ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Modified: શુક્રવાર, 5 મે 2023 (11:46 IST)

Gautam Buddh Story - ગૌતમ બુદ્ધની પૌરાણિક કથા

gautam buddh story
સિદ્ધાર્થ ગૌતમનુ જીવન, જેને આપણે બુદ્ધ કહીએ છીએ, તે દંતકથા અને પૌરાણિક કથામાં સંતાયેલું છે. મોટાભાગના ઇતિહાસકારોનુ માનવુ છે કે એ એવા વ્યક્તિ હતા જેના વિશે આપણે ખૂબ ઓછુ જાણીએ છીએ.  સિદ્ધાર્થ એ સંસ્કૃત નામ છે જેનો અર્થ થાય છે "જેણે એક ધ્યેય પૂરો કર્યો છે" અને ગૌતમ કુટુંબનું નામ છે.
 
કપિલવસ્તુના રાજા શુદ્ધોદનને કોઈ સંતાન ન હતું. આ કારણથી સંતાનની લાલસામાં તેણે બે લગ્ન કર્યા હતા. જેમાં મોટી રાણીનું નામ મહામાયા અને નાનીનું નામ પ્રજાપતિ હતું. આધેડ વય સુધી દાન અને દેવતાઓની પૂજા કર્યા પછી પણ તે બાળકનું સુખ મેળવી શક્યા નહીં.  તેમના રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હતી. પણ વારસદાર ન હોવાથી શુદ્ધોદનને એ બધું નિરર્થક લાગ્યું. રાજા-પ્રજા સૌ કોઇ પુત્ર પ્રાપ્તીની રાહ જોતા હતા. ત્યારે દેવોએ બોધિસત્વને અવતાર લેવા વિનવ્યા. અષાઢી પુનમના તહેવારે મહામાયાને એક દિવ્ય સ્વપ્ન આવ્યુ.
 
સ્વપ્નમાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર દક્ષિણ એમ ચાર દિશાના દેવો આવ્યા. તેમણે માયાદેવીનો પલંગ ઊંચકયો. એ પલંગ જાદૂઈ શેતરંજીની માફક ઉડ્યન કરતો, ગામ ને નગર વટાવટો તો હિમાલયનાં શિખરો પાસેના એક પવિત્ર સરોવર પાસે આવ્યો. ત્યાં ચાર રાણીઓએ માયાદેવીનો સત્કાર કર્યાં અને સુગંધી દ્રવ્યોથી તેને સ્નાન કરાવી, દિવ્ય વસ્ત્રાભૂષણોથી શણગારી એક સુંદર સુવર્ણપ્રાસાદના વરંડામાં પલંગ પર સુવાડી ત્યાંથી તેની નજર દૂર દિવ્ય તેજઃ પુંજમાં સ્નાન કરતા એક ઉત્તુંગ ગિરિ પર પડી. એનાં શિખરો પર એક શ્વેત હાથી હતો. હાથીની સૂંઢમાં સુંદર શ્વેત પદ્મ હતું. માયાદેવીની ત્યાં નજર પડતાં જ હાથી ત્વરિત ગતિથી પર્વત ઊતરી એ સુવર્ણપ્રાસાદમાં આવ્યો. એના આગમનથી જાણે વિજયડંકા વાગવા લાગ્યા. માયાદેવીની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, દક્ષિણ બાજુબંધી એ જાણો તેની કૂખમાં પ્રવેશ્યો ને રાણીની આંખ ખૂલી ગઈ.
 
સ્વપ્નથી અતિ પ્રસન્ન થઈ રાણીએ તેના પતિને વાત કરી. રાજાએ પ્રાતઃકાળે સ્વપ્નપાઠકોને બોલાવીને સ્વપ્નનું ફળ પૂછ્યું, તેમણે ખુલાસો કર્યા કે રાણી એક અલૌકિક બુદ્ધિવાળા પુત્રની માતા બનશે, જે પુત્ર કાં તો ચક્રવર્તી રાજા થશે અથવા તો પૃથ્વી પરની અજ્ઞાનતા અને પાપબોજ દૂર કરનાર મહાપુરુષ થશે.
 
હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, ગૌતમ બુદ્ધને ભગવાન વિષ્ણુનો 9મો અવતાર માનવામાં આવે છે.હિન્દુ કેલેન્ડર મુજબ, બૌદ્ધ ધર્મના સ્થાપક ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ વૈશાખ મહિનાની પૂર્ણિમાની તારીખે થયો હતો. તેથી જ આ દિવસે બુદ્ધ પૂર્ણિમાને જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. માતા મહામાયા નવજાત શિશુ સાથે કપિલવસ્તુ પરત ફર્યા. નામકરણ વિધિ પછી પાંચમા દિવસે બાળકનું નામ સિદ્ધાર્થ રાખવામાં આવ્યું. સિદ્ધાર્થ એટલે જેનો બધાજ અર્થ સફળ થઇ ગયા છે તે. તેમના ગોત્ર ગૌતમ મુનિના કારણે તેઓ સામાન્ય લોકોમાં સિદ્ધાર્થ ગૌતમના નામથી પ્રખ્યાત થયા.
 
ગૌતમ બુદ્ધનું શિક્ષણઃ મહાત્મા બુદ્ધે તેમનું પ્રારંભિક શિક્ષણ ગુરુ વિશ્વામિત્ર પાસેથી મેળવ્યું હતું, તેમણે તેમના ગુરુ વિશ્વામિત્ર પાસેથી વેદ અને ઉપનિષદનું શિક્ષણ મેળવ્યું હતું, વેદ અને ઉપનિષદોની સાથે તેમણે યુદ્ધ અને રાજાશાહીનું શિક્ષણ પણ લીધું હતું, તેઓ ઘોડેસવાર, તલવારબાજી, કુસ્તી, તીરબાજી પણ શીખ્યા હતા. -ઘોડેસવાર, તલવારબાજી, કુસ્તી, તીરબાજી અને રથ ચલાવવામાં કોઈ તેમની હરીફાઈ કરી શકતું ન હતું.
 
મહાત્મા ગૌતમ બુદ્ધના લગ્નઃ 16 વર્ષની ઉંમરે સિદ્ધાર્થના લગ્ન રાજકુમારી યશોધરા સાથે થયા હતા. તેમની પત્ની યશોધરા સાથે તેઓ ઋતુ પ્રમાણે પિતા દ્વારા બનાવેલા ભવ્ય મહેલમાં રહેવા લાગ્યા અને આનંદથી જીવન વિતાવવા લાગ્યા. તેમને એક પુત્ર પ્રાપ્ત થયો હતો જેનું નામ તેમણે રાહુલ રાખ્યું હતું. 
 
સિદ્ધાર્થ ગૌતમનો ત્યાગ - એક દિવસ ભગવાન બુદ્ધે શહેરની મુલાકાત લેવાનું વિચાર્યું. તેમણે પોતાની ઈચ્છા સારથિ સામે મૂકી. અને નકળી ગયા નગર યાત્રાએ. તેઓ સિદ્ધાર્થનગરમાં વિહરતા હતા. ત્યાં તેમણે એક વૃદ્ધ માણસને જોયો. વૃદ્ધ માણસ બરાબર ચાલી પણ શકતો ન હતો. સિદ્ધાર્થ સમક્ષ આ મૂંઝવણ હતી. કારણ કે તેમણે આજ સુધી કોઈ વૃદ્ધને જોયો ન હતો.
 
તેમણે તેના વિશે સારથિને પૂછતાં સારથીએ કહ્યું કે તે વૃદ્ધ છે. દરેક વ્યક્તિ એક દિવસ વૃદ્ધ થાય છે. આ કુદરતનો નિયમ છે. સિદ્ધાર્થે પોતાની તરફ જોયું અને પ્રશ્ન કર્યો કે શું હું પણ એક દિવસ આવો બનીશ? સારથિએ જવાબ આપ્યો. હા, દરેક વ્યક્તિ વૃદ્ધ થાય છે. આ પછી સિદ્ધાર્થ આગળ વધ્યા. તેમણે એક બીમાર માણસને રસ્તાની બાજુમાં પડેલો જોયો. જે પીડાથી બૂમો પાડી રહ્યો હતો.
 
સિદ્ધાર્થએ સારથિને તેના પૂછતાં સારથીએ કહ્યું કે આ વ્યક્તિ બીમાર છે. જે કોઈ રોગને કારણે પીડામાં છે. આ શરીર ક્યારેક બીમાર પડી જાય છે. આવું લગભગ દરેક વ્યક્તિ સાથે પણ થાય છે. આ બંને ઘટનાઓ જોઈને ગૌતમ ખૂબ જ પરેશાન થઈ ગયા. અને તેઓ આગળ વધ્યા.
 
અંતે, તેમણે શબ યાત્રા જોઇ. કેટલાક માણસો એક માણસની લાશ લઈને જઈ રહ્યા હતા. સિદ્ધાર્થે ફરી કુતૂહલવશ પૂછ્યું. તો સારથિએ જવાબ આપ્યો. દરેક માણસે એક દિવસ મરવાનું છે. આમાંથી કોઈ બચી શકે તેમ નથી. આ બધું જોઈને સિદ્ધાર્થના મનમાં ખળભળાટ મચી ગયો. તેમનું મન સાંસારિક જીવનમાંથી ઉઠી ગયું. પછી એક દિવસ રાત્રે કોઈને કહ્યા વગર, તેમણે ઘર છોડી દીધું. તે સમયે ગૌતમની ઉંમર 29 વર્ષની હતી.
 
ગૌતમ બુદ્ધના ઉપદેશોઃ
એવી માન્યતા પ્રચલિત છે કે 7 દિવસ અને 7 રાતની કઠોર તપસ્યા કર્યા પછી જ્યારે ગૌતમ બુદ્ધને જ્ઞાન થયું. ત્યારબાદ તેઓ મૌન થઈ ગયા. તેમના મૌનથી આખું દેવલોક ધ્રૂજી ઊઠ્યું. બધા દેવતાઓ વિચલિત થઈ ગયા અને વિનંતી કરવા લાગ્યા. હે બુદ્ધ! તમારું મૌન તોડો.
 
આ દુનિયાને સાચો રસ્તો બતાવો. યુગોની તપસ્યા પછી માણસ બુદ્ધ બને છે. જો તમે મૌન થશો, તો આ જગત કાયમ માટે શાંત થઈ જશે. ત્યારપછી તેઓ આ દિવ્ય જ્ઞાનનો ફેલાવો કરવા ભ્રમણ માટે નિકળ્યા. 5 બ્રહ્મચારીઓ કે જેમણે ગૌતમ બુદ્ધને આનંદી માનીને છોડી દીધા હતા. તેઓ સારનાથમાં આધ્યાત્મિક સાધના કરી રહ્યા હતા.
 
જ્યારે ગૌતમ બુદ્ધ ત્યાંથી પસાર થયા તો આ 5 બ્રહ્મચારીઓએ ગૌતમ બુદ્ધનો દિવ્ય ચહેરો જોયો. ચહેરનું તેજ જોઇને જ તેઓ સમજી ગયા કે તેમણે બૌદ્ધની પ્રાપ્ત થઇ ચુકી છે. તે પાંચેય જણ ગૌતમ બુદ્ધના પગે પડ્યા. બુદ્ધે તેમને પોતાના શિષ્ય બનાવ્યા. તેમણે સારનાથમાં જ તેમને ઉપદેશ આપ્યો હતો. આ ઉપદેશમાં બુદ્ધે કહ્યું. પવિત્ર જીવન જીવવા માટે, મર્યાદાઓનું પાલન કરો. તૃષ્ણા-ઇચ્છા-મોહને ત્યાગી દો. જાતિના ભેદભાવનો અંત લાવો.
 
ગૌતમ બુદ્ધે જાતિ, વર્ણ ભેદભાવનો સખત વિરોધ કર્યો હતો. આ વિશે તેઓએ કહયુ હતું કે કોઈ પણ મનુષ્ય જન્મથી બ્રાહ્મણ કે શુદ્ર નથી. હું બ્રાહ્મણ પણ નથી. હું ક્ષત્રિય પણ નથી. હું વૈશ્ય કે શુદ્ર પણ નથી. આ બધા માત્ર ધર્મના ઢોંગ છે. હું એક સામાન્ય વ્યક્તિ છું.
 
ગૌતમ બુદ્ધનું મૃત્યુઃ
ગૌતમ બુદ્ધનું મૃત્યુ ઇ.સ. પૂર્વે ૪૮૩માં કુશીનારામાં થયું હતું. તેમના મૃત્યુને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ મહાપરિનિર્વાણ કહે છે. પરંતુ તેમના મૃત્યુ અંગે, ઘણા બૌદ્ધિકો અને ઇતિહાસકારો એકમત નથી. એવું પણ માનવામાં આવે છે કે એક વ્યક્તિએ મહાત્મા બુદ્ધને મીઠા ભાત અને રોટલી ખવડાવી દીધી હતી. મીઠા ભાત ખાધા પછી તેને પેટમાં દુખાવો થયો. જે બાદ તેમનું મોત થયું હતું.