1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2020 (16:09 IST)

અમદાવાદ નજીક બનશે વિશ્વનું સૌથી ઉંચુ જગત જનની મા ઉમિયાનું મંદિર, જાણો વિશેષતાઓ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદ દ્વારા આકાર પામનાર વિશ્વના સૌથી ઊંચા અને ભવ્ય જગત જનની મા ઉમિયાના મંદિર(વિશ્વ ઉમિયાધામ)નો શિલાન્યાસ સમારોહ તા. 28-29 ફેબ્રુઆરી 2020ના રોજ યોજાવવાનો છે. આ બે દિવસીય સમારોહમાં સમગ્ર રાજ્ય અને વિશ્વભરમાંથી જગત જનની મા ઉમિયાના લાખો ભક્તો પધારશે. આ સમારોહમાં સમગ્ર દેશભરના સાધુ-સંતો-મંહતો, ધર્માચાર્યોની પાવન ઉપસ્થિતિમાં 51 હજારથી 51 કરોડ સુધીના સમાજશ્રેષ્ઠી દાતાશ્રીઓના વરદ્હસ્તે જગત જનની મા ઉમિયાના 431 ફૂટ ઊંચા ભવ્યાતિભવ્ય મંદિરનો શિલાન્યાસ કરાશે. આ પ્રસંગે 5 લાખ લિટર ગંગાજળનો અભિષેક કરવામાં આવશે. મહત્ત્વનું છે કે, શિલાન્યાસના દિવસે 108 શીલાઓ મૂકવામાં આવશે.
આ કાર્યક્રમ માટે દેશના વડા પ્રધાન અને ગૃહમંત્રીને આમંત્રણ આપવામાં આવ્યુ છે સંસ્થાને વડાપ્રધાનનો સંદેશો મળ્યો છે અને સંસ્થાને એવી આશા છે કે ગૃહમંત્રી અમિત શાહ શિલાન્યાસ સમારોહમાં હાજર રહેશે. મા ઉમિયાની મંદિર શિલાન્યાસ સમારોહમાં શ્રી શ્રી રવિશંકર,મહંત સ્વામી સહિતના દેશભરના 21 સાધુ-સંતો - મહંતો - ધર્માચાર્યો મહામંડલેશ્વર અને કથાકાર હાજર રહેશે. ૧૦૦ વિધા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે સામાજિક પ્રોજેક્ટ તૈયાર થનાર છે, જેમાં  431 ફૂટ ઊંચા ભવ્ય મંદિરનો શિલાન્યાસ થશે. 
 
વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિરની વિશેષતાઓ...
*મંદિરની ઉંચાઈ 431 ફૂટ (131 મીટર)
*વિશ્વનું સૌથી ઉંચુ જગત જનની મા ઉમિયાનું મંદિર બનશે
*મંદિરની ડિઝાઈન જર્મન આર્કિટેક અને ઈન્ડિયન આર્કિટેકના સંયુક્ત પ્રયાસથી બની છે
*માતાજીના મંદિરના શિખરની વ્યુ ગેલેરીમાંથી સમગ્ર અમદાવાદ શહેરનો નજારો નિહાળી શકાશે
*મંદિરની વ્યુ ગેલેરી અંદાજે 270 ફૂટ (82 મીટર) ઉંચી હશે
*મંદિરનો ગર્ભગૃહ સંપૂર્ણ ભારતીય શાસ્ત્રોમાં વર્ણવાયેલી ડિઝાઈન મુજબ બનશે
* ગર્ભગૃહમાં 52 ફૂટ ઉંચા સ્થાન પર જગત જનની મા ઉમિયા બિરાજશે
* જગત જનની મા ઉમિયાની સાથે મહાદેવનું પારાનું શિવલિંગ સ્થાપિત કરાશે
 
શિલાન્યાસ સમારોહની વિશેષતાઓઃ
*બે દિવસમાં અંદાજિત 2 લાખ કરતાં વધુ મા ઉમિયાના ભક્તો વિશ્વ ઉમિયાધામ જાસપુર –અમદાવાદ પધારશે
*સમગ્ર સમારોહના આયોજન માટે 50થી વધુ કમિટીઓ કામ કરશે
* સમગ્ર કાર્યક્રમમાં 5000થી વધુ સ્વયં સેવકો સેવા આપશે
 
શિલાન્યાસ સમારોહની તૈયારી અને કાર્યક્રમની રૂપરેખાઃ
 
28 ફેબ્રુઆરી 2020- શુક્રવાર
*સવારે 8થી 12 કલાકે અયુત આહુતિ મહાયજ્ઞ અને જગત જનની મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા
* જગત જનની મા ઉમિયા સાથે ગણપતિદાદા અને બટુક ભૈરવની ચલ પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાશે
*બપોરે 2 કલાકે 11 હજાર બહેનોની જ્વારા શોભાયાત્રા સાથે મા ગંગાના પવિત્ર જળ ભરેલાં 108 કળશનું સ્વાગત અને પૂજન કરાશે
* સાંજે 4 કલાકે દાતાશ્રીઓનો અભિવાદન સમારોહ યોજાશે
 
29 ફેબ્રુઆરી 2020- શનિવાર
* સવારે 8 કલાકે મુખ્ય કૂર્મ શિલા સહિત 9 શિલાઓનું દાતાશ્રીઓના હસ્તે પૂજન
* સાંજે 4 કલાકે મુખ્ય કાર્યક્રમ શિલાન્યાસ સમારોહ
* શિલાન્યાસ સમારોહમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજશ્રી (BAPS સ્વામિનારાયણ સંસ્થા) અને પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર (આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન) આશીર્વચન આપશે
* શિલાન્યાસ સમારોહમાં સમગ્ર ભારત ભરના 21 કરતાં વધુ દિગ્ગજ સંતો, મહંતો, મહામંડલેશ્વરો તેમજ કથાકારો પધારશે
* શિલાન્યાસ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે