1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 ઑગસ્ટ 2022 (16:39 IST)

ગાંધીનગરમાં મિની અમરનાથ ધામમાં કાવડયાત્રા પહોંચી, ચાર હજારથી વધુ ભક્તો જોડાયાં

mini amarnath
શિવ આરાધનાના મહાપર્વ પવિત્ર શ્રાવણ માસના અવસરે વિશ્વ કલ્યાણ સંસ્થા-અમરનાથ ધામ તથા જય અંબે મિત્ર મંડળ દ્વારા ગઈકાલે અમદાવાદથી યોજવામાં આવેલી અમરનાથ જળાભિષેક કાવડ પદયાત્રા આજે સવારે 55 કિ.મી.નું અંતર કાપીને મહુડી હાઇવે રોડ પર આવેલા મિની અમરનાથ ધામ આવી પહોંચી હતી. આ યાત્રામાં અંદાજે 4 હજારથી પણ વધુ કાવડિયાઓ ગંગાજળ લઈને આ પદયાત્રામાં જોડાયા હતા.

અમદાવાદ અમરાઈવાડી ખાતેના નાગરવેલ હનુમાન મંદિરેથી આરંભ થયેલી આ પદયાત્રા એરપોર્ટ, હાંસોલ, ગાંધીનગર, પેથાપુર, ગ્રામભારતી થઈ 55 કિ.મી.ની પદયાત્રા પૂરી કરી અમરનાથ ધામ આવી પહોંચી છે. કાવડયાત્રા ગાંધીનગરથી પસાર થતા માર્ગો 'હર મહાદેવ, બોલ બમ કા નારા હૈ શિવ તૂ હી સહારા હૈ'ના નાદ સાથે ગુંજી ઊઠ્યા હતા અને શિવભક્તિનો અનેરો મહાલો માર્ગો પર જોવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓ ખુલ્લા પગે અંદાજે 55 કિ.મી.ની આ કાવડ પદયાત્રામાં જોડાયા હતા.

આજે શ્રાવણિયા સોમવારે ગાંધીનગર-મહુડી હાઈવે સ્થિત અમરનાથ ધામમાં હૂબહૂ સ્વરૂપના અદ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ ઉપર કાવડિયા દ્વારા જળાભિષેક પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જય અંબે મિત્રમંડળ દ્વારા ધજારોહણ. દેવોના દેવ ભગવાન અમરનાથની સામૂહિક 765 દીવાની આરતી કરવામાં આવી હતી. આ અદ્ભુત આરતીનો લહાવો લઈને શ્રદ્ધાળુ ભક્તિમાં તરબોળ થઈ ગયા હતા.ભગવા વસ્ત્રોમાં શ્રદ્ધાળુઓ ગંગાજળ ભરેલા કળશ સાથે બમ ભોલેના નારા સાથે ખુલ્લા પગે યાત્રામાં જોડાયા હતા. આ અંગે અમરનાથ ધામના મેનેજિંગ ટ્રસ્ટી દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં અંબાજી અને ડાકોરની પદયાત્રાનું અનોખુ મહત્ત્વ છે. એ જ રીતે ગુજરાતમાં પ્રથમ વખત દેવાધિદેવ ભગવાન ભોલેનાથની પદયાત્રાનું આઠમી વખત આયોજન છે, શિવભક્ત કાવડિયાઓ સાચી શ્રદ્ધા અને સાચી ભક્તિ સાથે કાવડયાત્રા કરે છે. તેમના દરેક કદમની સાથે અશ્વમેધ યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થાય છે. શિવભક્ત ભગવાન પરશુરામે કાવડ લઈ ગડમુક્તેશ્વરથી ગંગાજળ ભરીને શિવમંદિરમાં જળાભિષેક કર્યો હતો. ત્યાંથી આ કાવડયાત્રાની શરૂઆત થઈ છે. કાવડ પદયાત્રામાં દરેક શ્રદ્ધાળુઓ એકસરખા ભગવા વસ્ત્રો અંગિકાર કરીને હરિદ્વારથી મગાવેલા ગંગાજલ ભરેલા ચાર હજારથી પણ વધુ કળશ સાથે કાવડ પદયાત્રામાં જોડાયા છે.