શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By

જેસલ તોરલની સમાધિ

ભુજથી માત્ર ૪૦ કિ.મી.ના અંતરે અંજાર નામે એક ગામ આવેલું છે જ્યાં પહેલાના જમાનામાં થઈ ગયેલ સતી તોરલ અને લુંટારો બાદમાં સાધુ બનેલ જેસલની સમાધિ આવેલી છે. આ ગામનું નામ પહેલાં અંજેપાળ હતું પરંતુ સમયના વહાણની સાથે તેનું નામ બદલાઈને અંજાર થઈ ગયું. કચ્છની ધરતી ખુબ જ સાહસી અને શુરવીરોથી ભરેલી છે. ત્યાં ખુબ મહાન સંતો પણ થઈ ગયાં. અને મહાન કવિઓ પણ થઈ ગયાં.

તેવું જ એક નામ છે જેસલ-તોરલ. કહેવાય છે કે 14 મી સદીના મધ્યભાગમાં તેઓ થઈ ગયાં. ધરતીનો કાળો નાગ ગણાતો જેસલ મારધાડ, માણસોને મારવા, લૂંટફાટ કરવી, કુવરી જાનને લુંટી લેવી, ખેતરોનો પાક લણી લેવો, ઢોર- ઢાંખરને ઉપાડીને લઈ જવા આ બધી જ બાબતો તેને માટે સામાન્ય હતી. જેસલને એક વખત જે વસ્તુ પસંદ આવે તેને મેળવીને તે જંપતો હતો.

કાઠિયાવાડમાં સલડી ગામના સાંસતિયાજીની તોરી નામની ઘોડી અને તેની પત્ની તોરલના લોકો ખુબ જ વખાણ કરતાં હતાં. આ વાત જેસલને કાને પડતાં તેણે તેને મેળવવાનો નિશ્ચય કર્યો. તે લાગ જોઈને બેઠો હતો. એક વખત સાંસતિયાજીના ઘરે ભજન હતાં બસ આ વાતની તક ઉઠાવીને તે રાત્રે પહોચી ગયો તેમના ઘોડારમાં. અજાણ્યા માણસનો અવાજ સાંભળી તેમની ઘોડીએ ખીલેથી રાસને તોડી દિધી અને ભગત પાસે જઈને ઉભી રહી. ભગતે પાછી તેને લાવીને ખીલે જડી દિધી તે વખતે ખીલાની સાથે જેસલો હાથ પણ જડાઈ ગયો પરંતુ તેને જરા પણ અવાજ ન કર્યો.

સવારે જ્યારે પ્રસાદ વહેચાયો ત્યારે એક જણનો પ્રસાદ વધ્યો. તે વખતે કોઈ પણ માપ વિના પ્રસાદ બનાવવામાં આવતો હતો અને ત્યાં જેટલા લોકો હોય તેમને પુરો પડતો હતો ન જરાયે વધતો કે ન ઘટતો. ભગત ચિંતામાં પડી ગયાં. ઘોડીનો અવાજ સાંભળીને તે ઘોડાર પાસે ગયાં અને જોયું તો જેસલનો હાથ ખીલાની સાથે જડાયેલો હતો. તેમણે જેસલની બહાદુરીના વખાણ કરીને મુક્ત કર્યો અને પ્રસાદ આપ્યો.

જેસલે તેમની પાસે તેમની ઘોડી અને પત્નીની માંગ કરી તો ભગતે કહ્યું કે જો તું ધર્મનો રસ્તો સ્વીકારે તો હુ તારી માંગણી પુરી કરવા માટે તૈયાર છું. જેસલે આ વાતનો સ્વીકાર કર્યો અને તેમની ઘોડી અને તેમની પત્નીને લઈને ત્યાંથી ચાલ્યો. રસ્તામાં દરિયો પાર કરવાનો હતો. નાવની અંદર બેસતાની સાથે જ ભયંકર વાવાઝોડુ શરૂ થઈ ગયું અને નાવ હાલક-ડોલક થવા લાગી. સતી તોરલે તે વખતે જેસલને તેણે કરેલા પાપ યાદ દેવડાવ્યાં અને તેને જીવનનું રહસ્ય સમજાવ્યું. જેસલને તેનું જ્ઞાત થતાં તેણે પાપમો માર્ગ છોડીને ભક્તિનો માર્ગ અપનાવ્યો.

તે જ જેસલ તોરલની સમાધિ અહીંયા અંજારમાં આવેલી છે. અહીંયા હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે.