1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 26 ડિસેમ્બર 2023 (18:46 IST)

સુરત સિવિલ હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતાં દીકરાને ત્યજીને પરિવાર ફરાર

surat news
surat news
સુરત સિવિલ હોસ્પિટલમાં જન્મતાંની સાથે જ દાખલ કરાયેલા બાળકને ત્યજીને પરિવાર ફરાર થઈ ગયો હતો. બે મહિનાથી આ બાળકની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. છેલ્લા 15 દિવસથી સિવિલ હોસ્પિટલના તબીબો આ બાળકની સારસંભાળ રાખી રહ્યા છે. હાલ પણ આ બાળકને SNCU વોર્ડમાં દાખલ કરી સારવાર કરવામાં આવી રહી છે. તો પોલીસે સિવિલ હોસ્પિટલના CCTVના આધારે માતા-પિતાને શોધવા તજવીજ હાથ ધરી છે.

સુરત સિવિલ હોસ્પિટલના તબીબ પ્રફુલભાઈ બાંભરોલિયાએ કટોદરા પોલીસ સ્ટેશનમાં બાળકનાં માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગઈ 30 ઓકટોબરના રોજ એક નવજાત બાળકનો જન્મ કામરેજ CHC સેન્ટર ખાતે થયા બાદ વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યું હતું.બાળકની હાલત નાજુક હોવાથી વધુ સારવાર અર્થે NICUમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યું હતું. બાળકને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેથી ડોક્ટર તેનાં માતા-પિતાની હાજરીમાં સારવાર કરતા હતા અને ગત 8 ડિસેમ્બરના રોજ આ બાળકનાં માતા-પિતાને બાળકની કંડિશન કેવી છે એવું જણાવવા માટે બોલાવતાં નવજાત બાળકનાં માતા-પિતા હોસ્પિટલમાં ક્યાંય મળી આવ્યાં નહીં, જેથી હોસ્પિટલના સ્ટાફના માણસોની પૂછપરછ કરતાં આ બાળકનાં માતા-પિતા છેલ્લા ચાર-પાંચ દિવસથી આવતાં ન હોવાનું જણાયું હતું.બાળકનાં માતા-પિતા દ્વારા સિવિલ હોસ્પિટલમાં નોંધાવવામાં આવેલા મોબાઇલ નંબર પર કોલ કરતાં સ્વિફ ઓફ આવતો હતો. નવજાત બાળકનાં માતા-પિતા ગત 8 ડિસેમ્બરથી પોતાના બાળકને મળવા કે જોવા માટે પણ આવ્યાં નથી. બાળકને જન્મ આપ્યા બાદ સારવાર માટે સિવિલ લઈ આવી પોતાનું નામ-સરનામું સાચું અને પૂરું નહિ જણાવી ઓળખ છુપાવવાના ઇરાદાથી જીવિત હાલતમાં બાળકને ત્યજી દેવાના ઇરાદાથી ચાલી ગયાં હતાં, જેથી ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે માતા-પિતાને શોધવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.