Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ સુધી શુ ખાવુ જોઈએ અને શુ નહી ? જાણો નવરાત્રિ વ્રતના નિયમ
Chaitra Navratri 2026 Vrat Niyam: દેવીના ઉપાસકો માટે નવરાત્રિનો તહેવાર અત્યંત મહત્વનો હોય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી શરૂ થઈ રહી છે અને 27 માર્ચે પૂર્ણ થશે. નવરાત્રિમાં પૂજા-પાઠની સાથે વ્રત રાખવાનું પણ વિશેષ મહત્વ છે. કેટલાક લોકો નવરાત્રિના પહેલા અને છેલ્લા દિવસે ઉપવાસ રાખે છે, જ્યારે મોટાભાગના લોકો પૂરા નવ દિવસ સુધી વ્રત રાખે છે. નવરાત્રિમાં મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ જલ્દી પૂર્ણ થાય છે. વ્રત રાખવાથી શરીરના શુદ્ધિકરણની સાથે મન અને આત્માની પણ શુદ્ધિ થાય છે.
નવરાત્રિના વ્રત દરમિયાન શુ ખાવુ જોઈએ
તમે દૂધથી બનેલી વસ્તુઓ જેવી કે દૂધ, દહીં અને પનીરનું સેવન કરી શકો છો, જે પ્રોટીન અને કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. આ ઉપરાંત કેળા, સફરજન, અનાર અને પપૈયા જેવા મોસમી ફળો ખાવાથી શરીરમાં કુદરતી શર્કરા અને વિટામિન્સ જળવાઈ રહે છે. અનાજને બદલે સામાના ચોખા કે સિંગોડાના લોટની વાનગીઓ ખાઈ શકાય છે, કારણ કે તેમાં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ હોય છે જે શરીરને લાંબા સમય સુધી ઉર્જા આપે છે અને ભૂખ લાગવા દેતા નથી.
વ્રત દરમિયાન કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ
નવરાત્રિમાં ઘઉં, ચોખા કે અન્ય કોઈપણ પ્રકારના અનાજનું સેવન કરવાની મનાઈ હોય છે. પેકેટ વાળા ખાદ્ય પદાર્થો, વધુ પડતા તેલવાળા વ્યંજનો અને મીઠાઈઓથી દૂરી રાખવી હિતાવહ છે. સૌથી મહત્વની વાત એ છે કે નવરાત્રિ દરમિયાન ડુંગળી અને લસણનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે તેને તામસિક આહાર માનવામાં આવે છે. આ નવ દિવસોમાં શુદ્ધ સાત્વિક આહાર લેવો જોઈએ જેથી ભક્તિભાવમાં મન પરોવાયેલું રહે.
નવરાત્રિના વ્રત માટે કેટલાક ખાસ નિયમો
નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપના કરવાની સાથે અખંડ જ્યોત પ્રગટાવવી જોઈએ. જે ઘરમાં અખંડ જ્યોત હોય તે ઘર ક્યારેય ખાલી ન છોડવું જોઈએ અને જ્યોત બુઝાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પૂજાના સ્થળને હંમેશા સાફ-સુથરું રાખવું અને નવ દિવસ સુધી માતાજીના નવ સ્વરૂપોની આરાધના કરવી જોઈએ. આ દિવસોમાં દુર્ગા ચાલીસાના પાઠ કરવા અને બ્રહ્મચર્યનું પાલન કરવું અનિવાર્ય માનવામાં આવે છે.
વ્રતની પૂર્ણાહુતિ માટે અષ્ટમી કે નવમીના દિવસે કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે. નાની કન્યાઓને ભોજન કરાવી તેમના આશીર્વાદ લેવાથી વ્રત સફળ થાય છે. વ્રતના પારણા હંમેશા નવમી તિથિ સમાપ્ત થયા પછી અને દશમી તિથિ શરૂ થયા બાદ જ કરવા જોઈએ. આ પવિત્ર દિવસોમાં શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવાથી અને નિયમોનું પાલન કરવાથી માનસિક શાંતિ મળે છે અને ભક્તની તમામ આધ્યાત્મિક ઈચ્છાઓ પૂર્ણ થાય છે.