શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 માર્ચ 2023 (14:05 IST)

ગોલ્ડનબ્રિજ નજીક ૪.૫ કિમીના વિસ્તારમાં ફેલાયેલું “રેવા અરણ્ય ” બન્યું ભરૂચ માટે નવલું નજરાણુ

જંગલોનું મહત્વ જણાવવા અને તેના સંરક્ષણ વિશે લોકોને જાગૃત કરવા માટે ૨૧ માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય વન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. જંગલોમાં જોવા મળતા વૃક્ષો અને છોડ પૃથ્વી પર ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત છે. તેથી આ દિવસની ઉજવણીનો વિશેષ હેતુ લોકોને આ અંગે જાગૃત કરવાનો છે. વિશ્વભરના જંગલોને બચાવવાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમજ સ્થાનિક સ્તરે પણ વિવિધ કાર્યક્રમો અને વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. 
 
ત્યારે  વિશ્વ વન દિવસે ભરૂચ જિલ્લાના પ્રકૃતિપ્રેમી બે યુવાનો, ખેડૂત નીતિન ભટ્ટ, અને વેપારી મોહમ્મદ જાગલીવાલ, બંને મિત્રોએ અથાગ પરિશ્રમ અને લગનથી વેરાન જગ્યાને હરિયાળી બનાવી અંદાજે ૪.૫ કીમી જેટલા વિસ્તારને નાનકડા જંગલમાં ફેરવી નાખ્યું છે. પાવન સલિલા મા નર્મદાના તટે એક કુદરતી જંગલ ઉભું કરી પ્રકૃતીને જાળવી રાખવા અને પક્ષીઓને આશ્રય આપવાના શુભ આશ્રયથી ઉભો કરેલો પ્રોજેક્ટ આજે વટવૃક્ષ થઈ ચૂકયો છે. હજારો વૃક્ષોનું સિંચન અને ઉછેર થકી નાનકડું જંગલમાં ઉભું થઈ ચૂક્યું છે. રેવા અરણ્યથી વિશ્વ વન દિવસની પરિકલ્પના ખરેખર સાકાર નજરે ચઢે છે. 
 
નર્મદા નદીના કિનારે ઉભું કરાયેલું રેવાઅરણ્ય પ્રકૃતિપ્રેમીઓ માટે એક દિવસીય પીકનીક સ્પોટ બની નગરજનો માટે નવલું નજરાણું સાબિત થયો છે. રેવા અરણ્યની વાત કરીયે તો, ભરૂચના ગોલ્ડન બ્રિજથી અંકલેશ્વર તરફના છેડા પર ૨૦૧૯ના વર્ષમાં સામાજિક વનીકરણ શાખા ભરૂચ અને ભરૂચ સિટિઝન કાઉન્સિલ તરફથી રેવા અરણ્ય પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી હતી. ગોલ્ડનબ્રીજથી ગડખોલ પાટીયા સુધીના માર્ગ પર ગ્રીનબેલ્ટ ઉભો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ત્યારે જિલ્લાની સામાજિક સંસ્થાઓના દાઈત્વ થકી ૩ વર્ષના સમયગાળામાં ૨0 હજાર કરતાં વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. 
 
આ વાવેતર બાદ તેના ઉછેર અને સંવર્ધનની સધળી જવાબદારી નિતિન ભટ્ટ અને મહંમદ જાગલીવાલ બે મિત્રો ઉપાડી હતી. મિયાવાકી પધ્ધતી સાથે સજીવ ખેતીના અનુભવનો ઉપયોગ તેમણે અહી કર્યો છે. આ પ્રકૃતિ પ્રેમી જોડીએ ઉઠાવેલી જહેમતથી વેરાન જગ્યા આજે લીલીછમ બની છે. ભરૂચ જિલ્લામાં વસતા લોકોના જીવનમાં પણ વન વિસ્તારનું ખૂબ જ મોટું મહત્વ રહેલું છે. ગૌરવવતાં ગુજરાતમાં ભરૂચની વૈવિધ્યતા આગવી ઓળખ આપે છે. 
 
આવો સાથે મળીને વિશ્વ વન દિવસે પ્રતિજ્ઞા લઈએ કે આપણા વનવિસ્તારને આપણી ભાગીદારીથી ગુજરાતને વધુને વધુ વન સમૃદ્ધ બનાવવીએ. રેવા અરણ્યની ખાસ બાબત... રેવા અરણ્યની ખાસ બાબત એ છે કે, મિયાવાકી પધ્ધતી સાથે સજીવ ખેતીના અનુભવનો ઉપયોગ કરીને લીમડો, પીપળો, આંબલી, વડ, સાગ, ખેર, ગુલમહોર,વડ,પીપળો, સેતુર જેવી ૮૦% સ્થાનિક પ્રજાતિઓ પસંદ કરી તેનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંપરાગત પ્રક્રિયાને અનુસરીને અને માત્ર કુદરતી ખાતરનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરી તેનો ઉછેર કરવામાં આવ્યો છે. 
 
આ તમામ ઝાડ વિવિધ પ્રકારના પતંગિયા, મધમાખીઓ અને પક્ષીઓને આકર્ષવામાં મદદ કરી રહ્યા છે. આ રેવા અરણ્યમાં બાકીની ૨૦% પ્રજાતિઓ એવી વાવી છે જે તેની જમીનને અનુકૂલન કરી શકે છે અને વિકાસ કરી શકે છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક બનેલાં રેવા અરણ્યમાં હજી વધારે વૃક્ષોનું વાવેતર કરવાની કામગીરી ચાલી રહી છે. શું છે મિયાવાકી પદ્ધતિ... ? મિયાવાકી ફોરેસ્ટની શોધ જાપાનના બોટેનિસ્ટ અકીરા મિયાવાકીએ કરી હતી. જેથી તેમના નામ પરથી આ જંગલને મિયાવાકી ફોરેસ્ટ નામથી ઓળખવામાં આવે છે. આ પદ્ધતિથી નિર્માણ થતા વનમાં ખુબજ નજીક -નજીક છોડો લગાવવામાં આવે છે. આ પદ્ધતિમાં લગાવવામાં આવેલા છોડો ખુબજ તીવ્રતાથી વધે છે સામાન્ય વૃક્ષોની વૃદ્ધિ ઝડપથી થાય છે. અનુક્રમે મિયાવાકી પધ્ધતીથી રોપવામાં આવેવા તમામ ઝાડ અંદરો-અંદર વૃદ્ધિ માટે જાણે હરિફાઈ કરતા હોઈ છે.