લોકસભા ચૂંટણી 2019- ભાજપના ઋત્વિજ પટેલ અને કાર્યકરોએ પોલીસ સ્ટેશનમાં દાદાગીરી કરી
સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના જમાલપુર બ્રિજ નીચે રવિવારે મોડી સાંજે યોજાયેલા એક ખાનગી ચેનલની ડિબેટના કાર્યક્રમમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. ‘ચોકીદાર ચોર હૈં’, ‘પપ્પુ’ જેવા શબ્દોને લઈને બંને જૂથના કાર્યકરો સામસામે આવ્યા હતા. શરૂઆતમાં રાહુલ ગાંધી વાંઢા છે તેવા નિવેદનને પગલે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે સ્ટેજ પર આવીને કોંગ્રેસ કાર્યકર દિપક ચારણને લાફો માર્યાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.
આ કાર્યક્રમમાં અમદાવાદ પશ્ચિમના ભાજપના ઉમેદવાર કિરિટસિંહ સોલંકી અને કોંગ્રેસના ઉમેદવાર રાજૂ પરમાર સહિતના કાર્યકરો ઉપસ્થિત હતા. ઋત્વિજ પટેલે સ્ટેજ પરથી ઉતરીને આવીને અમારા કાર્યકર દિપક ચારણને લાફો માર્યો હતો. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં પણ લાફો માર્યો હતો. સીસીટીવી ફૂટેજની તપાસમાં સત્ય બહાર આવશે. એવુ કોંગ્રેસના શશિકાંત પટેલે કહ્યું હતું.
