1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 23 માર્ચ 2026 (08:53 IST)

ભક્તો માટે માઠા સમાચાર: ગેસના પુરવઠાના અભાવે ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ

dakore
અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે છેલ્લા ત્રણ સપ્તાહથી ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર સુધી પણ પહોંચી ગઈ છે. વૈશ્વિક સ્તરે ગેસ સપ્લાયમાં ઉભા થયેલા અવરોધને કારણે રાજ્યભરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. આ અછતના પરિણામે હોસ્ટેલ, હોટલ અને રેસ્ટોરન્ટની સાથે સાથે હવે મંદિરોના ભોજનાલયો પણ પ્રભાવિત થયા છે, જેના કારણે ડાકોર મંદિર પ્રશાસનને ભક્તો માટેની ભોજન પ્રસાદી વ્યવસ્થા હાલ પૂરતી બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે.
 
ડાકોર મંદિરમાં ચાલતી ભોજનશાળામાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રસાદ ગ્રહણ કરવા આવતા હોય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સામાન્ય દિવસોમાં અંદાજિત એક હજાર જેટલા ભક્તો અહીં ભોજન પ્રસાદીનો લાભ લેતા હતા. જ્યારે શનિવાર અને રવિવાર જેવા રજાના દિવસોમાં દર્શનાર્થીઓની ભીડ વધતા આ સંખ્યા બે હજારથી પણ વધુ થઈ જતી હતી. જોકે, ગેસ સિલિન્ડર ન મળવાના કારણે આટલા મોટા પાયે રસોઈ બનાવવી શક્ય ન હોવાથી અન્નક્ષેત્રની સેવા રોકી દેવામાં આવી છે.
 
આ પરિસ્થિતિ અંગે મંદિર મેનેજમેન્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી જ આ નિર્ણય લેવાની ફરજ પડી છે. જ્યાં સુધી ગેસ સપ્લાયની સ્થિતિ સામાન્ય નહીં થાય અને ગેસ સિલિન્ડરની અછત સંપૂર્ણપણે દૂર નહીં થાય, ત્યાં સુધી ભોજનશાળા બંધ જ રહેશે. પરિસ્થિતિ સુધરતા અને ગેસનો જથ્થો મળતાની સાથે જ ભક્તો માટે ભોજન પ્રસાદીની સેવા ફરીથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.