1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 29 એપ્રિલ 2020 (16:24 IST)

લોકડાઉનમાં કોરોના બેકાબૂ તો 3 મે બાદ શું થશે, હવે અમદાવાદી ફફડી રહ્યાં છે

અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા અને મૃત્યુ આંકમાં અસામાન્ય અને ચિંતાજનક વધારો થયો છે. એરપોર્ટ પર સ્ક્રીનીંગ, કોરોના સામેના એકશન પ્લાનની રચના, વિદેશથી આવેલાઓને હોમ ક્વોરેન્ટાઇન કરવાથી શરૂ કરી મ્યુનિ. કોર્પોરેશને જુદાં જુદાં તબક્કે અનેક પગલાં લીધા છતાં વાયરસ એ હદે પ્રસરી ગયો કે અમદાવાદ દેશભરમાં બીજા ક્રમે આવીને ઉભું રહી ગયું. હવે આગળની સ્થિતિ કેવી હશે અને ક્યારે ક્યાં જઇને અટકશે તે મોટો પ્રશ્ન છે. દરમ્યાનમાં ૩જી તારીખે લોકડાઉન ખૂલશે કે નહીં એક પ્રશ્ન છે અને ખૂલશે તો સ્થિતિ કાબુમાં રહેશે કે વધુ બગડશે તે બીજો પ્રશ્ન છે. અમદાવાદમાં ગઇકાલે નોંધાયેલા ૨૩૦ નવા દર્દીઓમાં ૭૭ ટકા એટલે કે ૧૭૮ અમદાવાદના છે. રાજ્યના કુલ મૃત્યુમાં ૬૮.૮૭ ટકા માત્ર અમદાવાદના જ છે. કુલ દર્દીઓમાં ૬૬ ટકાથી વધુ દર્દીઓ અમદાવાદના છે. જ્યારે અમદાવાદના કુલ દર્દીઓમાં ૪૫ ટકાથી વધુ તો માત્ર મધ્ય ઝોનના છે અને મધ્ય ઝોન તેમજ દક્ષિણ ઝોન મળીને ગણીએ તો ટકાવારી ૬૭ ટકાને આંબી જાય છે. આમ કોટ વિસ્તારના જમાલપુર, દરિયાપુર, કાલુપુર, શાહપુર અને દક્ષિણ ઝોનના દાણીલીમડા અને બહેરામપુરા ‘હોટ સ્પોટ’ બની ગયા છે. લઘુમતિના વિસ્તારમાં સંક્રમણ વધવાના કારણોમાં લોકડાઉન, બફરઝોન, કરફયુ જાહેર કર્યા પછી પણ ટોળામાં નિકળવાની જીવનશૈલી, ગીચતા, મોં પર માસ્ક નહીં પરહેરવાની કુટેવ, કુટુંબને કવોરેન્ટાઇન થવું પડશે તે ભયે શરદી, ખાંસી, તાવ હોવા છતાં ટેસ્ટને ટાળવાની વૃત્તિ વગેરે બાબતો જવાબદાર છે. તબલિકી જમાતના ગુ્રપે પણ તેમાં ઘણો ભાગ ભજવ્યો છે. બીજી તરફ હવે અમદાવાદમાં રોજેરોજ નવા નવા વિસ્તારો ઉમેરાતા જાય છે. અસારવા, દુધેશ્વર, વાડજ નવા પોકેટ ખુલ્યા છે. ઘાટલોડિયા, સેટેલાઇટ, બોડકદેવ, વસ્ત્રાપુરમાં છૂટાછવાયા કેસનો નોંધાવા માંડયા છે. ક્યારે કયા વિસ્તારનો ‘હોટ-સ્પોટ’ની યાદીમાં સમાવેશ થઇ જશે તે કહેવું મુશ્કેલ છે. મ્યુનિ.નો એકશન પ્લાન અને હાથ ધરાયેલાં પ્રયાસોમાં ચૂંક ક્યાં રહી ગઇ તે પ્રશ્નનું વિશ્લેષણ જરૂરી બની ગયું છે. હવે તો વધુમાં વધુ હોસ્પિટલો અને બેડ ઉભા કરવા, નવા નવા કોવિડ કેર સેન્ટર ઉભા કરવા, ત્યાં સુવિધા આપવી વગેરે બાબતો પર એટલું ધ્યાન અપાઇ રહ્યું છે કે સંક્રમણ રોકવાના પગલાં જ જાણે કે ભૂલાઇ ગયા છે કે પછી નિરર્થક થઇ ગયા છે. લોકડાઉન પૂર્ણ થવાની તા. ૩જી મે નજીક આવતી જાય છે. લોકડાઉન ખુલ્યા પછી રાજ્ય સરકારના નિયંત્રણો કેવા રહે છે, તે બાબત પર સંક્રમણ ધીમું પડે છે કે વકરે છે તેનો આધાર રહેલો છે. પવિત્ર રમજાન માસના તહેવારનો મહિનો હોવાથી દુકાનો ખુલે ત્યારે ડિસીપ્લીન જળવાય અને ખરીદી માટે ટોળાં ના થાય તેની કાળજી લેવા સાથે સેનીટાઇઝરનો ઉપયોગ, માસ્ક ફરજિયાત, સોશ્યલ ડિસ્ટન્સિંગ વગેરેનું ધ્યાન રાખવું પડશે. જો લોકડાઉનમાં આટલી ભયાવહ સ્થિતિ છે, તો ખુલ્યા પછી શું થશે તે પ્રશ્ન સર્વત્ર પૂછાઇ રહ્યો છે.