1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 14 જુલાઈ 2021 (19:08 IST)

યાત્રાધામ દ્વારકામાં વિજળી પડતાં 52 ગજની ધ્વજાને નુકસાન, મંદિર સ્થાપત્યને કોઇ નુકસાન કે જાનહાનિ નહી

યાત્રાધામ દ્વારકામાં આજે ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ભારે પવનના સાથે દ્વારકામાં અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું. અને વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. વીજળીના કારણે વીજ ઉપકરણોને અસર થઈ હતી. દ્વારકાના આસપાસના સ્થળોએ પણ મેઘમહેર જોવા મળી હતી.
 
વરસાદ થતાં જ વીજળી પડવાથી દ્વારકાધીશના શિખર પર ફરકાવવામાં આવતી 52 ગજની ધ્વજાને નુકશાની પહોંચી હતી. બપોરનો સમય હોઈ ત્યારે કોઈ જાનહાની થવા પામી નથી સાથે જ દ્વારકાધીશ મંદિરમાં પણ અન્ય કોઈ જ નુકશાની થવા પામી હોવાની દ્વારકાના પ્રાંત અધિકારી કે પુષ્ટિ પણ કરી હતી. 

 
ધ્વજા પર વીજળી પડતો લાઈવ વીડિયો વાયરલ થતા લોકો માની રહ્યા છે કે, ભગવાન દ્વારકાધીશજીએ જ દ્વારકા શહેર પરની ઘાત ટાળી દીધી છે. જોકે આ વીજળી મંદિર આસપાસના રહેણાંક વિસ્તારમાં પડી હોત તો ચોક્કસપણે મોટી જાનહાનિ થઇ હોત.
 
આ બનાવવી જાણ થતાં દ્વારકા દેવસ્થાન સમિતિના વહીવટી અઘિકારી દ્વારકા પ્રાંત એન.ડી. ભેટારિયા દ્વારા તપાસ હાથ ધરી અને જણાવ્યું હતું કે આજે બપોર બાદ વીજળી પડવાથી જગત મંદિરનાં મુખ્ય શિખર ઉપર ધ્વજા જીમાં દંડ સાથે ચડવામાં આવેલી ધ્વજા જીને સામાન્ય નુકશાન થયું અને ધ્વજા જી ફાટી ગયા છે. માટે આગામી થોડા દિવસો દરમિયાન ભગવાન દ્વારકાધીશને ચડવામાં આવતી ધ્વજા જી દંડની નીચે ફરકાવવામાં આવશે એટલે કે અડધી કાઠીએ દ્વારકાધીશના મંદિરના શિખર પર ધ્વજા જી આવશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકાના ભાટિયા ગોકલપર ગામોમાં ખાબકેલા ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા ખેતરોમાં રસ્તા પાણી-પાણી થઇ ગયા છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મેઘરાજાએ ભાટીયા આસપાસ વિસ્તારમાં દે ધના ધન કરતા ચારે તરફ પાણી પાણી થયા છે.