલી મહેનતનું પૂરતું ફળ મળે છે. યશ, માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. પૂર્વે કુબેરે આ એકાદશીનું વ્રત કર્યું હતું અને ભગવાન રુદ્ર થયા અને ધનના રાજા બનાવાયા. મહારાજા હરિશ્ચંદ્રએ પણ પુત્ર વેચી દીધા હતા બાદમાં તેઓએ આ વ્રત કરવાથી પુત્ર અને રાજ્ય બંને પાછા મેળવ્યા હતા.
 
પરમા એકાદશીની વ્રતવિધિ
પ્રાતઃકાળે ઉઠીને પાણીની ડોલમાં ગંગાજળ પધરાવી સ્નાન કરવું, ત્યારબાદ શંકર-પાર્વતીની પૂજા કરી, પૂજામાં તાંબાનો કળશ મૂકવો, તેમાં થોડું જળ, સોપારી, અબીલ ગુલાલ, કંકુ, આસોપાલવ પાન પધરાવવા, એક તરભાણામાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ અથવા સોપારી પધરાવવી પૂજન કરવું. નાડાછડીની જનોઈ, ચાંદલો, ચોખા કરી નૈવેદ્ય ધરી અને આરતી કરવી, પ્રાર્થના કરવી.
 
એકાદશી પ્રારંભ અને પારણા
એકાદશી પ્રારંભ : 12 ઓક્ટોબર, બપોરે 4 થી 38 મિનિટ
એકાદશી પૂર્ણાહુતિ : 13 ઓક્ટોબર બપોરે 2 કલાક અને 35 મિનિટ
વ્રતના પારણા : 14 ઓક્ટોબર સવારે 8 કલાક 39 મિનિટ પછી. 
 
પરમા એકાદશી વ્રતકથા 
 
મહાભારત કાળમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને પરમ એકાદશી વ્રતનું મહત્વ જણાવ્યું હતું. શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે એકાદશી વ્રત બધા વ્રતમાં શ્રેષ્ઠ છે. આ ઉપવાસ મોક્ષ આપે છે અને તમામ પ્રકારના પાપોથી મુક્તિ આપે છે. આ વ્રત જીવનમાં સુખ - સમૃદ્ધિ લાવે છે. આ વ્રત એવા લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે જેમના જીવનમાં પૈસાથી સંબંધિત સમસ્યાઓ હોય છે. પૌરાણિક માન્યતા મુજબ, પરમ એકાદશીનું વ્રત કરીને જ કુબેર પણ ધનપતિ બન્યા હતા. પરમ એકાદશી વ્રત ગરીબી દૂર  કરે છે. 
 
આ વ્રત પણ નિર્જળા રાખવામાં આવે છે. આ દિવસે વ્રતનો સંકલ્પ લેતા પહેલા સ્નાન કરવું જોઈએ અને સ્વસ્છ કપડાં પહેરવા જોઈએ અને પૂજા સ્થળે બેસીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. આ પછી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવની પણ પૂજા કરવામાં આવે છે.  
 
કામ્પિલ્‍ય નગરીમાં સુમેધા નામનો અત્‍યંત ધર્માત્‍મા બ્રાહ્મણ રહેતો હતો. એની સ્‍ત્રી અત્‍યંત પવિત્ર તથા પતિવ્રતા હતી. બ્રાહ્મણ અને તેની પત્ની મળીને અતિથિઓનો ખૂબ સેવા-સત્કાર કરતા હતા. તેઓ ગરીબ હતા તેથી તેમની પાસે ધન ધાન્ય નહોતુ છતા તે પોતાની આર્થિક પરિસ્થિતિ મુજબ તેઓ અતિથિઓની સેવામાં વિશ્વાસ કરતા હતા.  એક દિવસ સુમેધાએ પોતાની પત્‍નીને કહ્યું કે, ગૃહસ્‍થજીવન ધન વિના નથી ચાલતું, આથી હું પરદેશ જઇને ઉદ્યોગ કરું. પત્‍નીએ કહ્યું, મનુષ્‍યને પૂર્વજન્‍મના કર્મોનું ફળ મળે છે. ભાગ્‍યમાં જે હશે તે અહીંયા જ મળી જશે. બ્રાહ્મણે પત્નીની વાત માની લીધી અને ઘરે જ રહેવાનુ નક્કી કર્યુ. એક સમય કૌન્ડિન્‍ય મુનિ ત્‍યાં આવ્‍યાં. મુનિને એમણે આસન અને ભોજન આપ્‍યું. ભોજન પછી તેમને મુનિને પુછ્યુ કે અમારી દરિદ્રતા દૂર કરવાનો કોઈ ઉપાય બતાવો. કૌન્ડિન્‍ય મુનિ બોલ્‍યાઃ અધિકમાસની કૃષ્ણપક્ષની ‘પરમા’ એકાદશીના વ્રતથી બધા પાપ, દુઃખ અને દરિદ્રતા વગેરે નષ્‍ટ થઇ જાય છે. મુનિના કહ્યા પ્રમાણે પરમા એકાદશીનું વિધિ વિધાન પૂર્વક વ્રત કર્યું. આ વ્રત સમાપ્‍ત થતા જ બ્રાહ્મણ પતિ-પત્‍ની વ્રતના પ્રભાવે તેમની દરિદ્રતા દૂર થઈ ગઈ. તેમને અપાર સંપત્તિની પ્રાપ્તિ થઈ. ત્યારબાદ બ્રાહ્મણ દંપત્તિએ સતકર્મ કરતા પોતાનુ જીવન વ્યતીત કર્યુ.  આ લોકમાં અત્‍યંત સુખ ભોગવી અંતે સ્‍વર્ગલોકમાં ગયાં
 
જળકુંભનું દાન કરવું ઉત્તમ
શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે, પરમા એકાદશીના દિવસે જળકુંભનું દાન કરવું ઉત્તમ માનવામાં આવે છે. ઉપરાંત બ્રાહ્મણને તલથી પૂર્ણ પાત્રનું દાન કરવાથી દરિદ્રતા દૂર થાય છે. ઘી ભરેલા પાત્રનું દાન કરવાથી સૂર્યની શક્તિની પ્રાપ્તિ થાય છે.  વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.