મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 મે 2020 (14:12 IST)

મુસાફરોના અભાવે અમદાવાદ આવતી-જતી 90માંથી 45 ફ્લાઇટ રદ

અમદાવાદ સહિત દેશભરમાં 25 મેથી પસંદગીના રૂટ પર ડોમેસ્ટિક ફ્લાઇટોનું સંચાલન શરૂ કરાયું છે. મંગળવારે બીજા દિવસે અમદાવાદ એરપોર્ટથી શિડ્યુલ્ડ 90 જેટલી ફ્લાઇટમાંથી 50 ટકા જેટલી ફ્લાઈટોનું સંચાલન કરાયું હતું, જ્યારે બાકીની કેન્સલ કરવામાં આવી હતી. એરપોર્ટ અધિકારીના જણાવ્યા મુજબ લોકડાઉનને પગલે અમદાવાદ સહિત અનેક શહેરોમાં મોટી સંખ્યામાં લોકો ફસાઈ ગયા હતા. જો કે 25 મેથી 30 જૂન સુધી પસંદગીના રૂટ પર ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત બાદ લોકડાઉનમાં ફસાયેલા લોકો સહિત અન્ય કેટલાક લોકોએ પણ બુકિંગ શરૂ કરાવ્યું હતું. જો કે અનેક રાજ્યોમાં હજુ 30 જૂન સુધી લોકડાઉનમાં કોઈ છુટ અપાઈ નહીં હોવાની સાથે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ જેવા કેટલાક રાજ્યોએ હજુ સુધી ફ્લાઈટોના સંચાલનને મંજૂરી આપી નથી. જ્યારે કેટલાક રાજ્યોએ અન્ય રાજ્યમાંથી આવતા લોકોને ફરજિયાત ક્વોરન્ટીન કરવાની જાહેરાત કરી છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો હજુ પણ પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. જેના પગલે ફ્લાઈટમાં પુરતા પેસેન્જરો મળતા નથી.  આ પરિસ્થિતિમાં ગોએર દ્વારા જૂનના પ્રથમ સપ્તાહમાં ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે અનેક ફ્લાઈટમાં પુરતા પેસેન્જર ન હોવાથી છેલ્લી ઘડીએ રદ કરી પેસેન્જરોને એજ રૂટની અન્ય ફ્લાઈટમાં મોકલવામાં આવી રહ્યા છે. મંગળવારે અમદાવાદથી ઇન્ડિગોની 10, એર ઇન્ડિયાની 2, વિસ્તારાની 2, એર એશિયાની 4 સહિત અન્ય ફ્લાઈટો રદ કરવામાં આવી હતી.