ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 એપ્રિલ 2018 (15:32 IST)

ગૃહમંત્રીના વિસ્તારમાં ત્રાસ વર્તાવનારા લુખ્ખાઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના મત વિસ્તારમાં જ બેફામ બનેલા લુખ્ખાઓને આખરે પોલીસે સબક શીખવ્યો છે. મહત્વનું છે કે, આ ગુંડાઓથી લોકો એટલા ત્રાસી ગયા હતા કે તેમણે તાજેતરમાં જ રેલી કાઢીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. લોકોનો રોષ જોઈ જાગેલી પોલીસે આખરે પાંચમાંથી ત્રણ લુખ્ખાઓની ધરપકડ કરી હતી.પોલીસે ન માત્ર આ લોકોની ધરપકડ કરી હતી, પરંતુ તેઓ ફરી આવું ન કરે તે માટે તેમની જાહેરમાં પરેડ કરાવાઈ હતી. પોલીસે તેમને તેમના જ એરિયામાં લઈ જઈ ઉઠબેસ કરાવી હતી, અને કૂકડો બનાવ્યા હતા.

જે ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે તેમના નામ અજિતસિંહ વાઘેલા, વિઠ્ઠલ ઉર્ફે કાણીયો છે, જ્યારે એકનું નામ જાણી નથી શકાયું.પોલીસે આ ત્રણેલ લુખ્ખાઓનું જાહેરમાં સરઘસ કાઢી તેમની સરભરા કરી હતી, અને તેઓ જે લોકોને હેરાન કરતા હતા તેમની પાસે પોલીસે માફી પણ મગાવડાવી હતી. રામોલની વિવિધ સોસાયટીઓમાં રહેતા 700 જેટલા લોકોએ આ લુખ્ખાઓના ત્રાસથી કંટાળીને રેલી કાઢી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે, પોલીસ સમક્ષ અનેકવાર રજૂઆત કરાયા બાદ પણ કોઈ કાર્યવાહી નહોતી કરાતી.   સીનિયર પોલીસ અધિકારીઓએ તેમણે અસામાજીક તત્વો સામે કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપને નકારતા કહ્યું હતું કે, તેઓ ઘણા સમયથી આરોપીઓને શોધી રહ્યા હતા, પરંતુ તેઓ પકડમાં નહોતા આવતા.પોલીસને સોમવારે આ ગુંડાઓના લોકેશન અંગે માહિતી મળી હતી, અને તેમની ધરપકડ કરાઈ હતી. પોલીસે તમામ આરોપીઓ સામે પાસા લગાડવાની કાર્યવાહી આરંભી દીધી છે. જે બે લોકો હજુય ફરાર છે તેમને પણ પોલીસ શોધી રહી છે.  શનિવારે રામોલના લોકોએ રેલી કાઢી ચિમકી આપી હતી કે, જો અસામાજિક તત્વો સામે કાર્યવાહી ન થઈ તો તેઓ પ્રદીપસિંહના ઘર પર પણ મોરચો લઈ જશે.