શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (17:56 IST)

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: વિશ્વના ખૂણે વસતા ગુજરાતીઓ માટે 'વતન પ્રેમ યોજના'ની જાહેરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી વતન પ્રેમ યોજનાની ગવર્નીંગ બોડીની પ્રથમ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે  દેશમાં કે  દેશ બહાર વિશ્વમાં ક્યાંય પણ  વસતા અને ગુજરાતના વતની કોઈ પણ દાતા અથવા  જે તે ગામની વ્યક્તિના દાન અને રાજ્ય સરકાર ના અનુદાનથી ગુજરાતના ગામડાઓ માં વધુ સારી જનહિત કારી સુવિધાઓ ઉભી કરવા દાતાઓ ને પ્રોત્સાહન રાજ્ય સરકાર આપશે.
 
આ યોજનામાં દાતાઓ પોતાના ગામમાં 60 ટકા કે વધુનું રકમનું દાન આપીને કામ કરાવી શકશે . આવી રકમ સામે ખૂટતી 40 ટકા રકમનું અનુદાન રાજ્ય સરકાર આપશે. આગામી ડિસેમ્બર 2022 સુધીમાં આ યોજના અંતર્ગત 1000 કરોડ રૂપિયાના વિવિધ જનહિત સુવિધા  સુખાકારીના કામો આવા દાતાઓ અને રાજ્ય સરકાર બેય ના સહયોગ થી હાથ ધરવાની નેમ મુખ્યમંત્રી એ વ્યક્ત કરી હતી.
 
આ વતન પ્રેમ યોજનામાં જે વિવિધ કામોનો સમાવેશ કરવામાં આવેલો છે તેમાં  શાળા ના ઓરડાઓ અથવા સ્માર્ટ ક્લાસ,કોમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,આંગણવાડી મઘ્યાહન ભોજનનું રસોડું,સ્ટોર રૂમ, પુસ્તકાલય, રમત ગમત માટે વ્યાયામ શાળાનું  મકાન અને સાધનો,સી.સી ટીવી કેમેરા  સર્વેલેન્સ સિસ્ટમ,સ્મશાન ગૃહ, વોટર રિસાયકલિંગ વ્યવસ્થા તથા ગટર,એસ.ટી.પી વગેરે, તળાવ બ્યુટીફિક્શન,એસ.ટી સ્ટેન્ડ,સોલાર એનર્જી થી સ્ટ્રીટ લાઈટ અને પાણીના  ટ્યુબ વેલ કૂવાની પાણીની ટાંકીની મોટર ચલાવવાના કામો  વગેરે કામો હાથ ધરી શકાશે.
 
આ ગવર્નીંગ બોડીમાં ઉપાધ્યક્ષ તરીકે ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી તેમજ અન્ય સભ્યો માં પંચાયત અને નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ,પાણી પુરવઠા,ગ્રામવિકાસ,માર્ગ મકાન, સાયન્સ ટેકનોલોજી  વિભાગના સચિવો ઉપરાંત એન.આર.જી ફાઉન્ડેશન ના અધ્યક્ષ સભ્યો તરીકે તેમજ વિકાસ કમિશનર સભ્ય સચિવ અને ગ્રામ ક્ષેત્રના વિકાસ કામગીરી સાથે સંકળાયેલા બે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આમંત્રિત સભ્યો તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી એ રાજ્યના ગામોની શાળાઓના ઓરડા નિર્માણ ના કામોને આ વતન પ્રેમ યોજનાના કામોમાં  અગ્રતા આપવા પણ બેઠકમાં પ્રેરક સૂચન કર્યું હતું
 
આ સંદર્ભમાં તેમણે યોજના ના વેબ પોર્ટલ પર દરેક ગામોની શાળાઓ માં ઓરડાઓની જરૂરિયાત ની વિગતો ઉપલબ્ધ કરાવવા ની સૂચના વિભાગ ને આપી હતી. રાજયમાં  શાળાઓમાં  જે  ઓરડાઓ ની જરૂરિયાત છે તે ઓરડાઓ વતન પ્રેમ યોજના ના દાતાઓ અને સરકાર ના સંયુક્ત અનુદાનથી નિર્માણ કરવાની દિશામાં આગળ વધવા મુખ્યમંત્રી એ માર્ગદર્શન આપ્યું હતું.