શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By વેબ દુનિયા|

સિમેન્ટનાં જંગલોની અસરથી પક્ષીઓને બચાવો

ઝાડ કે ઠંડકવાળી જગ્યાએ માળો બનાવી ચકલી, હોલો - પારેવા જેવા આંગણાના પંખીને બચાવીએ

P.R


ગ્બોબલ વોર્મીંગની અસર આજે વર્તાઇ રહી છે. ઋતુઓમાં ફેરફાર આવી રહ્યો છે. માનવજાત પોતાની સુખાકારી માટે નિર્દોષ પ્રાણી - પક્ષીઓની ચિંતા કર્યા વગર પર્યાવરણનો નાશ કરી રહી છે. માનવને ક્યાં ખબર છે કે આજ પર્યાવરણ રૃપી ઓક્સિજન જો ખલાસ થતું રહેશે તો માનવજાતને જ કુદરતી આફતો સામે રક્ષણ માટે કોઇ વિકલ્પ જ નથી.

૨૦મી માર્ચે વિશ્વ અને દેશભરમાં વિશ્વ ચકલી દિવસ ઉજવાયો. આપણા ઘરોમાં આપણા પરિવારની જેમ રહેતી ચકલીઓના માળા ફોટા પાછળ, ગોખલામાં જોવા મળતા. સવારે ઉઠીએ એટલે ચીં... ચીં... ચીં... ચકલીનો મીઠો મધથુરો અવાજ સાંભળવા મળતો. કબુતર તથા હોલાના ઘૂં... ઘૂં... ઘૂં... અવાજ સાંભળવા મળતો. પારેવા તથા દેવ ચકલી પાણી પીવા માટે ઘર આંગણે આવતી. રાત્રે સુતી વખતે દાદા-દાદી ચકા-ચકીની વાતો કરતા... બોલો કેટલો આનંદ હતો. જ્યારે આજે આધુનિક અને પશ્ચિમ સંસ્કૃતિ તરફ દોટ મુકતા માનવ જાતે જંગલોનો ઘટાડો કરવાનું શરૃ કરી, પ્રદૂષણમુક્ત વાતાવરણ પેદા કરી પ્રાણી-પક્ષીઓનું જીવન પાયમાલ કરી દીધું છે.

જંગલો કપાતા જાય છે. ખેતરોમાં અનાજ ઝડપી પકવવા માટે જંતુનાશક ઝેરી દવાઓના કારણે અનાજ નર્યું ઝેર બની ગયું છે. જેના કારણે ચકલી જેવા નાના નિર્દોષ પક્ષીઓ ઘર આંગણામાં કે ફળીયામાં દેખાતા બંધ થઇ ગયાં છે.

શિયાળાની ઋતુમાં ઉત્તર ભારતની ચકલીઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવતી હતી. આજે તેનું પ્રમાણ ઘટતું જાય છે. આ આપણા પરિવારનું સદસ્ય બનેલા ચકલીઓની ઘટતી સંખ્યાના કારણે પર્યાવરણ પ્રતિષ્ઠાન સંસ્થાના પ્રમુખ અને સ્કાઉટના ચીફ કમીશનર તથા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના આજીવન સભ્ય શ્રી અતુલભાઇ દીક્ષિતે અપીલ કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે ચકલીઓ આ ગરમી સહન કરી શકતી નથી અને મૃત્યુ પામે છે. તો આ માટે આપણા પરિવારના સદસ્ય બની રહેલા ચકલી, કબુતર તથા હોલાને આપણા ઘરમાં માળો બાંધવા દઇએ, પંખામાં ચકલી ન આવે તેનું ધ્યાન રાખીએ, તેને ચણ-પાણી આપી જતન કરીએ. જ્યારે પક્ષી પ્રેમી અને પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના સદસ્ય શ્રી રામભાઇ ચારણે અપીલ કરી છે કે ચકલીને અનુકૂળ વાતાવરણ ઊભું કરવા માળવા બાંધવા માટે અનુકૂળ જગ્યાઓ ફાળવવી જોઇએ. જેમકે ઘર, સીમમાં કે અન્ય જગ્યાએ કાગળના, આપણી વેસ્ટ વસ્તુએ જેવી કે ડોલ, વેસ્ટ બોક્સ, કરંડીયા, ફૂટેલા માટલાની વસ્તુઓનો ઉપયોગ કરી ઝાડ કે ઠંડકવાળી જગ્યાએ માળો બનાવી મૂકવાથી પક્ષીઓને ગરમીમાં રાહત મળશે.