Ghooskhor Pandit Controversy: રિલીઝ પહેલાં જ વિવાદમાં ફસાઈ મનોજ વાજપેયીની વેબ સિરીઝ, નામને લઈને બબાલ, FIR નોંધાઈ
નેટફ્લિક્સની આવનારી વેબ સિરીઝ “ઘુસખોર પંડિત” રિલીઝ થાય તે પહેલાં જ ભારે વિવાદમાં ફસાઈ ગઈ છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં સિરીઝના દિગ્દર્શક અને પ્રોડક્શન ટીમ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે વેબ સિરીઝનું શીર્ષક અને કન્ટેન્ટ સમાજના અમુક વર્ગોની ધાર્મિક અને જાતિગત લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે.
વિવાદ વધતા આ મામલો હવે ઉત્તર પ્રદેશથી લઈને મધ્ય પ્રદેશ અને દિલ્હી સુધી ફેલાયો છે. ભોપાલમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે અને સિરીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી છે. આ સાથે જ દિલ્હી હાઈકોર્ટમાં પણ વેબ સિરીઝ સામે અરજી દાખલ કરવામાં આવી છે.
શા માટે થયો વિવાદ?
તાજેતરમાં નેટફ્લિક્સના “નેક્સ્ટ ઓન નેટફ્લિક્સ” ઇવેન્ટ દરમિયાન “ઘુસખોર પંડિત” વેબ સિરીઝનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝર સામે આવતા જ સોશિયલ મીડિયા પર શીર્ષકને લઈને વિરોધ શરૂ થયો. બ્રાહ્મણ સમુદાયના કેટલાક સભ્યોએ દાવો કર્યો કે સિરીઝનું નામ અપમાનજનક છે અને સમગ્ર સમુદાયની છબી ખરાબ કરે છે.
મુંબઈ સ્થિત વકીલ આશુતોષ દુબેએ નેટફ્લિક્સ અને પ્રોડક્શન ટીમને કાનૂની નોટિસ મોકલી છે. નોટિસમાં તેમણે જણાવ્યું કે “ઘુસખોર” શબ્દ સામાન્ય રીતે લાંચ અને ભ્રષ્ટાચાર સાથે જોડાય છે, જ્યારે “પંડિત” શબ્દ ધાર્મિક વિદ્વતા, સંસ્કૃતિ અને સામાજિક આદરનું પ્રતીક છે. બંને શબ્દોને સાથે વાપરવું સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.
લખનૌ પોલીસનું શું કહેવું છે?
હઝરતગંજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વિક્રમ સિંહે જણાવ્યું કે સોશિયલ મીડિયા અને અન્ય સ્ત્રોતોથી મળેલી માહિતીના આધારે આ મામલે FIR નોંધવામાં આવી છે. પોલીસ મુજબ, વેબ સિરીઝનું કન્ટેન્ટ સમાજમાં ગુસ્સો અને તણાવ પેદા કરી શકે છે તેમજ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડવાની શક્યતા છે.
લખનૌ પોલીસ કમિશનરેટે સ્પષ્ટ કર્યું છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની શૂન્ય-સહિષ્ણુતા નીતિ હેઠળ ધાર્મિક અને જાતિગત લાગણીઓને નુકસાન પહોંચાડતા મામલાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
કઈ કલમો હેઠળ કેસ?
પોલીસે દિગ્દર્શક અને તેમની ટીમ સામે સમાજમાં દુશ્મનાવટ ફેલાવવી, ધાર્મિક અને જાતિગત લાગણીઓને ઠેસ પહોંચાડવી તથા શાંતિ ભંગ થવાની શક્યતા જેવા આરોપો હેઠળ ગંભીર કલમો લગાવીને કેસ નોંધ્યો છે.
સામાજિક અને કાનૂની અસર
આ વિવાદ OTT પ્લેટફોર્મ પર પ્રસારિત થતી સામગ્રીની સામાજિક અને કાનૂની જવાબદારીને ફરી એકવાર ચર્ચામાં લાવી છે. એક તરફ કેટલાક લોકો તેને સર્જનાત્મક સ્વતંત્રતાનો ભાગ ગણાવે છે, તો બીજી તરફ ઘણા લોકો માને છે કે કોઈપણ કન્ટેન્ટ બનાવતી વખતે સમાજના દરેક વર્ગની લાગણીઓનું ધ્યાન રાખવું જરૂરી છે.
હાલમાં વેબ સિરીઝની રિલીઝ પર અનિશ્ચિતતા છવાઈ ગઈ છે અને આગામી દિવસોમાં કોર્ટ તથા પોલીસ કાર્યવાહી આ મામલે મહત્વની ભૂમિકા ભજવશે.