શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 22 એપ્રિલ 2020 (10:40 IST)

રાજ્યમાં તમામ યુનિવર્સિટીઓ હસ્તકની કોલેજોમાં આગામી દિવસોમાં પરીક્ષા લેવાશે: શિક્ષણ મંત્રી

રાજ્યની સરકારી તથા ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષાઓ લેવા સંદર્ભે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે મહત્વની સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આગામી દિવસોમાં યુનિવર્સિટીઓ હસ્તકની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાઓ લેવામાં આવશે. પરંતુ યુ.જી.સી. દ્વારા પરીક્ષાઓ અને અન્ય બાબતો અંગે નિર્ણય લેવા માટે નિષ્ણાત સભ્યોની સમિતિના સૂચનો અને ભલામણો અનુસાર પરીક્ષાઓ અંગેની માર્ગદર્શિકા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે અને તે મુજબ પરીક્ષા લેવામાં આવશે. આજે કોરોના કોવિડ-19 સંદર્ભમાં રાજ્યની સરકારી તથા ખાનગી યુનિવર્સિટીઓએ લોકજાગૃતિ અને કોરોનાથી જરૂરી રક્ષણ મેળવવા સંદર્ભે કરેલી કામગીરીની સમીક્ષા કરવા ગાંધીનગર ખાતે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મહત્વની સ્પષ્ટતા કરી હતી. યુનિવર્સિટીઓની પરીક્ષાઓ અંગે શિક્ષણમંત્રીએ કુલપતિઓને એમ પણ જણાવ્યું હતું કે, ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે યુનિવર્સિટીઓની પરીક્ષા યોજવા બાબતે માર્ગદર્શિકા નક્કી કરવા જે ટાસ્કફોર્સની રચના કરી છે તેના માર્ગદર્શન પ્રમાણે પરીક્ષા સંદર્ભે આપણે આગળ વધવાનું રહેશે. કોલેજના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષાઓ કઈ રીતે લેવી તેના સૂચનો સત્વરે મોકલી આપવા માટે પણ શિક્ષણ મંત્રીશ્રીએ કુલપતિઓને અપીલ કરી હતી. સમગ્ર રાજ્યમાં કોરોના કોવિડ-19ના કારણે સર્જાયેલી પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ એક પડકારરૂપ સમય છે. ભવિષ્યમાં કોઈપણ પ્રકારની આફતને પહોંચી વળવા માટે જનજાગૃતિ, તાલિમ, શિક્ષણ અને માર્ગદર્શન આપે તેવો યુનિવર્સિટી અભ્યાસક્રમ તૈયાર કરવો. તેમણે જણાવ્યું હતું કે કોરીનાએ દુનિયામાં વહેવાર અને વહીવટની પદ્ધતિ નાખી છે. હવે જીવન પદ્ધતિ અને જીવનશૈલી પણ બદલવી પડશે. અગાઉની આફતો દ્રશ્ય આફતો હતી, જે આપણે જોઈ શકતા હતા અને જેમનો આપણે સફળતાપૂર્વક સામનો પણ કર્યો છે. પરંતુ આ આફત અદ્રશ્ય હોવા છતાં પણ સમગ્ર દેશ અને આપણા રાજ્યની જનતા અને વહીવટીતંત્ર તેનો હિંમતભેર સામનો કરી રહ્યા છે. આગામી દિવસોમાં સ્ટાર્ટઅપના માધ્યમથી ઘરમાં, કચેરી કે વાહનોમાં સેનીટાઈઝેશનની વ્યવસ્થા આપોઆપ થઈ જાય તેવા પ્રયોગોના સંશોધનની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. આ વીડિયો કોન્ફરન્સમાં શિક્ષણરાજય મંત્રી  વિભાવરીબેન દવેએ ઉપસ્થિત રહેતા જણાવ્યું હતું કે, આપણે માટે આ આપતિને અવસરમાં પલટાવવાનો સમય છે.