શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. સુરત ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 ઑગસ્ટ 2020 (17:21 IST)

ધોધમાર વરસાદે સુરતને ધમરોળ્યું, સોસાયટીમાં પાણી ભરાયાં, ફસાયેલ લોકોને રેસ્ક્યૂ કરાયાં

ભારે વરસાદથી સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા લોકોને રેસ્ક્યુ કરાયા હતા. સુરતના પોલારીશ માર્કેટ પાસેથી 75 લોકોને રેસ્ક્યુ કરાયા હતા. તો બીજી તરફ, સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઓલપાડ-હાથીસા રોડ પર ઘુંટણસમા પાણી ઠેરઠેર જોવા મળી રહ્યાં છે. જેને કારણે નાના વાહનોની અવરજવર બંધ થઈ છે. શાંતિનગર, સિદ્ધનાથનગર સોસાયટીમાં પણ પાણી ભરાયા છે. તો ઓલપાડ વિશ્રામગૃહમાં પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો દેખાયા છે. સતત વરસાદને પગલે સુરતનું જનજીવન પ્રભાવિત થયું હતું. સુરતમાં આવેલી સેના ખાડી ઓવરફલો થતા સમસ્યા વધુ વકરવાની સ્થિતિ ઉદભવી છે.

સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં પણ પાણીનું સ્તર વધી રહ્યું છે, જેથી લોકો રેસ્ક્યૂ કરવાની ફરજ પડશે. સુરતમાં ભારે વરસાદને પગલે ઓલપાડ હાઠીસા રોડ બેટમાં ફેરવાયો છે.

લોકોના ઘરોમા વરસાદના પાણી ઘૂસ્યા છે. તો વરસાદી પાણી ઘરમાં જવાથી ઘરવખરીના સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. સરકારી કચેરીઓના પરિસરમાં પણ પાણી પાણી જોવા મળી રહ્યું છે. જેથી લોકોને પ્રાથમિક શાળામા આશરો લેવો પડ્યો છે.  ફાયર વિભાગ દ્વારા મધવાબાગ અને નંદનવન સોસાયટીમા બચાવ કામગીરી શરૂ કરાઈ છે. અત્યાર સુધી ફાયર અને મનપા દ્વારા 80 જેટલા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.

એક ડેડ બોડીને પણ હેમખેમ વિધિ માટે ઘરે પહોંચાડવામાં આવી હતી. આ ઉપરાંત પાણીમાં ફસાયેલી પ્રેગ્નેન્ટ મહિલા અને બાળકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. માધવબાગના લોકોને ઘરોમા સુરક્ષિત રહેવા સૂચના અપાઈ છે. તો બીજી તરફ, લોકો માટે દૂધની અલગથી વ્યવસ્થા કરાઈ કરી છે.

સુરત જિલ્લામાં મેઘ તાંડવ થઈ રહ્યું છે. સુરતના બલેશ્વરમાં નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. બલેશ્વરમાં ખાડી છલકાતા 500 લોકો થયા બેઘર થયા છે. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને જાતે જ સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. જોકે, સ્થાનિક તંત્ર કોઈ વ્હારે નહિ આવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે.  સુરતમાં સતત વરસી રહેલા વરસાદને મુખ્યમંત્રી આવાસમાં વરસાદી પાણી ભરાયા છે. ઉગટ રોડ સ્થિત આવેલ મુખ્યમંત્રી આવાસમાં પાણી ભરાઇ જતાં લોકો હેરાન પરેશાન થયા છે. વીર સાવરકર હાઇટ્સમાં ચાર ફૂટ કરતાં વધુ પાણી ભરાતા અવર જવર પર પ્રતિબંધ મૂકાયો છે. આ આવાસ હજી 2018 માં જ બનાવાવમાં આવ્યા છે. આ મુખ્યમંત્રી આવાસમાં દર વર્ષ કરતા આ વર્ષે વધુ પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓ વધી છે. પાણીને લઈ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.  દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 19 દરવાજા ખોલવામાં આવ્યા છે. 14 ગેટ 1.30 ફૂટ અને 5 ગેટ 2 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. હાઇડ્રોના 3 યુનિટ ચાલુ કરાયા છે. પાણીની આવકને પગલે ઉકાઈ ડેમની સપાટી 332.25 ફૂટ પર પહોંચી ગઈ છે. ડેમમાં 1,05468 ક્યુસેક પાણીની આવક થઈ છે. તો દરવાજા ખોલી દેવાતા બીજી તરફ પાણીની જાવક પણ થઈ છે. ડેમમાંથી 70 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.