ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 17 માર્ચ 2021 (08:16 IST)

ગુજરાતનું ૬ ટકા જેટલું ઘટ્યું, માથાદીઠ આવક રૂ. ૨,૪૬,૩૨૯ રૂપિયા જેટલી થઇ

ચૌદમી વિધાનસભાના આઠમા સત્રના આજના દિવસે થયેલી ''અંદાજપત્ર'' પરની સામાન્ય ચર્ચાના અંતિમ દિવસે, આ ચર્ચા ઉપરનો જવાબ પાઠવતા રાજ્યના નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં બહુ સ્પષ્ટતાથી જણાવ્યું હતું કે, મારા દ્વારા રજૂ કરવામાં આવેલું રૂ. ૨,૨૭,૦૨૯ કરોડનું વર્ષ ૨૦૨૧-૨૨ ના વર્ષનું રાજ્યનું સામાન્ય બજેટ રાજ્યની જનતાના સર્વાંગીણ વિકાસને પોષતું બજેટ છે. ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન રજુ થયું હોય તેવું સૌથી મોટા કદનું આ બજેટ, ગત નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ કરતા રૂ. ૯૭૪૨ કરોડ જેટલું વધુ છે. 
 
નાણામંત્રી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારે હંમેશા લોકોના સાર્વત્રિક અને સર્વાંગીણ  વિકાસની ચિંતા કરી છે. આ માટે અમારી સરકારે ખેડૂતો માટે વિવિધલક્ષી યોજનાઓ, માછીમારી કરતા ભાઈઓ માટે ''સાગરખેડુ'' યોજના, આદિજાતિ કલ્યાણ માટે ''વનબંધુ વિકાસ યોજના'' સહિતની સંખ્યાબંધ યોજનાઓ અમલમાં મુકવાની સાથે-સાથે ખાસ કરીને ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ થાય તે માટેના ભરપૂર પ્રયાસો કર્યા છે.
 
એક સમય હતો જયારે ગુજરાતના ''ખેતીવાડી ઉત્પન્ન બજારો''માં કાગડા ઉડતા હતા,  અમારી સરકારે ખેડૂતોને નર્મદા અને ''સૌની યોજના'', ''સુજલામ સુફલામ જળ સંચય અભિયાન'' દ્વારા અઢળક સિંચાઈ, ખેડૂતોને સસ્તા દરે વીજળી, વડાપ્રધાન મોદીએ લાગુ કરેલી ''ખેડૂત સન્માન નિધિ યોજના'' તેમજ ખેડૂતોને ઉપલબ્ધ શૂન્ય ટકાના દરે લોન મારફત જે ખડૂત ઉત્થાનના પ્રયાસો કર્યા છે તેનાથી આજે રાજયના ''ખેતીવાડી ઉત્ત્પન્ન બજારો'' ઘઉં-રાયડો-એરંડા-કપાસ-મગફળી-ચણા-ડાંગર અને અન્ય તેલીબિયાંના પાકોથી ઉભરાઈ રહયા છે. 
 
નીતિન પટેલે ઉમેર્યું હતું કે, અગાઉ મધ્ય-દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક હિસ્સામાં કેળા-કેરી-મોસંબી અને અન્ય કેટલાક ફળફળાદીના પાકો થતા હતા, આજે સિંચાઈ અને અન્ય આનુસંગિક ઉપલબ્ધતાને લીધે ગુજરાતનો ખેડૂત તમામ પ્રકારના ફળફળાદિ પાકોનું માત્ર ઉત્પાદન કરતો નથી પરંતુ તેની ભરસક નિકાસ કરે છે. આ માટે હું ગુજરાતના મહેનતુ ખેડૂતો, ખેતમજૂરો, કૃષિ વિજ્ઞાનીકો, સંશોધકો અને અમારી કૃષિ યુનિવર્સીટીઓને અભિનંદન પાઠવું છું. મને કહેતા વિશેષ ગૌરવની અનુભૂતિ થાય છે કે, ગતવર્ષે રાજ્યમાં  રૂ.૧,૭૩,૦૦૦ કરોડનું જંગી કૃષિ ઉત્પાદન થયું હતું. 
 
ગુજરાતના ખેડૂતોની સમૃદ્ધિ નર્મદા યોજનાને આભારી હોવાનું જણાવતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, 1960માં શરુ થયેલી અને ત્યારબાદની સરકારોના કારણે વર્ષો સુધી ખોરંભે પડેલી ''નર્મદા યોજના''ના દ્વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના હસ્તે ખુલ્યા. આ નદી ઉપરના સરદાર સરોવર બંધને પૂરતી ઊંચાઈ મળી, ભવ્ય નહેરોનું નિર્માણ થયું અને આશરે ૧૮ લાખ હેક્ટર જમીન સુધી નર્મદા યોજના થકી સિંચાઇનું પાણી પહોંચતું કરવામાં અમારી સરકારો સફળ રહી છે. 
 
આ પ્રસંગે નીતિનએ ગાંધીજીનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે, ''ભારત ગામડામાં વસે છે''- આપણાં પાયામાં ગામડું છે, ખેતી અને પશુપાલન છે. યાદ રહે નર્મદા યોજના, મુખ્યમંત્રીવિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળની ‘’સૌની યોજના’’, સુજલામ સુફલામ જળસંચય યોજના, ચેકડેમો અને ખેત-તલાવડીના પુનઃ જીવન તથા ડેમો-તળાવો મારફત સિંચાઈ અને જળસંચય મારફત આપણાં મહેનતુ ખેડૂતો અને ખાસ કરીને બહેનોએ પશુપાલન દ્વારા રાજ્યમાં મબલખ દૂધ ઉત્પાદન કરી બતાવ્યું છે. 
 
સહકારી મંડળીઓ મારફત દૂધના વેંચાણ દ્વારા આપણી બહેનો લાખો કમાતી થઇ છે. એટલું જ નહિ, દૂધનું પણ '''વેલ્યુ એડિશન'' થતાં તેમાંથી આઈસ્ક્રીમ-ચોકલેટ-માખણ-મીઠાઈઓ સહિતની સંખ્યાબંધ ચીજવસ્તુઓ દેશદેશાવરમાં મળતી થઇ છે. ગુજરાત સરકારે દૂધના પાવડરમાં સબસીડી આપવાનું શરુ કરતા તેનું અનુસરણ અન્ય રાજ્યોએ પણ કરવું પડ્યું અને આપણા રાજ્યના ખેડૂતોની સાથે દેશના અન્ય રાજ્યના ખેડૂતો પણ લાભાન્વિત થયા.  
 
ગુજરાતની આશરે ૪ કરોડની જનતાને પીવાનું, સિંચાઇનું પાણી તથા લાખોની સંખ્યામાં પશુધનને પાણી પહોંચતું કરી-ગુજરાતની આ મહત્વાકાંક્ષી ''નર્મદા યોજના'' માટે સરકારે રૂ.૬૫,૦૦૦ કરોડનો ખર્ચ કરવો પડ્યો છે. જો કે, રાજયની પ્રજાના વિકાસ માટે ‘’દેવું’’ કરીને પણ ખર્ચ કરવો પડે તો પણ એ અમને માન્ય છે. 
 
નાણામંત્રી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિપક્ષી નેતાઓ દ્વારા ગુજરાતના વધી રહેલા ‘’દેવાં’’ સંદર્ભે સણસણતો પ્રત્યુત્તર પાઠવતા જણાવ્યું હતું કે, દુનિયાનો ભાગ્યે જ કોઈ દેશ એવો હશે જેને ક્યારેક-કોઈક પાસેથી એક-યા-બીજી રીતે દેવું લીધું કે કર્યું ન હોય ! 'દેવું'' એ એક પરંપરા છે. 
 
આપણે પણ વર્ષોથી લોન મારફત દેવું લઈએ છીએ. ભાજપ સાશિત સરકારો ઉપર દેવું વધ્યાનો આક્ષેપ ધરાતલથી નકારી કાઢતા નીતિન પટેલે આંકડાઓ સાથે જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૮૭-૮૮ માં રાજ્યના નાગરિકોની માથાદીઠ આવકની સરખામણીમાં રાજ્યનું દેવું રૂ. ૩૬૭૯ કરોડ, ૧૯૮૮-૮૯ માં રૂ. ૪૧૬૧ કરોડ, વર્ષ ૧૯૯૦-૯૧ માં રૂ. ૪૧૯૪ કરોડ, વર્ષ ૧૯૯૧-૯૨ માં રૂ. ૫૯૦૦ કરોડ જયારે વર્ષ ૧૯૯૨-૯૩ માં રૂ. ૬૯૨૦ કરોડનું દેવું હતું. વર્ષ ૧૯૯૨-૯૩ માં જે દેવું હતું તે દેવાની ટકાવારી કુલ માથાદીઠ આવકની સરખમણીયે જોવા જઈએ તો ૨૨.૫૯ % જેટલું થવા જાય છે. 
 
કોંગ્રેસ શાસિત આ સરકારોની સાપેક્ષમાં જ્યારથી ભાજપનું રાજ્યમાં શાસન આવ્યું છે ત્યારથી જોઈએ તો આજદિન સુધીમાં અને વર્ષ ૨૦૧૯-૨૦ માં અમારી સરકારનું દેવું ઘટીને ૧૬.૧૯ % જેટલું થવા જાય છે. જે દર્શાવે છે કે આમારા શાસનકાળમાં રાજ્યનું દેવું ઉત્તરોત્તર ઘટી રહ્યું છે. વર્ષ ૧૯૯૫-૯૬ માં અમારા પ્રથમ બજેટનું કદ રૂ. ૧૦,૭૮૨ કરોડનું હતું, જે આ વર્ષે ૨૦૨૧-૨૨ માં રૂ. ૨,૨૭,૦૨૯ કરોડનું થયું છે. 
 
યાદ રહે, વર્ષ ૧૯૬૦-૬૧ માં ગુજરાત રાજયની ''ગ્રોસ સ્ટેટ ડૉમેસ્ટિક પ્રોડક્ટ'' (જીએસડીપી)થી  આવક રૂ. ૭૩૮ કરોડની હતી અને માથાદીઠ આવક માત્ર રૂ. ૩૬૨ ની હતી, જે વર્ષ ૨૦૧૯-૨૦ માં જીએસડીપીથી  રૂ.૧૬,૪૯,૫૦૫ કરોડ થઇ છે અને માથાદીઠ આવક રૂ. ૨,૧૬,૩૨૯ ઉપર પહોંચી છે, જે રાજ્યના વિકાસની દ્યોતક છે. 
 
આ પરિસ્થિતિમાં માનનીય મુખ્યમંત્રીવિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળની અમારી આ સંવેદનશીલ સરકારે ''દેવું'' નહિ કિન્તુ લોકકલ્યાણના કાર્યો ચોક્કસ ''વિઝન' કેળવીને કર્યા છે, તેનો કોંગ્રેસે સ્વીકાર કરવો જ રહ્યો. 
 
ખાસ કરીને, કોરોનાની કપરી પરિસ્થતિમાં ખાનગી-ટ્રસ્ટ સંચાલિત કે સરકારી હોસ્પિટલોના માધ્યમથી આશરે રૂ. ૧૮૦૦ કરોડનો ખર્ચ કરીને રાજ્યના પ્રત્યેક નાગરિકની સેવા-સુશ્રુષાનું જીવદયારૂપ કાર્ય અમારી સરકારે કર્યું છે, તેમ શ્રી પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું. અમારી સરકારના મંત્રીઓ-પદાધિકારીઓ-અધિકારીઓ અને લગભગ તમામ સરકારી કર્મચારીઓએ પછી તે પોલીસ-આરોગ્યકર્મી-મહેસુલ-અન્ન પુરવઠા કે અન્ય વિભાગનો હોય, તમામે ૧૮-૧૮ કલાક કામ કરીને કોરોનાકાળમાં રાજ્યની જનતા માટે ખડેપગે કામગીરી કરી છે. આ કામગીરીમાં વિપક્ષી સભ્યોએ પણ ''જાગતા રહેવું અને જાગતા રાખવા'' ના ન્યાયે અમારું જ્યાં જરૂર જણાય ધ્યાન દોર્યું હતું, આ માટે તેમનો પણ આભાર માનવો ઘટે. 
 
દરમિયાન, નીતિન પટેલે જણાવ્યું હતું કે, ''ઘાસની ગંજીમાંથી સોઈ શોધવી પડે'' તે ન્યાયે હવે રાજ્યનો ભાગ્યેજ કોઈ ખૂણો રહ્યો હશે જે વિકાસના કાર્યોથી વંચિત રહી ગયો હોય ! 
 
આ ''અંદાજપત્ર સત્ર'' માં અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચામાં આશરે ૮૫ જેટલા  ધારાસભ્યોએ ભાગ લઈને તેમના મંતવ્યો રજુ કર્યા હતા.  પટેલે જણાવ્યું ઉમર્યું હતું કે, વિપક્ષી અને શાસક પક્ષના ધારાસભ્યોએ કરેલા કિંમતી સૂચનોને મેં તથા અમારા અધિકારીગણે ગંભીરતાથી નોંધ્યા છે અને તદનુસાર તમામની વ્યાજબી માંગણીઓને સંતોષવાનો સરકાર ચોક્કસ પ્રયાસ કરશે.