શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 જાન્યુઆરી 2021 (15:49 IST)

પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં એક હજાર, જિલ્લા કક્ષાએ 400 અને તાલુકા કક્ષાએ 250 લોકો હજાર રહી શકશે

આગામી 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થવાની છે. ત્યારે રાજ્ય સરકારે કોરોનાને પગલે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) છે. આ SOP મુજબ રાજ્યમાં માત્ર 56 મિનિટમાં જ દેશભક્તિના પર્વને પૂર્ણ કરવો પડશે. તેમજ પ્રજાસત્તાક દિને રાજ્યકક્ષાના કાર્યક્રમમાં એક હજાર લોકો હાજર રહી શકશે. ઉપરાંત જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં 400 લોકો હાજર રહી શકશે. જ્યારે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં 250 લોકો સામેલ થઈ શકશે. પ્રજાસત્તાક પર્વમાં સામેલ થનાર દરેક લોકોએ ફરજીયાત માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર બહાર પાડીને SOP જાહેર કરી છે. પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી-2021ની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન દાહોદ જિલ્લાના વડામથક ખાતે કરાયું છે. અહીં મુખ્યમંત્રી વિજય રૂપાણી ધ્વજવંદન કરાવશે. વિધાનસભાના અધ્યક્ષ ખેડા જિલ્લામાં ધ્વજવંદન કરશે અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરા ખાતે ધ્વજવંદન કરશે. રૂપાણી કેબિનેટના મંત્રીઓમાં આર સી ફળદુ સુરેન્દ્રનગરમાં, ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટમાં, સૌરભ પટેલ અમદાવાદમાં, કૌશિક પટેલ ગાંધીનગરમાં, ગણપત વસાવા સુરતમાં, જયેશ રાદડીયા કચ્છમાં, ઈશ્વર પરમાર નવસારીમાં, કુંવરજી બાવળીયા ભાવનગરમાં અને જવાહર ચાવડા ગીરસોમનાથ ખાતે ધ્વજવંદન કરશે. જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી રૂપાણી મંત્રીમંડળના રાજ્યકક્ષાના મંત્રીઓ વિવિધ જિલ્લામાં કરશે. જેમાં પ્રદીપસિંહ જાડેજા પંચમહાલ, બચુ ખાબડ છોટાઉદેપુર, જયદ્રથસિંહ પરમાર આણંદ, ઈશ્વરસિંહ પટેલ વલસાડ, વાસણ આહીર પાટણ, વિભાવરીબેન દવે મહેસાણા, રમણ પાટકર અરવલ્લી, કિશોર કાનાણી ભરૂચ, યોગેશ પટેલ તાપી અને ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલી ખાતે ધ્વજવંદન કરશે. રાજ્યના 10 જિલ્લામાં કલેક્ટરના હસ્તે ધ્વજવંદન થશે. જેમાં મોરબી, મહીસાગર, જૂનાગઢ, બનાસકાંઠા, દેવભૂમિદ્વારકા, પોરબંદર, નર્મદા, સાબરકાંઠા, બોટાદ અને ડાંગ જિલ્લામાં ત્યાંના કલેક્ટર ધ્વજવંદન કરશે.