શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 જૂન 2019 (11:13 IST)

ઓનલાઇન મંગાવાતી ઇ-સિગારેટ ઉપર ગુજરાતમાં પ્રતિબંધ મુકાશે: પ્રદિપસિંહ જાડેજા

ઓનલાઇન મંગાવાતી ઇ-સિગારેટ ઉપર ગુજરાતમાં પ્રતિબંધ મુકાશે, કાયદામાં થશે સુધારો
હાલમાં ભારતના ૧ર રાજયો સહિત વિશ્વના ૩૬ દેશોમાં ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ
ગાંધીનગર: રાજયના યુવાનોમાં ઓન લાઇન મંગાવવામાં આવતી આરોગ્ય માટે જોખમી એવી ઇ-સિગારેટનું ચલણ જોવા મળ્યું છે. ઇલેકટ્રોનીક નિકોટીન ડીલીવરી સિસ્ટમ (ENDS)  દ્વારા ઓન લાઇન મંગાવાતી ઇ-સિગારેટ ઉપર પણ ગુજરાતમાં પ્રતિબંધ મુકવામાં આવશે. આ અંગે હાલના કાયદામાં સુધારો પણ કરવામાં આવશે. હાલમાં ભારતના ૧ર રાજયો સહિત વિશ્વના ૩૬ દેશોમાં આ પ્રકારની ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ  મુકવામાં આવ્યો છે.   
 
ઇ-સિગારેટ બેટરીથી ચાલતું એક એવું સાધન છે કે તેમાં રહેલા પ્રવાહીને એરોસોલમાં પરિવર્તીત કરે છે કે જેને ઇ-સિગારેટ પીનાર શ્વાસમાં લે છે અને બહાર કાઢે છે. ઇ-સિગારેટ જે પ્રવાહી હોય છે. તેમાં નિકોટીન, પ્રોપીલીન ગ્લાયકોલ ગ્લિસરીન ફલેવરીંગ્સ અને અન્ય રસાયણો હોય છે. રીસર્ચ ઉપરથી એ સાબિત થયું છે કે ઇ-સિગારેટના એરોસોલમાં ઘણા હાનિકારક તત્વો ઉપરાંત ડાયાસીટીલ નામનું રસાયણ કે જે ફેફસાના રોગો માટે જવાબદાર હોય છે તેમજ તેમા શિશુ જેવા ધાતુઓ અને કેન્સરમાં પરિણમે તેવા રસાયણો હોય છે. ઇ-સિગારેટના ઉત્પાદકો એવા દાવો કરતાં હોય છે કે ઇ-સિગારેટમાં નિકોટીન હોતું નથી. પરંતુ ઇ-સિગારેટમાં પણ નિકોટીનની હાજરી જોવા મળ્યું છે. 
 
ઇ-સિગારેટ વિકસતા બાળકો માટે ખૂબ જ નુકશાનકારક છે અને આવા બાળકોને તેની લત પડી જાય છે અને તેથી બાળકો અને ૨૦ વર્ષની આજુબાજુની ઉંમરના જવાન છોકરાઓને મગજના વિકાસમાં અવરોધરૂપ બને છે. જયારે કોઇ વ્યક્તિ ઇ-સિગારેટનો ઉપયોગ કરતી હોય ત્યારે તેની જોડે ઉભેલી વ્યક્તિ પણ ઇ-સિગારેટમાં રહેલ એરોસીલ અને અન્ય રસાયણોનો પણ ભોગ બને છે. ઇ-સિગારેટ પીવાનો આજકાલના કુમળી વયના બાળકો તેમજ યુવકોમાં એક પ્રકારનો શોખ પેદા થયો છે જે એક ચિંતાનું કારણ છે.
 
પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજયમાં ઇ-સિગારેટના વેચાણ ઉપર કોઇ પ્રતિબંધ ન હોવાના કારણે તે સહેલાઇથી ઓન લાઇન ઉપલબ્ધ છે. ફ્રુડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશન, અમેરિકાના નિયમો પ્રમાણે ૧૮ વર્ષ અને તેથી મોટી ઉંમરની વ્યક્તિઓ જ ઇ-સિગારેટ ખરીદી શકે છે. પરંતુ ભારતમાં ઓનલાઇન અથવા અન્ય કોઇ વેચાણ પર કોઇ પ્રતિબંધ ન હોવાથી ૧૮ વર્ષથી નીચેના બાળકો પણ ઇ-સિગારેટ ખરીદી શકે છે. અને ઇ-સિગારેટની તેમને લત લાગતા શારિરીક તેમજ આર્થિક રીતે બરબાદીને આમંત્રણ આપે છે. આ પ્રકારની બદી રાજયના યુવા ધનમાં વધારે ખરાબ અસરો ઉભી ન કરે તે હેતુથી તેને ઉગતી જ ડામવી અનિવાર્ય છે. આથી, રાજય સરકાર દ્વારા આગામી સમયમાં સંબધિત કાયદામાં સુધારો પણ કરવામાં આવશે.
 
રાજયનું યુવાધન નશાના માર્ગે ન વળે અને નશાની ચુંગાલમાંથી મુક્ત થાય તે માટે રાજ્ય સરકાર મક્કમ નિર્ધાર કરીને નશાંધીના ચુસ્ત અમલ માટે કાયદાકીય સુધારાઓ કરી કાયદાને વધુ સુદ્રઢ બનાવ્યો છે ત્યારે ડ્રગ્સ, માદક પદાર્થોના વેચાણ-સંગ્રહ કરનાર કોઇપણ ચમરબંધીને રાજ્ય સરકાર છોડશે નહીં. નાર્કોટીક્સ અને માદક પદાર્થની બદી ડામવા કડક કાર્યવાહી કરાશે. જે વિસ્તારમાં નાર્કોટીક્સ પડકાશે તે વિસ્તારના અધિકારીઓ સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરાશે.