શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 સપ્ટેમ્બર 2020 (12:08 IST)

અમદાવાદમાં 25 માર્ચથી બંધ મેટ્રો સેવા આજથી શરૂ, આમ કરશો તો જ પ્રવેશ મળશે

અમદાવાદમાં પણ મેટ્રો રૂટ ચાલુ કરવામાં આવ્યાં છે. શહેરમાં સવારે 11 થી 12.10 કલાક મેટ્રો ચાલશે. જ્યારે સાંજે 4.25 થી 5.10 કલાક સુધી મેટ્રો ટ્રેનની સેવા મળશે. મહત્વનું છે કે, લૉકડાઉનને લઇને 25 માર્ચથી મેટ્રો ટ્રેન બંધ કરી દેવામા આવી હતી.સરકારની કોવિડ ગાઇડલાઇનને  અનુસરી લોકો મેટ્રો સેવાનો લાભ લઇ શકશે. જેમાં મેટ્રો ટ્રેનમાં મુસાફરોએ એક સીટનું અંતર રાખી બેસવું પડશે. જ્યારે માસ્ક વિના મેટ્રોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. મેટ્રો સ્ટેશનમાં જતા પહેલા થર્મલ સ્ક્રિનીંગ ફરજિયાત કરવાનું રહેશે. મુસાફરો માટે ટોકનનો ઉપયોગ નહી થાય, માત્ર મેટ્રો કાર્ડ ચાલશે. એક સમયે મેટ્રોમાં 90 લોકો જ બેસી શકશે. શહેરમાં વસ્ત્રાલથી એપરલ પાર્ક રૂટ પર મેટ્રો સેવા શરૂ થાય તે પહેલાની સ્ટેશન સહિતની તમામ જગ્યાએ સેનેટાઈઝેશન કરવામાં આવ્યું હતું. ટ્રેન કોચમાં સોશિયલ ડિસ્ટન્સિંગના સ્ટીકર પણ લગાવવામાં આવ્યાં છે.મેટ્રો ટ્રેનમા વસ્ત્રાલ ગામથી એપરલ પાર્કની રુપિયા 10ની ટીકીટ છે. તંત્રનુ માનીએ તો મેટ્રો ટ્રેનમાં રોજના 1000 મુસાફરો મુસાફરી કરે છે. જેની પ્રતિદિન દસ હજારની આવક થાય છે. લૉકડાઉનમાં મેટ્રો રેલ સેવાને 16.70 લાખ જેટલું નુકસાન થઇ ગયું છે.નોંધનીય છે કે, કેન્દ્રીય શહેરી અને આવાસમંત્રી હરદીપસિંહ પૂરીએ કહ્યું હતું કે, સાત સપ્ટેમ્બરથી મેટ્રો સેવા શરૂ થશે અને 12 સપ્ટેમ્બર સુધીમાં તમામ લાઇનો પર મેટ્રો શરૂ થઈ જશે. જ્યાં 30 સપ્ટેમ્બર સુધી લૉકડાઉન લાગુ છે એવા કન્ટેનમૅન્ટ ઝોન વિસ્તારમાં આવતાં મેટ્રો સ્ટેશન બંધ રહેશે.