રાજકોટમાં આવેલ વોર્ડ નંબર 7માં ધોબીવાડમાં ભાજપના જમણવાર ઉપર હુમલો
રાજકોટમાં આવેલ વોર્ડ નંબર 7માં આવેલ સદર, ધોબીવાડમાં ભાજપના જમણવાર ઉપર હુમલો:મોટી માથાકૂટ:ટોળા ભેગા થયા:પાસામાં જઈ આવેલ મનાતા 2થી 3 લઘુમતી યુવાનોએ જમવાનું ઉડાવી દીધું
આવતીકાલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન છે ત્યારે જ ગત રાત્રે શહેરના વોર્ડ નં. ૭ના સદરના ધોબીવાડમાં ભાજપ દ્વારા યોજાયેલા પાંઉભાજીના ભોજન સમારંભમાં ત્રણેક લઘુમતિ યુવાનોએ માથાકુટ કરી ધમાલ મચાવતાં દેકારો મચી ગયો હતો. ઘટનાને પગલે વોર્ડના ભાજપના ઉમેદવાર કશ્યપ શુક્લ તથા લઘુમતિ આગેવાન યુસુફ જૂણેજા તથા અન્ય આગેવાનો અને કાર્યકરો પહોંચી જતાં એક તબક્કે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. પોલીસ કમિશ્નર મોહન ઝાને જાણ કરવામાં આવતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પ્ર.નગર પી.આઇ. એમ.બી. નકુમ તથા ડી. સ્ટાફનો કાફલો અને અન્ય પોલીસ સ્ટાફ સદરમાં પહોંચી ગયો હતો. જો કે બાદમાં બંને પક્ષે ઘરમેળે જ સમાધાન કરી લીધુ હતું. મતદાનના દિવસે વાત વણસે નહિ તેને ધ્યાને લઇને બેમાંથી એકેય પક્ષે અરજી પણ કરવાનું ટાળ્યું હતું. ભાજપના ભોજન સમારંભમાં બારેક વર્ષનો એક ટેણીયો જમવા આવતાં તેને એક શખ્સે ટપારતાં ટાબરીયાએ પોતે જેની સાથે રહે છે તે લઘુમતિ યુવાનોને જાણ કરતાં તે ઉપરાણું લઇને આવ્યા હતાં. આ વખતે ચડભડ-ગાળાગાળી થતાં જમવા આવેલા લોકોમાં નાશભાગ મચી જતાં વાત વણસી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ સદરમાં ધોબીવાડ બેલદાર શેરીમાં ભાજપના ઉમેદવાર દ્વારા બૂથ મિટીંગ યોજવામાં આવી હતી. ત્યારબાદ પાંઉભાજીના નાસ્તાનું ભોજન રાખવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો તથા વિસ્તારના રહેવાસીઓ ઉમટી પડયા હતાં. આ વખતે ત્રણેક લઘુમતિ યુવાનો આવ્યા હતાં અને માથાકુટ શરૂ કરતાં નાશભાગ મચી ગઇ હતી. તેના કારણે ખુરશીઓ ઉંધી વળી ગઇ હતી. બાદમાં ઉમેદવાર કશ્યપ શુક્લ સહિતના આવ્યા હતાં. આ વખતે તેની સાથે પણ ચડભડ-ઝપાઝપી થઇ હતી. પોલીસ કમિશ્નરને કશ્યપ શુક્લએ જાણ કરતાં ડીસીપી શ્રી ચોૈધરી, એસીપી શ્રી ચાવડા સહિતનો કાફલો દોડી આવ્યો હતો.
ભાજપ તરફથી એવો આક્ષેપ કરાયો હતો કે નશામાં હોય તેવા લાગતાં શખ્સોએ તૈયાર ભોજન ઉંધી વાળી દીધુ હતું તેમજ ખુરશી-ટેબલ પછાડી દીધા હતાં. કોંગ્રેસના ઇશારે આવું થયાનો આક્ષેપ પણ કરાયો હતો. લઘુમતિ આગેવાન સુલેમાન સંઘારના પોૈત્રો સાહિલ, સોહિલ અને બાદશાહ નામનો શખ્સ ડખ્ખામાં સામેલ હોવાનું કહેવાતાં તેના વડિલો બનાવ સ્થળે પહોંચ્યા હતાં.
જો કે બાદમાં બંને પક્ષે શાંતિ જળવાઇ રહે અને ચૂંટણીમાં કોઇ માથાકુટ ન થાય એ વાત ધ્યાને રાખી ફરિયાદ નોંધાવવાનું ટાળ્યુ ંહતું અને ઘરમેળે સમાધાન કરી લેતાં પોલીસે પણ નિરાંત અનુભવી હતી. સદરમાં રાત્રે જ શાંતિનો માહોલ સ્થાપિત થઇ ગયો હતો.
ઘટનાને મોટુ સ્વરૂપ આપી દેવા ઘાટ ઘડાયાની પણ સ્થાનિક લોકોમાં ચર્ચા
ઞ્જ જ્યાં ડખ્ખો થયો તે વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક લોકોમાં થઇ રહેલી ચર્ચા મુજબ સોહિલ અને સાહીલ સાથે જ એક ટેણીયો લાંબા સમયથી રહે છે. આ ટેણીયો જમવા માટે આવ્યો અને ડીસ લઇને લાઇનમાં ઉભો હતો ત્યારે એક ત્રીસેક વર્ષનો શખ્સ કે જે આ ટાબરીયાને ઓળખે છે તેણે તેને ધમકાવતાં અને ટાપલી મારી લેતાં એ ટેણીયાએ સોહિલ અને સાહિલ સંઘારને જાણ કરતાં એ બંને અને અન્ય એક શખ્સ આવ્યા હતાં. તેણે ટાપલી મારનારને ટપારતાં બોલાચાલી અને દેકારો થતાં નાશભાગ મચી ગઇ હતી. ત્યારબાદ ભાજપના ઉમેદવાર અને આગેવાનો આવ્યા હતાં. સામાન્ય વાતને મોટુ સ્વરૂપ આપી દેવા ભાજપ દ્વારા જ ઘાટ ઘડવામાં આવ્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું હતું. જો કે ઘટનામાં સમાધાન કરી લેવાયું હોઇ પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી.