ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 11 નવેમ્બર 2019 (16:56 IST)

ઇન્ફોસિસના સહ-સંસ્થાપક, ક્રિસ ગોપાલકૃષ્ણન IIT ગાંધીનગરમાં ભારતીય ગણિતના ઇતિહાસના પાઠ

આઈઆઈટી ગાંધીનગરે ઈન્ફોસીસના સહ-સંસ્થાપક ક્રિસ ગોપાલકૃષ્ણન તરફથી મળેલી મોટી ગ્રાન્ટની મદદથી ભારતીય ગણિતના ઇતિહાસ પર એક મોટો પ્રોજેક્ટ શરૂ કરવાની ઘોષણા કરી છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે, આઈઆઈટી ગાંધીનગર પ્રોગ્રામ્સ વિકસાવશે અને સંશોધન વિદ્વાનો, પરિષદો, પ્રકાશનો, વગેરેને પ્રોત્સાહન આપશે અને સંખ્યા પદ્ધતિઓ, ભૂમિતિ, બીજગણિત, ત્રિકોણમિતિ અને અલ્ગોરિધમ પદ્ધતિઓ માટેના વ્યાપક અને પાયારૂપ ભારતીય યોગદાનની વૈશ્વિક જાગૃતિ અને સમજને વિસ્તૃત કરશે.
 
આઈઆઈટી ગાંધીનગરના ડિરેક્ટર સુધીર કે જૈને કહ્યું હતું કે, “આધુનિક ગણિતના ઘણા પાયામાં ભારતે મોટો ફાળો આપ્યો છે, જેનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવતો નથી અથવા વ્યાપકપણે જાણીતો નથી. આ મદદ માટે અમે શ્રી ક્રિસ ગોપાલકૃષ્ણનના આભારી છીએ, જે ભારતીય ગણિતના ઇતિહાસનો વ્યવસ્થિત અભ્યાસ કરવામાં અને ભારત અને વૈશ્વિક સ્તરે આ યોગદાનનો પ્રસાર કરવા માટે અમને સહાયરૂપ થશે.”
 
ગોપાલકૃષ્ણને કહ્યું કે, “ભારતીય લોકો દ્વારા ગણિતના વિકાસમાં ઈ.સ.પૂર્વે ૮મી સદી થી લઈને ૨૦મી સદી સુધીના નોંધપાત્ર યોગદાનને વધુ સારી રીતે સમજવા અને તે અંગે વ્યાપક જાગૃતિ લાવવા માટે હું આ પ્રોજેક્ટને ટેકો આપીને આનંદ અનુભવું છું. મને વિશ્વાસ છે કે આઈઆઈટી ગાંધીનગર આ ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરશે.”

 
વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાં, ભારતે ગણિતમાં નવીન, વ્યાપક અને પાયારૂપ યોગદાન આપ્યું છે. બીસીઇની આઠમીથી છઠ્ઠી સદીના શુલબાસુત્રોથી લઈને ૧૯મી સદીના શંકર વર્માની સદરત્નમાલા સુધી, ભારતીય ગણિત આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય અથવા માધવ જેવા પ્રખ્યાત નામો સાથે, ઉપખંડના લગભગ દરેક ભાગમાંથી હજી સુધી ઓછા જાણીતા પરંતુ તેજસ્વી વિદ્વાનોની લાંબી, સતત અને સંચિત બૌદ્ધિક પરંપરા ધરાવે છે. સંખ્યા પધ્ધતિઓ, ભૂમિતિ, બીજગણિત, ત્રિકોણમિતિ અને અલ્ગોરિધમ પદ્ધતિઓમાં તેની પ્રગતિ દ્વારા, આધુનિક ગણિતના કેટલાક પાયામાં ભારતે ફાળો આપ્યો છે. વીસમી સદીમાં, આ ફાળો નવા પાયા પર ચાલુ રહ્યો. એસ. રામાનુજનને વિશ્વના મહાન ગણિતશાસ્ત્રીઓમાં ગણવામાં આવે છે, જ્યારે અન્ય, જેમ કે સ્યામદાસ મુખોપાધ્યાય, એસ.એસ. અભયંકર, કે.એસ. ચંદ્રશેખરન, રાજચંદ્ર બોઝ, એસ.એસ. શ્રીખંડે, હરીશ-ચંદ્ર અને અન્ય ઘણા લોકોએ ગણિતની વિવિધ શાખાઓમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
 
જાણો કોણ છે ક્રિસ ગોપાલકૃષ્ણન
ક્રિસ ગોપાલકૃષ્ણન ઇન્ફોસીસના સહ-સંસ્થાપક અને ભૂતપૂર્વ સીઈઓ અને સ્ટાર્ટઅપ એક્સેલરેટર એક્સિલર વેંચર્સના અધ્યક્ષ છે. તેઓ ૨૦૧૩-૨૦૧૪માં ભારતીય ઉદ્યોગ સંઘના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને જાન્યુઆરી, ૨૦૧૪માં દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના સહ અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. ૨૦૧૧ માં તેમને ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક સન્માન એવોર્ડ પદ્મ ભૂષણ એનાયત આવ્યો હતો. ગોપાલકૃષ્ણન આઈઆઈટી ગાંધીનગરનાં રિસર્ચ પાર્ક એડવાઇઝરી બોર્ડ અને ઇનોવેશન એન્ડ એન્ટ્રેપ્રનર્સશીપ સેન્ટરનાં અધ્યક્ષ છે.