1. ધર્મ
  2. તહેવારો
  3. જન્માષ્ટમી વિશેષ
Written By
Last Modified: ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2023 (07:48 IST)

નંદ ઘેર આનંદ ભયો.... આ માત્ર જન્મોત્સવ જ નથી આ છે કંસ વધનું કાઉન્ટડાઉન....

Janmashtami 2023 - નંદઘેર આનંદ ભયો....જય કનૈયા લાલ કી....આ બે પંકિતઓ સાંભળતાની સાથે જ મનમાં એક અનોખો ભાવ જાગે છે સાથે જ  એક દ્રશ્ય ઉભું થઇ જાય છે.
 
 
શુ અગાઉના જમાનામાં અન્ય કોઇના ત્યાં બાળક જન્મ નહીં થયો હોય...શુ કોઇ બાળકનો જન્મોત્સવ ઉલ્લાસભેર મનાવાતો નહીં હોય....! થતો હશે, પરંતુ અહીં વાત અલગ છે. આ ઉત્સવનો મર્મ જાજરમાન છે.
 
નાના બાળકના જન્મોત્સવની સામાન્ય લાગતી આ ઉજવણી પાછળ ઘણું બધું છુપાયેલું છે. આ જન્મોત્સવએ મહાકાય બની બેઠેલા અધર્મના પતનનું કાઉન્ટડાઉન છે. અધર્મ ઉપર ધર્મ રૂપી વિજયી તાકાતના જન્મની ઉજવણી છે. સમાજ માટે ખરાબ પ્રવૃતિ કરનાર રાજા ભલે પોતાના કુળનો હોય કે પછી સ્વજન હોય, તો તેને પણ દંડ આપવાની વાત છુપાયેલી છે.
 
મનુષ્યરૂપમાં ભગવાનના આ આવતારમાંથી દરેક સમસ્યાઓનું નિવારણ મળે છે. બોધ પાઠ મળે છે. શ્રીકૃષ્ણના જીવનના તમામ પ્રસંગો શીખ, મહત્વ, બોધ સુચવી જાય છે. હસી, મજાક, ટીખળથી જીવન કેવું હર્યુભર્યું બને છે તેમજ આસપાસના વાતાવરણને પણ જીવંત બનાવે છે એ નટખટ કનૈયાની બાળ લીલાઓ પરથી જાણી શકાય છે.
 
ઇચ્છા ના હોવા છતાં પણ જીવનમાં કેવા કેવા મહાભારત રચવા પડે છે કે પછી તેમાં ઉતરવું પડે છે એની લાચારી, ખુમારી દર્શાવે છે. છેવટે તો બધુ ભગવાનને જ આધીન છે, સર્વ શક્તિમાન આખરે તો ભગવાન ન છે, માત્ર કર્મ કરતા જાવ ફળની આશા રાખવી નહી, ગમે તેવા સંજોગોમાં અધર્મીઓને તાબે થવું નહીં સહિતનો જીવનબોધ પણ નટખટ કનૈયાના જીવનમાંથી જ મળે છે.
 
નંદ ઘેર આનંદ ભયો...જય કનૈયા લાલ કી સાચે જ આનંદદાયક છે. પરંતુ આજે એક વાત વિચારવા જેવી છે, જો આ ઉત્સવ તમામ ઘરમાં સર્જાય, બધા પિતા નંદ બને, બધી માતાઓ જશોદા બને તો પૃથ્વી પર આવનાર બાળકને કનૈયો બનતા કોઇ રોકી નહીં શકે. કંસ જેવા અધર્મીઓ પણ તેનું કાંઇ બગાડી નહી શકે....
 
આખરે કંસ વધ નક્કી જ છે. કંસના ભવિષ્યમાં વધ લખાયેલો જ છે. રાહ જોવાઇ રહી છે તો માત્ર કામણગારા, નટખટ બાળગોપાલની........તમે તૈયાર છો.....?