બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 એપ્રિલ 2020 (17:32 IST)

અમદાવાદ અને સુરત પછી રાજકોટના જંગલેશ્વરમાં મધરાતથી કર્ફ્યુનો અમલ થશે

અમદાવાદ, સુરત અને બાદ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં મધરાતથી કર્ફ્યુનો અમલ થશે. 50 હજારની વસ્તીવાળા વિસ્તારમાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટમાં SRPની ત્રણ કંપનીઓ તેનાત રહેશે. નદીના પટ વિસ્તારમાંથી લોકો ફરવા નીકળતા હોવાનું ધ્યાને આવતા નદીના પટ વિસ્તારમાં ઘોડેસવારથી પેટ્રોલિંગ કરવામાં આવશે. કર્ફ્યુ દરમિયાન અમદાવાદમાં 74 ગુના દાખલ થયા છે. જેમાં 82 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સુરતમાં 26 ગુનામાં 26 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે.  રાજ્યમાં નવા 92 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1021 થઇ છે. નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ કેસ અમદાવામાં 45, સુરતમાં 14, વડોદરામાં 9, ભરૂચમાં 8 કેસ નોંધાયા છે. તેમજ 2 દર્દીના મોત નીપજ્યાં છે. 901 દર્દી સ્ટેબલ છે અને 8 દર્દી વેન્ટિલેટર પર છે. 24 કલાકમાં 1608 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 150 પોઝિટિવ આવ્યા  હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.  રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ આવ્યો છે.  દરમિયાન મોડી રાત્રે ભરૂચમાં વધુ ચાર કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ નિભાવતી મહિલા સિક્યુરિટી ગાર્ડ અને 16 વર્ષના એક કિશોરનો પણ સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં કુલ  17 પોઝિટિવ કેસ નોંધાયા છે. મહિસાગર જિલ્લાના વીરપુરમાં સાઉદી અરબથી આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મહિસાગર જિલ્લાનો આ પ્રથમ પોઝિટિવ કેસ હોવાથી તંત્રમાં દોડધામ મચી છે.  28 ફ્રન્ટ લાઈન વોરિયર્સ કોરોના પોઝિટિવ છે,તમામની સારવાર થઈ રહી છે.