શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. જૈન
  4. »
  5. જૈન ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

ભગવાન ઋષભનાથને ઓળખો

પ્રથમ અરિહંતને નમસ્કાર

W.D
વૃષભનો અર્થ થાય છે બળદ. ભગવાન શિવને આદિનાથ પણ કહેવામાં આવે છે. કૈલાશ પર્વત પર જ વૃષભનાથને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. નાથ કહેવાથી તેઓ નાથોના નાથ છે. તેઓ જૈનોના જ નહિ પરંતુ હિંદુ અને બધા ધર્મોના તીર્થકર છે કેમકે તેઓ પરમ પ્રાચીન આદિનાથ છે.

તેમનો જન્મ :
વૃષભનાથને જૈન ઋષભદેવ કહે છે. તેમનાથી જ જૈન ધર્મ કે શ્રમણ પરંપરાનો પ્રારંભ થયું હોવાનું મનાય છે. આ જૈનોના પ્રથમ તીર્થકર છે. આમના પહેલાં જે મનુ થયા છે તેઓ જૈનોના કુલકરો છે. કુલકરોની ક્રમશ: 'કુલ' પરંપરાના સાતમા કુલકર નાભિરાજ અને તેમની પત્ની મરૂદેવીથી ઋષભ દેવનો જન્મ ચૈત્ર વદ નોમના દિવસે અયોધ્યામાં થયો હતો. ઋષભદેવ સ્વયંભુ માનુથી પાંચમી પેઢીમાં આ ક્રમમાં થયા હતાં- સ્વાયંભુ મનુ, પ્રિયવ્રત, અગ્નીધ્ર, નાભિ અને પછી ઋષભ. આમ જોવા જઈએ તો નાભિરાજથી જ ઈક્ક્ષવાકુ કુળની શરૂઆત માનવામાં આવે છે.

જ્યારે ઋષભદેવ માતાના ગર્ભમાં હતાં ત્યારે તેમની માઁને ચૌદ શુભ વસ્તુઓના સ્વપ્નો આવ્યાં હતાં. તેમણે જોયું કે એક સુંદર સફેદ બળદ તેમના મોઢામાં પ્રવેશ કરી રહ્યો છે, એક વિશાળ હાથી જેના ચાર દાંત છે, એક વાઘ, કમળ પર બેઠેલી દેવી લક્ષ્મી, ફુલોની માળા, પૂનમનો ચાંદ, સોનાનો કળશ, કમળના ફૂલો વડે ભરેલુ તળાવ, દૂધનો સમુદ્ર, દેવતાઓનું અંતરિક્ષ યાન, ઘરેણાઓનો ઢગલો, ધુમાડાવિનાની આગ, લહેરાતો ઝંડો અને સુર્ય.

રાજા ઋષભદેવ :
અયોધ્યાના રાજા નાભિરાજના પુત્ર ઋષભ પોતાના પિતાના મૃત્યું બાદ રાજ સિંહાસન પર બેઠા અને તેમણે ઋષિ, શિલ્પ, અસિ(સૈન્ય શક્તિ), મસિ (પરિશ્રમ), વાણિજ્ય અને વિદ્યા આ છ આજીવિકાઓના સાધનોની વિશેષ રૂપથી વ્યવસ્થા કરી હતી તેમજ દેશ અને નગર તેમજ વર્ણ અને જાતિઓ વગેરેનું સુવિભાજન કર્યું હતું. તેમના બે પુત્રો ભરત અને બાહુબલી તેમજ બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી હતી જેમને તેઓએ બધી જ વિદ્યા અને કળાઓ શિખવાડી હતી.

ઋષભદેવનું યોગદાન :
ઋષભદેવનો માનવ મનોવિજ્ઞાનમાં ઘણો ઉંડો રસ હતો. તેમણે શારીરિક અને માનસિક ક્ષમતાઓની સાથે લોકોને શ્રમ કરવાનું શીખવાડ્યું હતું. આ પહેલાં લોકો પ્રકૃતિ પર જ નિર્ભર હતાં. વૃક્ષને જ પોતાનું ભોજન અને અન્ય સુવિધાઓનું સાધન માનતાં હતાં અને સમુહમાં રહેતાં હતાં.

ઋષભદેવે પહેલી વખત ઉપજને શિખવાડ્યું હતું. તેમણે ભાષાને સુવ્યવસ્થિકરણ કરીને લખવાના ઉપકરણની સાથે સાથે સંખ્યાઓનો પણ આવિષ્કાર કર્યો હતો. નગરોનું નિર્માણ કર્યું હતું. વાસણ બનાવવા, સ્થાપત્ય કળા, શિલ્પ, સંગીત, નૃત્ય અને આત્મરક્ષા માટે શરીરને મજબુત કરવાના ગુરૂ મંત્રો શીખવાડ્યા હતાં. સાથે સાથે સામાજીક સુરક્ષા અને દંડ સંહિતાની પ્રણાલીની સ્થાપના કરી હતી.

તેમણે દાન અને સેવાનું મહત્વ સમજાવ્યું. જ્યાર સુધી તેઓ રાજા હતાં ત્યાર સુધી તેમણે ગરીબ જનતા, સંન્યાસીઓ અને બિમાર લોકોનું ધ્યાન રાખ્યું હતું. તેમણે ચિકિત્સાની શોધમાં પણ કેટલાયે લોકોની મદદ કરી હતી. નવી નવી વિદ્યાઓને શોધવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા હતાં. ભગવાન ઋષભદેવે માનવ સમાજને સભ્ય અને સંપન્ન બનાવવા માટે યોગદાન આપ્યું છે તેના મહત્વને બધા જ ધર્મના લોકોને સમજવાની જરૂરત છે.

જીવનનું પરિવર્તન :
એક દિવસ રાજસભામાં નીલાંજના નામની નર્તકીનું નૃત્ય કરતાં કરતાં જ મૃત્યું થઈ ગયું તો આ ઘટનાથી ઋષભદેવનું સંસાર પ્રત્યેથી વૈરાગ્ય થઈ ગયું અને તેઓ રાજ્ય અને સમાજની નીતિ અને નિયમની શિક્ષા આપ્યા બાદ રાજ્યનો પરિત્યાર કરીને તપસ્યા કરવા માટે વનમાં ચાલ્યા ગયાં. તેમના જયેષ્ઠ પુત્ર ભરત રાજા થયા અને તેમણે પોતાના દિગ્વિજય અભિયાન દ્વારા સર્વ પ્રથમ ચક્રવર્તી પદ પ્રાપ્ત કર્યું. ભરતના નાના ભાઈ બાહુબલી પણ વૈરાગ્ય લઈને તપસ્યામાં પ્રવૃત્ત થઈ ગયાં. ભરત રાજાના નામ પરથી જ આખો જમ્બુદ્વીપ ભારતવર્ષ કહેવાવા લાગ્યો.