1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 ડિસેમ્બર 2020 (12:37 IST)

જ્યાં સુધી નવો આદેશ ન થાય ત્યાં સુધી આ શહેરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત

દિવાળીના તહેવાર પછી  અમદાવાદ સહિત રાજ્યમાં અચાનક  શરૂ થયેલી કોરોના વાયરસની બીજી લહેરના લીધે સતત કોરોનાના કેસમાં વધારો થયો છે. ત્યારબાદ સરકારે અમદવાદ શહેરમાં બે દિવસના જનતા કર્ફ્યૂની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ રાત્રે 9 કલાકથી સવારે છ કલાક સુધી પણ રાત્રી કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી. જેની અવધી સાત ડિસેમ્બરે સમાપ્ત થઈ રહી હતી. હવે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નવું નોટિફિકેશન જાહેર કરીને રાત્રી કર્ફ્યૂ વધારવાની જાહેરાત કરી છે. 
 
આ પહેલા લાગુ કરવામાં આવેલા કર્ફ્યૂની મર્યાદા રવિવારે પૂર્ણ થઈ રહી હતી. રવિવારે મોડી રાત્રે અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડીને અમદાવાદમાં બીજો હુકમ ન થાય ત્યાં સુધી નાઈટ કર્ફ્યૂ ચાલુ રહેશે તે અંગેની જાહેરાત કરી છે. 
 
હવે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશન પ્રમાણે જ્યાં સુધી નવો આદેશ ન થાય ત્યાં સુધી અમદાવાદ શહેરમાં રાત્રે 9 કલાકથી સવારે છ કલાક સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. આ સમય દરમિયાન ઘરની બહાર નિકળતા લોકો પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. 
 
અમદાવાદ શહેરમાં રાત્રે 9 વાગ્યા બાદ કોઈ દુકાનો પણ ખુલી રાખી શકાશે નહીં. જરૂરી સેવાઓને કર્ફ્યૂમાં છૂટછાટ આપવામાં આવી છે. જેમાં મેડિકલ સહિત ઈમરજન્સી સેવાઓનો સમાવેશ થાય છે. 
 
રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, બીજી બાજુ, હજુ રસી આવતાં પણ એકાદ મહિનો થાય એમ હોવાથી કોરોના વધારે પ્રસરે નહીં તેટલા માટે અન્ય 3 શહેરમાં કર્ફ્યૂ વધારવાની શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.