શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. અનોખુ વિશ્વ
  4. »
  5. અનોખુ કાર્ય
Written By વેબ દુનિયા|

ચાલો..અમારી સાથે કાવી-કંબોઈ અને નર્મદા ડેમની મુલાકાતે...

PR
P.R
પર્યટન સ્થળોની જાણકારી મેળવવા માટે અનેક માધ્યમો ઉપલબ્ધ છે..પરંતુ, પર્યટન સ્થળોની સહેલગાહ માણવાનો અનુભવ જાણવો અત્યંત રસપ્રદ સાબિત થાય છે. વેબદુનિયા હવે પર્યટન સ્થળોની મુલાકાત લેનારા એડવેન્ચર પસંદ લોકોની વાત તેમના શબ્દો દ્વારા કરશે. જેનાથી આ ટુરિસ્ટ પ્લેસ વિષેની સાચી માહિતી વાચકો સુધી પહોંચી શકે..પર્યટનની ચેનલ માટેનાં નવા અધ્યાયની શરૃઆત આપણે પવિત્ર યાત્રાધામ કાવી-કંબોઈ અને સરદાર સરોવર ડેમથી કરીશુ...





PR
P.R
અમદાવાદનાં નવા વાડજ વિસ્તારમાં આવેલા નંદનવનમાં રહેતા કેતૂલ દવે, નિલેશ પટેલ, મહેન્દ્રભાઈ, રાજેશ પંચાલ, અમિત બારોટ અને દિગ્વિજય સહિતનાં છ મીત્રોએ તાજેતરમાં આ બંને પર્યટન સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, 11મી ઓગષ્ટની રાત્રે તેમણે અચાનક આ બંને સ્થળોની સહેલગાહ માણવાનો નિર્ણય લીધો હતો. ગણતરીનાં સમયમાં જ તેઓએ પોતાના નિર્ણયને અમલમાં મુક્યો હતો અને તમામ મીત્રો ઈકો ગાડીમાં સવાર થઈને પ્રવાસે નીકળ્યા હતા. અમદાવાદથી ગણતરીનાં સમયમાં જ તેઓ એક્સપ્રેસ હાઈવે પર પહોંચ્યા હતા. પરંતુ, અચાનક ભારે વરસાદ શરૃ થયો હતો. રાત્રીનો અંધકાર અને મૂશળધાર વરસાદ વચ્ચે એક્સપ્રેસ હાઈવે પર ગાડી ચલાવવી મુશ્કેલ હતી. તેમ છતાંય તેઓએ સાહસ દાખવીને પોતાનો પ્રવાસ આગળ ધપાવ્યો હતો.

PR
P.R
આખરે, થોડા જ કલાકોમાં તેઓ એક્સપ્રેસ હાઈવે ક્રોસ કરીને વડોદરા પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ જંબુસર તરફનાં હાઈવે તરફ ગયા હતા. જ્યાં પણ વરસાદનું વિઘ્ન મૌજુદ હતુ. પરંતુ, તેની પરવા કર્યા વિના તેઓ આગળ વધતા રહ્યા હતા. આખરે, થોડ સમય બાદ જંબુસર આવતા પહેલા તેઓ ચા-નાસ્તો કરવા માટે હાઈવે પરની એક હોટલ પર રોકાયા હતા. વરસાદનાં ભેજયુક્ત વાતાવરણમાં ગરમ ચાની ચુસ્કી લગાવવાનો આનંદ તેમણે અનુભવ્યો હતો. ત્યારબાદ તેઓ કાવી-કંબોઈ તરફ આગળ વધ્યા હતા. વહેલી પરોઢે તેઓ પવિત્ર યાત્રાધામ કંબોઈ પહોંચ્યા હતા.

PR
P.R
જ્યાં દરિયાનાં ઉછળતા મોજા વચ્ચે બિરાજમાન સ્તંભેશ્વર મહાદેવનાં શિવલીંગનાં દર્શનનો લ્હાવો લીધો હતો. મંદિરનાં પંડિતોએ તેમના હાથે શિવલીંગની પૂજા અને અભિષેક કરાવ્યો હતો. ભગવાન શંકરની પૂજા કરીને તેઓ મંદિરનાં પટાંગણમાંથી બહાર નીકળ્યા હતા અને સમુદ્ર કાંઠે પહોંચ્યા હતા. જ્યાં દરિયાનાં ઉછળતા મોજાનું દ્રશ્ય જોઈને તેઓ અચંબિત થઈ ઉઠ્યા હતા. લખલુટ કુદરતિ સૌંદર્ય, ભગવાન શંકરનું સાનિધ્ય અને સમુદ્રનો સંગાથ...આ પર્યટન સ્થળની ખાસિયત હતી. જેની મુલાકાતથી તેઓનાં મનમાં શાંતિનો અહેસાસ થયો હતો.

આખરે, અત્યંત વ્યસ્ત જીવનશૈલીમાંથી થોડો સમય આધ્યાત્મ માટે પણ આપવો જોઈએ તેવો નિષ્કર્ષ તેઓએ કાઢ્યો હતો. આ ધાર્મિક સ્થળની મુલાકાત લીધા બાદ તેઓએ ફરી એકવાર પોતાના પ્રવાસને આગળ ધપાવ્યો હતો. હવે તેઓ સરદાર સરોવર ડેમ તરફ રવાના થયા હતા. જંબુસરથી આમોદ થઈને તેઓ ભરૃચ પહોંચ્યા હતા અને ત્યારપછી તેમણે રાજપીપળા તરફ ગાડી વાળી લીધી હતી. થોડા કલાકની મુસાફરી બાદ તેઓ રાજપીપળા પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ સરદાર સરોવર ડેમ પહોંચ્યા હતા. આ સ્થળે મુલાકાતીઓની સંખ્યા હજારોમાં હતી.

વાહન પાર્કિંગથી માંડીને પ્રવેશ પાસ લેવામાં પણ લાંબી કતારો ખડકાઈ હતી. ડેમ પરથી નર્મદા નદીનું પાણી ઓવરફ્લો થઈ રહ્યુ હતુ. જવલ્લે જ સર્જાતી આ ઘટનાને જોવા માટે રાજ્યભરનાં પર્યટકો કેવડિયા કોલોની ધસી આવ્યા હતા. જેને લીધે જબરદસ્ત ગેરવ્યવસ્થા સર્જાઈ હતી. તેમ છતાંય લોકો સ્વયં શિસ્તનું પાલન કરીને એકબીજાને મદદરૃપ બનતા જોવા મળ્યા હતા. થોડા સમય બાદ કેતૂલ દવે તથા તેમના મીત્રોની ગાડીને ડેમનાં રસ્તા ઉપર પ્રવેશ મળ્યો હતો અને તેઓએ ડેમનાં જુદાજુદા પોઈન્ટની મુલાકાત લીધી હતી. ડેમ પરથી ઓવરફ્લો થતી નર્મદા નદીને નિહાળવી એક અહ્લાદક અનુભવ હતો. આ સ્થળે નર્મદા મૈયા...ની પ્રચંડ શક્તિનો સ્પષ્ટ અહેસાસ થતો હતો. થોડા સમય સુધી અહીં રોકાયા બાદ તેઓ આગળ વધ્યા હતા. જ્યાં ડેમ સાઈટ ઉપર બનાવવામાં આવેલા જુદાજુદા તળાવોનાં કુદરતિ સૌંદર્યને માણ્યા બાદ તેઓ બહાર નીકળ્યા હતા. આ સાથે જ તેમણે પોતાના પ્રવાસને પૂર્ણ વિરામ આપ્યુ હતુ અને તેઓ ફરી એકવાર અમદાવાદ તરફ રવાના થયા હતા.