1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
  4. Lalu Family Security

'બધા ગાંડા થઈ ગયા છે', સુરક્ષામાં ઘટાડો કરવા પર બોલ્યા લાલૂ પ્રસાદ - જે કરવુ હોય તે કરો, મીસાએ બંગલો ખાલી કરવા પર શુ કહ્યુ ?

lalu yadav
Lalu Family Security: ‘ સિંગાપોરથી પરત ફર્યા બાદ દિલ્હી એરપોર્ટ પર આરજેડી (RJD) સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે સુરક્ષામાં ઘટાડો કરવાના નિર્ણય પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે નરાજગી વ્યક્ત કરતા કહ્યું કે, "બધા લોકો ગાંડા થઈ ગયા છે. આ નફરતનું રાજકારણ છે. અમને કોઈ વાંધો નથી, તમે જે ઈચ્છો તે કરો." બિહાર સરકાર દ્વારા લાલુ પ્રસાદ અને રાબડી દેવી બંનેની સુરક્ષા વ્યવસ્થામાં કાપ મૂકવાના નિર્ણય બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે.

જનતા જ કરશે લાલુ પરિવારની સુરક્ષા: મીસા ભારતી

લાલુ પ્રસાદ યાદવની પુત્રી અને સાંસદ મીસા ભારતીએ પણ સરકારના આ પગલાં સામે મોરચો માંડ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે લાલુ પ્રસાદ અને રાબડી દેવીને સરકારી સુરક્ષાની કોઈ જરૂર નથી, કારણ કે તેઓ બિહારની જનતાના હૃદયમાં વસે છે અને જનતા જ તેમની સુરક્ષાનું ધ્યાન રાખશે. આ સાથે જ મીસા ભારતીએ પોતાની સરકારી સુરક્ષા પણ પરત કરવાની જાહેરાત કરી દીધી છે.
 

15  દિવસમાં સરકારી બંગલો ખાલી કરવાની ખાતરી

પટણાના 10 સર્ક્યુલર રોડ પર આવેલા સરકારી નિવાસસ્થાનને ખાલી કરવાના મુદ્દે મીસા ભારતીએ જણાવ્યું છે કે તેઓ આગામી 15 દિવસમાં આ બંગલો ખાલી કરી દેશે. આ દરમિયાન, પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ રવિવારે કૌટિલ્ય નગરમાં આવેલા પોતાના એક બાંધકામ હેઠળના ખાનગી ઘરની મુલાકાત લીધી હતી. આ નિરીક્ષણ બાદ એવી અટકળો તેજ થઈ ગઈ છે કે સરકારી બંગલો ખાલી કર્યા પછી લાલુ પરિવાર આ જ ખાનગી મકાનમાં રહેવા જઈ શકે છે, જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
 

  બંગલો ખાલી કરાવવાની નોટિસ અને રાજકીય વિવાદ

આ સમગ્ર વિવાદની શરૂઆત 29 મેના રોજ થઈ હતી, જ્યારે મકાન બાંધકામ વિભાગ તરફથી રાબડી દેવીને 15  દિવસમાં બંગલો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. શરૂઆતમાં રાબડી દેવીએ બંગલો ખાલી કરવાનો ઇનકાર કર્યો હતો અને બિહાર સરકારને બળજબરીથી બંગલો ખાલી કરાવી જોવા માટે પડકાર ફેંક્યો હતો. આ મુદ્દે ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ જાહેરમાં કટાક્ષ કરતા કહ્યું હતું કે, "બંગલો કોઈનો વારસો નથી. માતા અને પુત્રના અલગ ઘર હોવા જોઈએ, પરંતુ કોઈને બંગલા સાથે મોહ ન હોવો જોઈએ."

લાલુ પરિવારે એક પછી એક સરકારી સુરક્ષા પરત કરી

બંગલા વિવાદ બાદ બિહાર સરકારે લાલુ પ્રસાદ, રાબડી દેવી અને તેજ પ્રતાપ યાદવની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો, જ્યારે તેજસ્વી અને મીસા ભારતીની સુરક્ષા યથાવત રાખી હતી. આ નિર્ણયના વિરોધમાં રાબડી દેવીએ સૌથી પહેલા તેમના નિવાસસ્થાનેથી તમામ સુરક્ષા કર્મચારીઓને હટાવી દીધા હતા. ત્યારબાદ તેજસ્વી યાદવે પણ પોતાની સુરક્ષા પરત કરી દીધી અને હવે સિંગાપોરથી આવ્યા બાદ મીસા ભારતીએ પણ સુરક્ષા છોડવાની વાત કરી છે. હવે જોવાનું એ રહેશે કે રાબડી નિવાસસ્થાન ક્યારે સત્તાવાર રીતે ખાલી થાય છે.
 
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો